Get The App

રાષ્ટ્રપિતા ગાંધીજી, તો દાદા કોણ?

- પારસી ઑન સ્ટેમ્પ- હસિત મહેતા

Updated: Jul 4th, 2020

GS TEAM

Google News
Google News
રાષ્ટ્રપિતા ગાંધીજી, તો દાદા કોણ? 1 - image


હ મણાં ૩૦મી જૂને હિંદના દાદાનો નિર્વાણ દિન ગયો. એમને ગયે આજે ૧૧૩ વર્ષ થયા. આજની પેઢીના કોઇ લબરમૂછળીયાને પૂછીએ કે બોલો, આપણા સહુના દાદા કોણ? તો એ ભોળાભાવે ગણપતિદાદા (કે પછી પોતાના દાદા)નું નામ આપીને અટકી જશે. છોકરાઓનું તો છોડો, પણ આપણા સરેરાશ પ્રજામાનસ ઉપર પણ જે રીતે અંકિત થઇ ગયું છે કે આયર્ન લેડી એટલે ઇંદિરા, ચાચા એટલે નહેરુચાચા, લોહપુરુષ એટલે સરદાર એટલે વલ્લભભાઇ, રાષ્ટ્રપિતા તો ગાંધીજી જ, એ રીતે 'હિંદના દાદા' એટલે દાદાભાઇ નવરોજજી, એ બહુ જ ઓછા લોકો જાણતા હશે. અલબત્ જૂની પેઢી સિવાયના જ સ્તો.

આ હિંદના દાદા એટલે દાદાભાઇ નવરોજજી. પારસી ધર્મ પ્રચારક અને સુધારક. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્થાપક અને ત્રણ-ત્રણ વાર તેના પ્રમુખ રહી ચૂકેલા રાજનીતિજ્ઞા, ગોરા પ્રોફેસરોથી જ ઉભરાતી મુંબઇની એલ્ફિસ્ટન કૉલેજના ભારતીય પ્રોફેસર, ઇંગ્લેન્ડની લોકસભાના પ્રથમ ભારતીય (ચૂંટાયેલા) સભ્ય, મહીપતરામ રૂપરામ, કરસનદાસ મૂળજી અને નર્મદ જેવા મહાન સમાજસુધારકોના ગુરુ-શિક્ષક, ગાંધીજી જેમને પોતાના રાજકીય ગુરુ માનતા, એ ગોપાલક્રિષ્ણ ગોખલેના પણ રાજ-ગુરુ, વડોદરા રાજ્યના પ્રથમ પારસી દિવાન, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં લિબરલ પક્ષના સભ્ય તરીકે શપથગ્રહણ કરવા માટે બાઇબલનો નહીં, પરંતુ પારસી ધર્મના પવિત્ર ગ્રંથ અવેસ્તાનો જ આગ્રહ રાખનાર ક્રાંતિકારી નેતા, ભારતને અને ગોરી પાર્લામેન્ટને પહેલી વખત 'સ્વરાજ' શબ્દ આપનાર અને તેનું મહત્ત્વ સમજાવનાર, 'ઇન્ડિયન નેશનાલિઝમ'ના પિતા, પોતાના પુસ્તક 'પોવર્ટી એન્ડ અન-બ્રિટીશ રૂલ ઇન ઇન્ડિયા'(૧૮૯૧) થકી ભારતમાં આર્થિક રાષ્ટ્રવાદના ઉદયનો (વિકાસનો નહીં) પાયો નાખનાર દીર્ઘદ્રષ્ટા,.... યે તો અભી ઝાંખી હૈત આપણે જો દાદાભાઇના ૯૨ વર્ષના જીવનકાર્ય ઉપર એક અછડતી નજર નાંખીએ તો પણ આપણા મોઢામાંથી તુરત જ  ઓહોહોહોહો......(રમેશ મહેતા સ્ટાઇલ નહીં) નીકળી જ જાય.

