ટાસ્માનિયન ટાઈગર : નાશ પામેલી પ્રજાતિ સજીવ થશે?
- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
તા જેતરમાં સ્વીડનના વૈજ્ઞાાનિકોએ ટાસ્માનિયન ટાઈગર તરીકે ઓળખાતા, કૂતરાના કદના પટ્ટાવાળા માંસાહારી મર્સુપિયલ પ્રાણીના આરએનએને અલગ તારવવામાં સફળતા મેળવી છે. એક સમયે ઓસ્ટ્રેેલિયા ખંડ ઉપર અને તેના નજીકના ટાપુ ઉપર ટાસ્માનિયન ટાઈગરની મુખ્ય વસ્તી હતી, પરંતુ મનુષ્યની શિકાર કરવાની આદતના કારણે આ પ્રજાતિ હવે સંપૂર્ણ લુુપ્ત થઈ ગઈ છે. વૈજ્ઞાાનિકો લુુપ્ત થયેલ પ્રજાતિઓમાંથી કેટલાક સજીવોને ક્લોનીંગ દ્વારા સજીવન કરવા માંગે છે. તેના લિસ્ટમાં ટાસ્માનિયન ટાઈગર સૌથી ઉપર આવે છે, કારણ કે તેનું અસ્તિત્વ છેલ્લા ૧૦૦ વર્ષની અંદર જ નેસ્તનાબૂદ થઈ ગયું છે. ઈ.સ.૧૮૯૧થી સ્વીડનના સ્ટોકહોમ ખાતે આવેલ સ્વીડિશ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીમાં સાચવવામાં આવેલ ટાસ્માનિયન ટાઈગરની સુષુપ્ત ત્વચા અને સ્નાયુઓમાંથી, વિજ્ઞાાનીઓએ આરએનએ મેળવ્યું છે. જેનો ઉપયોગ કલોનિંગ દ્વારા, ટાસ્માનિયન ટાઈગરને નવું જીવન આપવા માટે થશે. ડીએનએની માફક આરએનએ પણ, આનુવંશિક સામગ્રીના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે.
ઓગસ્ટ-૨૦૨૨માં એક સમાચાર વહેતા થયા હતા કે 'કોલોસલ બાયોસાયન્સિસે લુપ્ત થતી પ્રજાતિઓને પાછી લાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર મેલબોર્ન યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું છે.' પ્રોજેક્ટના પ્રથમ ચરણમાં વિજ્ઞાાનીઓના સંયુક્ત પ્રયાસથી સો વર્ષ પહેલા લુપ્ત થઈ ગયેલ પ્રજાતિ, તાસ્માનિયન ટાઇગરને સજીવન કરવામાં આવશે. ફરી પાછા ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ એક નવા સમાચાર મળે છે કે 'અમેરિકાની નવી સ્ટાર્ટઅપ કંપની, આજથી ૩૫૦ વર્ષ પહેલા નામષેશ થઈ ગયેલ ઊડી ન શકે તેવા પક્ષી 'ડોડો'ને આધુનિક ટેકનીક વડે, ફરીવાર જીવંત કરશે. લાગી રહ્યું છેકે જુરાસિક પાર્ક નામની કાલ્પનિક ફિલ્મનું, પૃથ્વી પર ફરી વાર 'વાસ્તવિક જુરાસિક પાર્ક'નું સર્જન થઈ જશે. લુપ્ત પ્રાણીઓને સજીવન કરવા માટે, વિજ્ઞાાનીઓ આધુનિક સ્ટેમ સેલ ટેકનોલોજી અને જનીન એડીટીંગ કરવાની ટેકનિક 'ક્રિસપ્રેકેસ૯'નો ઉપયોગ કરશે.
