Get The App

લોથ પોથ લોથલ - નવો એંગલ

- રસવલ્લરી- સુધા ભટ્ટ

- એકલા ગુજરાતના ભાગે કચ્છના ધોળાવીરા અને આ લોથલ સહિત પચાસ સાઇટસ પ્રાપ્ત થઇ.

Updated: Dec 5th, 2020

GS TEAM

Google News
Google News
લોથ પોથ લોથલ - નવો એંગલ 1 - image


વિશ્વના પ્રથમ કાર્યશીલ બંદરનો ખિતાબ મળેલો લોથલને

સિં ધુ ખીણ સંસ્કૃતિના હડપ્પા અને મોહેંજોડરો-લોથલ કરતાં અઢાર ગણા મોટાં છે. ૧૯૨૦માં માં આ મહાન શહેરોને જ્હોન માર્શલે શોધેલાં. એના ચાલીસ વર્ષ પહેલાં સિંધુ સંસ્કૃતિના નાનકડા ઘરેણા જેવું લોથલ મળી આવેલું. કાંસ્યયુગીન આ સ્થળો મોટે ભાગે સિંધ-પાકિસ્તાન પાસે રહેલા જ્યારે લોથલ આપણા ઘરઆંગણાના રતન જેવું એક બોનાન્ઝા - ભવ્ય ભેટ તરીકે આપણને જડયું. સિંધુ ખીણમાં વારસાઇની તીવ્ર શોધના ભાગરૂપે ભારતના પુરાતત્ત્વ ખાતાએ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઉત્ખનનો યજ્ઞા આરંભ્યો. રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાંથી સેંકડો સાઇટસ-સ્થળો મળી આવ્યા. એકલા ગુજરાતના ભાગે કચ્છના ધોળાવીરા અને આ લોથલ સહિત પચાસ સાઇટસ પ્રાપ્ત થઇ.

સંસ્કૃતિના બહોળા પ્રચાર-પ્રસાર સારું આ શોધ કામે લાગી. માત્ર સિંધુ ખીણ નહિ, પરંતુ છાગ્ગર હાકરા નદી સુધી આ આ પ્રકલ્પ પહોંચ્યો ત્યારે હરપ્પન યુગ પુખ્ત થયેલો અને આ બંને નદીઓના સૂકા ભઠ પટમાં પણ આ સંસ્કૃતિ મળી આવી. છાગ્ગર હાકરા ઉપરાંત ભોગાવો - સાબરમતી નદી પણ લુપ્ત થયેલી જેને પૌરાણિક સરસ્વતીનું નામ મળ્યું. લોથલ આ શોધમાં સીમાસ્તંભ સાબિત થયું. કાલીબંગન અને રાખી ગરહી પણ આ સમયે રસપ્રદ રીતે જડી આવ્યા. લોથલનાં ચરણ પખાળતા અરબી સમુદ્ર કને લોથલમાં વિશ્વનું પ્રથમ અતિ પ્રાચીન બંદર (બારું) વિકસિત થયેલું. હરપ્પન સંસ્કૃતિનાં ગામ-શહેરો વિશ્વથી નોખાં-અનોખાં હતાં.