ભારતીય ટપાલ ખાતાએ આપણા હિંદના દાદાને નવાજવા એકવાર નહીં, પરંતુ બબ્બેવાર ખાસ સ્મરણાત્મક ટપાલ ટિકીટ બહાર પાડી છે. જેમાં પહેલી ટીકીટ ૧૯૬૩ની ૪થી સપ્ટેમ્બરે, એટલે કે દાદાભાઇની ૧૩૮મી હેપ્પી-બર્થડે ઉપર પ્રસિદ્ધ થઇ છે. અત્યંત લાઇટ ગ્રે કલરમાં, ૧૫ પૈસાની કિંમતે, દાદાભાઇના ફ્રન્ટ ક્લોઝઅપના ચહેરાવાળી આ ટીકીટ એ જમાનામાં ખૂબ જ લોકપ્રિય થઇ હતી. 

કારણ કે 'ગ્રાન્ડ ઓલ્ડમેન ઓફ ઇન્ડિયા' તરીકે લાડીલા થયેલા દાદાભાઇએ શિક્ષણ,સ્વરાજ અને સામાજિક ઉત્થાન માટે બ્રિટીશરો સામે તેમની સાથે રહીને જે લડત ઉપાડી હતી તે આજે પણ પૂરી ન થઇ શકે એટલી દીર્ઘ-દ્રષ્ટિવંત હતી. દાદાભાઇએ બ્રિટીશર એ.ઓ.હ્યુમ અને દિનશા ઇદુલજીની મદદથી ભારતીય વેપારના નિકાશનો પાયો નાંખ્યો હતો.

૧૮૬૬માં ઇંગ્લેન્ડ જઇને તેઓ ઇસ્ટ ઇન્ડિયા એસોશિએશનની સ્થાપના કરે છે, અને એના દ્વારા બ્રિટનમાં ભારતીયોની સમસ્યાઓને રજૂ કરવાની ચળવળ ઉપાડે છે. તેઓ દુનિયાભરમાં એવો મત આપનારા પહેલાં ભારતીય હતા કે ભારતમાં ગરીબીનું કારણ દેશની દશા કે સ્થિતિ કે જનસંખ્યા નથી, પરંતુ અંગ્રેજોની આયાત-નિકાશની નીતિને કારણે ભારત ગરીબ દેશ બની રહ્યો છે. 'ઇકોનોમિક હિસ્ટ્રી ઇન ઇન્ડિયા'નો પાયાનો સિદ્ધાંત દાદાભાઇના આ વિચારો, ચળવળ અને પુસ્તકમાંથી જ ઉભા થયા છે. તેમણે પહેલી વખત કહ્યું કે ભારતનું ધન બ્રિટનમાં ધસેડાઇ રહ્યું છે. 


બ્રિટિશરોએ પોતાના પૈસે આપણા દેશમાં ઉદ્યોગો નાંખ્યા, અને પછી આપણે ત્યાંથી ઉત્પાદનો કરી-કરીને પૈસો પોતાના દેશમાં ઠાલવ્યો. તેઓ  ભારતીય ચલણથી (સસ્તા ભાવે)વેપાર કરીને બ્રિટનમાં ડોલરના ડીફરન્સથી તગડો નફો મેળવે છે. ભારતને બ્રિટનના બધા વહીવટી ખર્ચાઓ અને લશ્કરી તાકાતના નાણાં ખરચવા પડે છે. રેલ્વે જેવી સેવાઓના બહાને અબજો રૂપિયાની કમાણી બ્રિટીશરો યુરોપમાં ઢસળી જાય  છે. આપણા દેશને સાચા અર્થમાં ગુલામ બનાવનાર પેલા બ્રિટીશ અમલદારો કે બ્રિટનની પાર્લામેન્ટ કરતા પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના બદમાશ ઉદ્યોગપતિઓ વધારે છે.

દાદાભાઇ આર્થિક-વેપાર ક્ષેત્રે જેટલા જાગૃત અને દીર્ઘદ્રષ્ટા હતા, તેટલા જ દેશની આઝાદી, અભણ મનોદશા, સ્ત્રીસન્માન અને શિક્ષણનીતિ વિશે પણ પાયાના સિદ્ધાંતો અને ફેરફારો સુચવનાર યુગપુરૂષ હતા. એટલે તો ભારતીય ટપાલ ખાતાએ ફરી-ફરીને તેમની ટપાલટિકીટો પ્રસિદ્ધ કરી છે.

Tags :