ઓસ્ટ્રેલિયા ખંડ ઉપર મનુષ્યનું કુ-પરાક્રમ
આજથી સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં, ઓસ્ટ્રેલિયાના મુખ્ય ભૂમિ ખંડ ઉપરથી થાઇલેસિનની સમગ્ર વસ્તી નાશ પામી હતી. ઈસવીસન ૧૭૮૮માં પ્રથમવાર યુરોપિયન પ્રજાએ ઓસ્ટ્રેલિયા ખંડ ઉપર પગ મુક્યો અને ત્યાં વસવાટ કરવાનું શરૂ કર્યું ત્યારે, આ પ્રાણીનું અસ્તિત્વ માત્ર નજીકના તાસમાનીયા ટાપુ ઉપર જ બચ્યું હતું. તાસમાનીયા ટાપુ, પૃથ્વીના આઈસ એ જ એટલે કે શિતયુગ દરમિયાન ઓસ્ટ્રેલિયાની મુખ્ય ભૂમિથી અલગ થઈ ગયેલ હોવાનું નિષ્ણાતો અનુમાન લગાવે છે. ૧૮૦૩માં બ્રિટિશર એટલે કે અંગ્રેજો, તાસમાનીયા ટાપુ પર પહોંચ્યા ત્યારે, ટાસ્માનિયન ટાઈગરની વસ્તી ૨થી ૪ હજાર જેટલી હતી. વિજ્ઞાાનીઓ માટે શરૂઆતથી જ થાઇલેસિનનો જૈવિક અભ્યાસ કરી, તેનું પ્રાણી જગતમાં ચોક્કસ વર્ગીકરણ કરવું મુશ્કેલ હતું. તે સમયે આ પ્રાણી ઝેબ્રા ઓપોસમ, ઝેબ્રા વરુ, તાસ્માનિયન ઝેબ્રા, મર્સુપિયલ વરુ, પટ્ટાવાળી વરુ, વાઘ વરુ, તાસ્માનિયન વરુ, વેન ડાયમેન જમીન વાઘ, તસ્માનિયન વાઘ, બુલડોગ વાઘ, ગ્રેહાઉન્ડ વાઘ, હાયના વાઘ અને કૂતરાના ચહેરાવાળા ઓપોસમ જેવા નામથી ઓળખાતું હતું. આ પ્રાણીઓએ વૈજ્ઞાાનિકોને એટલા ગૂંચવ્યા હતા કે '૧૮૨૪માં તેનું સાચું નામકરણ અને વર્ગીકરણ થયું તે પહેલા, ત્રણ વાર તેના નામ અને વર્ગીકરણ બદલાયા હતા.'
તાસમાનીયા ટાપુ ઉપર આદિવાસી પ્રજા પણ આટલી જ સંખ્યામાં નિવાસ કરતી હતી. ટાપુ ઉપર મોટાભાગે રઝળતી પ્રજાતિ પશુપાલનનો ધંધો કરતી હતી. જેમાં ઘેટા મુખ્ય પ્રાણી હતા. જ્યારે ઘેટાની વસ્તી ઘટવા લાગે ત્યારે, થાઇલેસિનને બલીનો બકરો બનાવવામાં આવ્યો. એવું જાહેર કરવામાં આવ્યું કે તાસ્માનિયન ટાઇગર, ઘેટાનો શિકાર કરતું હોવાથી તેમની સંખ્યા ઘટી રહી હતી. ૧૮૩૦ અને ૧૮૩૯માં વેન ડાયમેન્સ લેન્ડ કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી કે 'જે વ્યક્તિ એક થાઇલેસિનનો શિકાર કરી મારી નાખશે, તેને બદલામાં એક પાઉન્ડ બક્ષિસ આપવામાં આવશે. ૧૮૮૮માં સરકાર દ્વારા પણ આવી જાહેરાત કરવામાં આવી હતી. છાપામાં પ્રકાશિત માહિતી પ્રમાણે, કંપની અને સરકારે બક્ષિસ પેટે માત્ર ૧૦ પાઉન્ડ ચૂકવ્યા હતા. જેનો અર્થ એવો થાય કે માત્ર ૧૦ ટાસ્માનિયન ટાઈગરની હત્યા થઈ હતી. પરંતુ બિનસત્તાવાર આંકડો ૨૭ જેટલો હતો.