લોથલ બંદરનું બાંધકામ ભઠ્ઠામાં શેકેલી ઈંટો વડે થયેલું

ચાર હજાર વર્ષો પછી પણ એ ઈંટો યથાવત મળી આવેલી. માત્ર ચૂક્યા લોથલવાસીઓ સાવચેત રહેવાનું ! આમ તો, હરપ્પન લોકો બહુ જ શિસ્તબદ્ધ હતા અને વેપારની સમૃદ્ધિ તેમજ વિકાસમાં તેમનું નોંધપાત્ર યોગદાન હતું. નગરરચનામાં તેમની દૂરંદેશી જોઈએ! એક થી બે મીટર ઊંચા ચબૂતરા પર આખુંય આ અનામી નગર વસેલું તે સૂર્યમાં પકવેલી ઈંટો વડે. લોથલની સિંધ સુધી વસેલી હરપ્પન સંસ્કૃતિએ આ તકનો લાભ લઈ આજના ગાંધીનગર કે ચંડીગઢ જેવાં સુઆયોજિતનગરો વસાવેલાં. અહીંના ઘરો ઉપર માટીના જાડા થર અને ઈંટોની દીવાલો હતી. આ નગર બે ભાગમાં વસાવાયેલું. ઉપલા સ્તરે કિલ્લો હતો જેનું પ્લેટફોર્મ ચાર મીટર ઊંચું હતું. કિલ્લામાં પહોળી ગલીઓ, કતાર બંધ જાહેર હમામખાના (સ્નાનઘર) હતા.

નીચલા સ્તરે આમજનતા માટેના નિવાસસ્થાનો અને કિલ્લામાં રાજાનો મહેલ હતા. લાદીદાર બાથરૂમ, નીચે ગટરો- તેમાં પ્રવાહી - ઘન કચરો છૂટા પાડવાની વ્યવસ્થા નોંધાયા છે. લોઅર ટાઉનમાં ધોરી માર્ગ અને બજાર એરિયા મળે. સમૃદ્ધ વેપારીઓ, કુશળ કલાકારો - હીરાઘસુઓ, ઝીણી નકશી કરનારા કલાકર્મીઓ પણ રહેતા. જે કાચાં રત્નો ઉપર બારીક કોતરણી અને ઝૂલવાળી કિનાર કરતા. કટિંગ, ગ્રાઇંડિંગ, પૉલીશ વગેરે પણ થતાં. સામાન્ય ઘરોમાં પણ ભીંતમાં ભરાવેલા છાપરાં અને પ્રાચીન રત્ન તરીકે ખ્યાત ગટર સિસ્ટમ હતી. ખેર, લોકો મકાનોને પૂર અને તોફાનથી સાચવતા પણ બારું સાંકડું થઈ ગયું. જહાજો દૂર લાંગરતાં અને નવાં નાનાં નેળિયાં બનતાં - પણ હાય... અંતે વિનાશ તો થયો જ.

હરપ્પન સંસ્કૃતિને ખાસ બનાવતા લોથલને ઘણું ઘણું કહેવું છે

પ્રમાણમાં નાના ગામ લોથલને સિંચાઈ યોજનાના ભાગરૂપે એક તળાવ મળેલું એવું કહેવાય છે. જો કે વિજ્ઞાાનીઓએ ઓશનોગ્રાફી અંતર્ગત મરિન માઇક્રોફોસિલ્સ, મીઠું, જિપ્સમ ક્રિસ્ટલ્સ શોધી ત્યાં દરિયો હોવાનું પ્રમાણિત કરેલું. લોથલ એ સમયનું પ્રાચીન અગત્યનું અને ધબકતું વેપાર કેન્દ્ર હતું. ખોદકામને અંતે અહીંથી જમીન નીચે ચેનલ જેવા ખાડા અને ટીંબો કહેવાતા પહાડની પણ તપાસ કરાઈ, ૧૮૫૦ સુધી તો આ ટેકરા સુધી બોટ આવતી. ૧૯૪૨માં ભરૂચથી સરગવાળા ગામે જહાજ દ્વારા લાકડું લાવવામાં આવેલું જે આ ટીંબા પર થઇને ગયેલું એમ કહેવાય છે.

