Get The App

વકીલાતનો અભ્યાસકાળ વલ્લભભાઈ માટે કપરાં ચઢાણ

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
વકીલાતનો અભ્યાસકાળ વલ્લભભાઈ માટે કપરાં ચઢાણ 1 - image


- સરદાર @150-Hasit Mehta

- વકીલાતનો અભ્યાસ કરવા ઇચ્છતા વલ્લભભાઈએ મામા ડુંગરભાઈને માથે પડવાને બદલે સ્વતંત્ર રીતે નડિયાદમાં રહેવાનો નિર્ણય અમલમાં  મૂક્યો 

- કાશીભાઈ શામળભાઈ દેસાઈનું મકાન

ઈં ગ્લેન્ડમાં ભણી આવેલા બૅરિસ્ટરો જલદી જલદી નામ અને પૈસા કમાઈ શકે છે, એવું જાણ્યા પછી વલ્લભભાઈના મનમાં આ જ વેપારમાં જોડાવાની છૂપી યોજના સાકાર થઈ ચૂકી હતી. એ માટે જલદી જલદી વકીલ બનીને મૂડી ભેગી કરવી એમ તેમણે નક્કી કર્યું. તેથી હવે પુસ્તકો માંગી આણીને જાતે જ તેનો અભ્યાસ કરવો- એવું તેમણે નક્કી કરી લીધું. એ માટે કરમસદ નહીં, પરંતુ નડિયાદમાં રહીને વકીલાતનો અભ્યાસ કરવો, એ ય નક્કી કર્યું.

પોતાના ગુરુબંધુ વિઠ્ઠલભાઈએ પણ ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરી હતી, એ વાત તેમની નજર સામે હતી. પરંતુ જે પરીક્ષા વિઠ્ઠલભાઈ મુંબઈમાં ભણીને ચાર વર્ષે પાસ કરી શક્યા, તે વલ્લભભાઈએ નડિયાદમાં રહીને, જાત મહેનત અને સ્વયંશિક્ષણ થકી, માત્ર ૩ વર્ર્ષમાં પાસ કરી દીધી હતી, એ હકીકત દેશના નીડર અને એકધ્યેયી નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકેલાં સરદાર પટેલના પૂર્વ જીવનમાં બીજરૂપે પડેલી છે.

ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષામાં વલ્લભભાઈ પહેલાં જ પ્રયત્ને પાસ થઈ ગયા હતા. આ એ જ જણ હતા, જે હમણાં તો મેટ્રિકના વર્ગમાં નાપાસ થઈને વર્ષો બગાડતાં હતા, તે હવે ભણવા, કમાવવા,ઘરસંસારને નિભાવવા અને ઈંગ્લેન્ડના બૅરિસ્ટર થવા ઊર્ધ્વગામી દ્રષ્ટિ અને મહત્ત્વાકાંક્ષાને પોષી રહ્યા હતા. તેથી જ આ કાળે તેમને કોઈ ટોકનાર, સમજાવનાર ન હતું, છતાં પૂરી ગંભીરતાથી તેઓ કાયદાનો અભ્યાસ કરવા માંડયા હતા. જોકે મેટ્રિકનાં ૩ વર્ષો દરમ્યાન પણ વલ્લભભાઈએ તો પૂરેપૂરો વખત મોસાળમાં મામાને ત્યાં રહેવાનું પસંદ કર્યું નહોતું. એ વખતે પણ એમણે નડિયાદના મોગલકોટ વિસ્તારમાં એક રૂમ ભાડે રાખીને, મિત્રો સાથે બોર્ડિંગ જેવી વ્યવસ્થા ઉભી કરી હતી. આ રીતે શાળાજીવને રૂમ ભાડે રાખીને એકલા રહેવાની સગવડો તેમણે અગાઉ પેટલાદ અને વડોદરામાં પણ ઉભી કરી જ હતી, એ અનુભવ નડિયાદના મેટ્રિકના વર્ષોમાં ખપમાં લાગ્યો હતો, અને એ જ પરિપાટી ઉપર વકીલાતના અભ્યાસ વખતે પણ તેમણે મામાને માટે બોજ નહીં બનવાનો સ્વતંત્ર અને નિડર નિર્ણય કરી બતાવ્યો હતો.