ટાસ્માનિયન ટાઈગર એટલે?
ટાસ્માનિયન ટાઈગર, દેખાવમાં ખરેખર વાઘ જેવું નહીં પરંતુ કુતરા અને વરુ જેવું છે. તેના શરીર ઉપર વાઘ જેવા ઉભા પટ્ટા હોવાના કારણે, આ પ્રાણી ટાસ્માનિયન ટાઈગર તરીકે ઓળખાય છે. હાલમાં ટાસ્માનિયન ટાઈગરના સૌથી નજીકના સગા તરીકે ટાસ્માનિયન ડેવિલ જીવંત પ્રાણી છે. પરંતુ તેની પ્રજાતિ પણ વિનાશના આરે આવીને ઊભી છે. ટાસ્માનિયન ડેવિલના અસ્તિત્વ સામે તેના ચહેરા પર થતું ખાસ પ્રકારનું કેન્સર જીવલેણ અસર બતાવી રહ્યું છે. આનંદની વાત એ છેકે વિજ્ઞાાનીઓએ કેન્સર સામે રક્ષણ આપે તેવી રસી શોધી કાઢી છે. હાલના તબક્કે ટાસ્માનિયન ડેવિલને કેન્સર સામે રક્ષણ મળશે તેવું જણાઈ રહ્યું છે. ટાસ્માનિયન ટાઈગરનું વૈજ્ઞાાનિક નામ Thylacinus Cynocephalus છે. જેના કારણે વિજ્ઞાાન જગત તેને 'થાઇલેસિન'ના ટૂંકા નામે પણ ઓળખે છે.
ગ્રીક ભાષામાં તેનો અર્થ 'કુતરા જેવા ચહેરા વાળું કોથળી ધરાવતું પ્રાણી' થાય છે. કાંગારૂની માફક થાઇલેસિન પેટ ઉપર, ખાસ રક્ષાત્મક કોથળી આવેલી હોય છે. જેમાં તેના બચ્ચાનો ઉછેર થાય છે. કોથળી ધરાવતા(મર્સુપિયલ) પ્રાણીમાં, કદમાં સૌથી વિશાળ કદનું માંસાહારી પ્રાણી થાઇલેસિન છે. શરમાળ પ્રકૃતિનું હોવાથી, મનુષ્ય સાથેનો સીધો સંપર્ક કરવાનું ટાળે છે. જેના કારણે મનુષ્ય માટે આ પ્રાણી ક્યારેય ખતરા રૂપ બન્યું ન હતું. પરંતુ મનુષ્ય આ પ્રાણીનું નિકંદન કાઢવા માટે જવાબદાર બની ગયો છે. મનુષ્યની શિકાર કરવાની ખતરનાક પ્રવૃત્તિના કારણે, મોટી સંખ્યામાં ટાસ્માનિયન ટાઈગર ખતમ થઈ ગયા હતા. મનુષ્ય ઓસ્ટ્રેેલિયા ખંડ ઉપર તેમની સાથે, ડીંગો કુતરાનો પણ ઉપયોગ કરવા લાગ્યા હતો. ડીંગો કુતરા સાથેની પ્રાકૃતિક લડાઈમાં પણ, ટાસ્માનિયન ટાઈગરની હાર થતા, તેમની વસ્તી ઘટવા લાગી હતી. ૭ સપ્ટેમ્બર, ૧૯૩૬ના રોજ તાસ્માનિયાના હોબાર્ટ ઝૂમાં છેલ્લા થાઇલેસીન 'બેન્ઝામિન'નું કેદ અવસ્થામાં મૃત્યુ થયું હતું. પરંતુ ૫૦ વર્ષ બાદ એટલે કે ૧૯૮૬માં, વિજ્ઞાાનીઓના દ્વારા થાઇલેસીન પ્રજાતિને સંપૂર્ણ નાબૂદ થઈ ગયેલ પ્રજાતિ તરીકે જાહેર કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં ૭ સપ્ટેમ્બરનો દિવસ શર્ચૌહચન National Threatened Species Day / રાષ્ટ્રીય જોખમી પ્રજાતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