ખીણ અને કોતરોમાંથી નીકળતી આંતરિક ચેનલ્સ 'ઇનલેટ' બંદરને નદી સાથે જોડતી. ટીંબામાંથી જે મળી આવ્યું તે નગર, બજાર અને બંદર હતા. અહીં 'આઉટલેટ' ચેનલ પણ હતી જે ગામના ઉત્તરીય છેડેઊભી દીવાલે બંદરને જોડતી. ભરતીજળના આવાગમનને કારણે આ બંદર 'ટાઈડલ ડૉકયાર્ડ' ગણાવાયું. આ સ્થળનો વિનાશ થયો પરંતુ બંદરને કારણે જ હજી આજે પણ તેને અનોખું ગણવામાં આવે છે. તેણે કુદરતી હોનારત સામે સારી એવી ઝીંક ઝીલેલી. મીઠાના કળણના અંશો પેલો ટીંબો સંઘરીને બેઠો છે. ખંભાતના અખાત જેવી ભરતી આવતી ૭૨૦ ફિટ લાંબી જેટ્ટી ઉપર-જે બંદરની પશ્ચિમે હતી અને અહીં કિલ્લા નજીક ૩.૫ મીટર ઊંચાઈવાળું ગોદામ હતું જેને એ સમયે રૅમ્પ (ઢળતો રસ્તો) હતો ! ઇજનેરોએ આ સ્થળને કેવી પ્રાથમિકતા આપી હશે એનો આ બોલતો પુરાવો છે.

એક સમયે આ લોથલનું કોઈ રૂપાળું નામ હશે કે ?

'મ નકી આંખે ખોલ બાબા...' યાદ કરીને જે કોઈ દ્રશ્યો આવા સ્થળે આંખવગા થાય તેને આકંઠ પી લઈએને ! ચિત્ર કળા, વિજ્ઞાાન, ઇજનેરી વિદ્યા, સ્થાપત્યકળા, વેપાર, રાજનીતિમાં અવ્વલ આ પુરાતન સંસ્કૃતિમાં ધર્મનું પણ અગત્યનું કેન્દ્ર હતું. સિકોતરી માની દંતકથા, તેનાં મંદિરો, તેમાં થતાં કર્મકાંડ ઈત્યાદિ અંગે પણ અછડતી માહિતી મળે. સામાજિક જીવનેય પ્રેરણાદાયી હતું. ૭.૯ ફિટ ઘેરાવાવાળો, ૨૨ ફિટ ઊંડો ત્રાંસી ઇંટોથી મઢેલો કૂવો સંવાદનું સ્થળ બની રહેતો. વેદિક ધર્મના ખ્યાલ મુજબની પશુ પૂજા અને દેવી પૂજા યોજાતા. ધર્મવૈવિધ્ય અપાર હતું - જે અનુગામી હરપ્પન સંસ્કૃતિને પોષક મૂલ્યો પૂરાં પાડતું. ટેરાકોટાના મોડેલ્સ મળ્યાં છે તેમાં, પિરામીડ અને ઇજિપ્તની રાણીની ચેસની રમતનું ચિત્ર પણ છે જે આ સંસ્કૃતિના લોકોની આંતરરાષ્ટ્રીય પહોંચ દર્શાવે છે.

ધ્યાનાર્હ નિરીક્ષણ મુજબ, શરીરશાસ્ત્ર અને કુદરતી તત્વોનાં મિશ્રણથી બનતી કલાકૃતિઓ અજોડ છે. નવી જાતની પૉટરીમાં બહિર્ગોળ બાઉલ હાથાવાળા કે વગરના નિર્માણ થતા કિનારવાળા નાના જારમાં અબરખનો ઉપયોગ થતો. અને અંતે... દરેક હરપ્પન સાઇટમાં મૃતકોના નિકાલ માટે વિવિધ માળખાં નજરે પડે છે. અહીં દફનક્રિયા અને અગ્નિસંસ્કાર બંનેનો ચાલ હતો. અવશેષોને કુંભમાં રાખી મૂકતા. અરે ! અદ્વિતીય કહી શકાય એવો 'ટ્વિન બરિયલ' - બે જણની ભેગી દફનક્રિયાનો રિવાજ પણ અહીં હતો. ચાલો, ઘણી માહિતી મળી, પરંતુ આ નગરનું મૂળ નામ.. ક્યારે મળશે ?

લસરકો

નામ તેનો નાશ... પણ નાશ થયા પછી નામ... તે લોથલ.

Tags :