કોષ લેવલે જાદુઈ ચમત્કાર
જૈવિક સ્તરે આરએનએની ભૂમિકા સમજીએ તો, ડીએનએની માફક આરએનએ, કોષ લેવલે કેવો જાદુઈ ચમત્કાર કરે છે? તે જોઈ શકાય. આરએનએનું મુખ્ય કામ, ડીએનએના સૂચન પ્રમાણે વિવિધ પ્રકારના પ્રોટીનનું સર્જન કરવાનું છે. સાથે સાથે અન્ય પ્રકારના આરએનએમા જરુરી ફેરફાર કરવાનું કાર્ય આરએનએ કરે છે. ડીએનએમાં રહેલ માહિતીને જનીન ઉત્પાદનમાં રૂપાંતર કરવામાં ઉપયોગી બનતા આરએનએને, મેસેન્જર આરએનએ (mRNAs) તરીકે ઓળખવામાં આવે છે. મેસેન્જર આરએનએ દરેક જનીનના ન્યુક્લિક એસિડના ક્રમ પ્રમાણે, જનીનોની નકલ તૈયાર કરવાનું કામ કરે છે. જનીનની નકલ કરવામાં બે પ્રકારના આરએનએ ભૂમિકા ભજવે છે. આ પ્રકારના આરએનએને 'નોન કોડિંગ આરએનએ' તરીકે ઓળખવાય છે. રિબોસોમલ આરએનએ (આરઆરએનએ) અને ્રટ્રાન્સફર આરએનએ (ટીઆરએનએ) નોન કોડિંગ આરએનએ છે. ડીએનએની માફક આરએનએ એક પ્રકારના ન્યુક્લિક એસિડ જ છે. કોષમાંથી ડીએનએની માહિતી, આર.એન.એ પાસે જાય છે. આ માહિતીનો ઉપયોગ કરીને આરએનએ, અલગ અલગ પ્રકારના પ્રોટીનની રચના કરે છે. પ્રોટીન અલગ અલગ પ્રકારના એમિનો એસિડની બનેલ એક લાંબી શૃંખલા છે.
કોષ લેવેલે થતી જૈવિક પ્રક્રિયામાં વારંવાર વપરાતા ત્રણ શબ્દની સમજ મેળવી લઈએ. ડીએનએમાં રહેલ જનીનની સિક્વન્સ આરએનએમાં કોપી થાય છે. કોપી થવાની આ પ્રક્રિયા 'ટ્રાન્સક્રિપ્શન' તરીકે ઓળખાય છે. બીજા તબક્કે મેસેન્જર આર.એન.એ દ્વારા એમિનો એસિડની પોલિપેપ્ટાઈડ ચેઇન રચવા થાય છે. જેને જીવવિજ્ઞાાનની ભાષા 'ટ્રાન્સલેશન' કહે છે. જનીનોની નકલ કરવામાં કે પ્રોટીન પેદા કરવામાં, ટ્રાન્સક્રીપશન અને ટ્રાન્સલેશન પ્રક્રિયામાં જે ક્ષતિ રહી જાય છે. તેને 'મ્યુટેશન'કહે છે. મ્યુટેશનના કારણે જનીન કે પ્રોટીન ઉત્પાદનમાં બદલાવ/ફેરફાર થતો જોવા મળે છે. કેટલીક વાર સજીવની ઉત્ક્રાંતિમાં લાંબા ગાળાના ફેરફાર કરવા માટે મ્યુટેશન સહાયક બને છે. તો કેટલીક વાર ટૂંકા ગાળાના મ્યુટેશન થતાં સજીવમાં વિકૃતિ કે વિવિધ રોગો પેદા થાય છે. કેન્સર જેવા રોગ પણ જિનેટિક મ્યુટેશનના કારણે થાય છે.
ક્લોનિંગમાં આરએનએ કઈ રીતે ઉપયોગી બનશે?
લુપ્ત થયેલ પ્રાણીઓને લોનિંગ ટેકનીક વડે જીવંત કરી શકાય છે. ક્લોનીંગ કરવા માટે લુપ્ત થયેલ પ્રાણીના ડીએનએ ઉપયોગી બને છે. ટાસ્માનિયન ટાઈગરના કિસ્સામાં, વિજ્ઞાાનીઓ પાસે આ પ્રાણીનો સંપૂર્ણ જેનોમ ઓલરેડી ઉપલબ્ધ છે. હવે વૈજ્ઞાાનિકોએ તેના આરએનએ અલગ તારવવામાં સફળતા મેળવી છે. આ તબક્કે સવાલ એ થાય કે 'પ્રાણીના ક્લોનીંગમાં આરએનએ તરીકે ઓળખાતું જિનેટિક મટીરીયલ કઈ રીતે ઉપયોગી બનશે?'
આર.એન.એની ઉપયોગીતા જાણતા પહેલા તેની ઓળખ મેળવી લઈએ. ડીએનએની માફક આરએનએ પણ કોષ કક્ષાએ અલગ અલગ પ્રકારના અસંખ્ય જૈવિક કાર્ય કરે છે. જનીન વિકાસના તબક્કે આરએનએ એક નિયંત્રક/ કંટ્રોલર તરીકે સેવા આપે છે. બદલાતા પર્યાવરણ સામે સેલ્યુલર લેવલે ચાલતી વિવિધ પ્રક્રિયાઓમાં થતા તફાવતને પારખી લે છે. ડીએનએની માફક, આરએનએ પણ એક પ્રકારના પ્રોટીન પોલીમર છે. ડીએનએમાં બે તાંતણા વચ્ચે બેઝપૅર ગોઠવાયેલી હોય છે. જ્યારે આરએનએમાં સિંગલ તાંતણા સ્વરૂપે જીનેટીક મટીરીયલનું સર્જન થાય છે. ડીએનએ પાસેની માહિતી મેળવીને આરએનએ, વિવિધ પ્રકારના પ્રોટીનનું સર્જન કરે છે. બીજા અર્થમાં કહીએ તો, કોષના રંગસૂત્રમાં સમાયેલ જનીનોનું, ડીએનએ સિક્વન્સની નકલ તરીકે આરએનએ કાર્ય કરે છે. જનીનોની નકલ કઈ રીતે કરવી? તેની માહિતી આરએનએ પાસે ઉપલબ્ધ હોય છે. જેના કારણે તેને લીખીત અથવા તો કોડિંગ જીન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જનિનની નકલ કરવા સિવાય અન્ય હેતુ માટે ઉપયોગમાં લેવાતું આરએનએ, નોન કોડિંગ આરએનએ તરીકે ઓળખાય છે.
સરળ ભાષામાં કહીએ તો આરએનએ વૈજ્ઞાાનિકોને, જીવવિજ્ઞાાનની વાસ્તવિક માહિતી આપે છે. કોષ લેવલે ચાલતી ચયાપચયની પ્રક્રિયાનું નિયંત્રણ કઈ રીતે થાય છે? તેનું સમગ્ર ચિત્ર આરએનએ ઉપસાવી આપે છે. કોઈપણ પ્રાણીની વાસ્તવિક બાયોલોજી સમજવી હોય તો, તેના શરીરના કોષ કઈ રીતે કામ કરે છે? તે જાણવું જરૂરી બની જાય છે. આ જાણકારી મેળવવા માટે કોષમાં રહેલ આર.એન.એ ખૂબ જ ઉપયોગી બને છે.