તેમણે પહેલો સંકલ્પ, ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા ઘેરબેઠાં વાંચીને પાસ કરાવનો અમલમાં મૂક્યો, તેમણે બીજો સંકલ્પ વતન કરમસદ નહીં પણ મોસાળભૂમિ નડિયાદમાં રહીને વકીલાતનો અભ્યાસ કરવાનો કર્યો, તેમણે ત્રીજો સંકલ્પ મામા ડુંગરભાઈને માથે પડવાને બદલે સ્વતંત્ર રીતે નડિયાદમાં રહેવાનો નિર્ણય પણ અમલમાં મૂક્યો.

આ માટે, વલ્લભભાઈએ પોતે જ કહ્યું છે તેમ, તેઓ પોતાના શાળા-મિત્ર કાશીભાઈને ત્યાં રહેતા હતા. આ કાશીભાઈ એટલે કાશીભાઈ શામળભાઈ દેસાઈ. જે મૂળે તો નડિયાદની બાપુજી દેસાઈની ખડકીના એક ખાતાપિતા પરિવારના પાટીદાર પુત્ર હતા. આમ તો તેઓ વલ્લભભાઈના શાળામિત્ર, તેઓ પણ નડિયાદની ગર્વમેન્ટ હાઈસ્કૂલમાં, વલ્લભભાઈની સાથે, જોડાયા હતા. તેમનો જન્મ પણ ઈ.સ. ૧૮૭૮માં, એટલે વલ્લભભાઈના સમકાલીન પણ ખરાં. આ બંને મિત્રોએ નડિયાદમાં, બાપુજી દેસાઈની ખડકીમાં આવેલા તેમના વડીલોપાર્જિત મકાનમાં વકીલાતનો અભ્યાસ શરૂ કર્યો હતો. આજે તો બહુ ઓછાને ખબર છે કે વલ્લભભાઈ પટેલ નડિયાદના દેસાઈવગામાં આવેલી બાપુજી દેસાઈની ખડકીના કાશીભાઈ શામળભાઈ દેસાઈના મકાનની મેડીએ રહીને વકીલ થયા હતા. 

વલ્લભભાઈના આ મિત્ર કાશીભાઈ શામળભાઈના પૌત્ર, વડોદરા રહેતાં, ૮૫ વર્ષીય ડૉ. જીતેન્દ્રભાઈ ચતુરભાઈ દેસાઈ પોતાનાં કુટુંબ-ઈતિહાસની ગૌરવગાથાને યાદ કરતાં જણાવે છે કે અમારા દાદા કાશીભાઈ પણ સરદાર પટેલની જેમ નડિયાદમાં મોટા વકીલ થયા હતાં, પરંતુ સરદારે જેમ દેશદાઝ માટે વકીલાત છોડી હતી, તેમ મારા દાદાએ પણ આધ્યાત્મ માર્ગ માટે વકીલાત પડતી મુકી હતી. તેઓ હરદ્વારના ગુરુ ગંગેશ્વરાનંદજીના સંપર્કમાં આવ્યા પછી યોગમાર્ગે વળ્યાં હતાં. 

સરદાર વિશેનાં અનેક સંશોધનો-લખાણો અને જીવનચરિત્રોમાં પણ આ કાશીભાઈનો નામોલ્લેખ સિવાયની કોઈ વિગતો મળી નથી. પરંતુ જેમના ઘરમાં રહીને વલ્લભભાઈએ વકીલાતનો અભ્યાસ કર્યો હતો, એ સ્થળ આપણાં સહુને માટે આજે તો વલ્લભતીર્થ સમાન મહત્ત્વ ધરાવે છે. સદનસીબે હજુ આજે પણ અહીંની બાપુજી દેસાઈની ખડકીમાં એ મકાન જળવાયેલું છે, જે સરદાર સ્મરણ-સ્મારક માટેની મોટી આશા બંધાવે છે.  વલ્લભભાઈ જ્યારે મામાનું ઘર છોડીને મિત્ર કાશીભાઈને ઘેર રહેતા આવ્યાં, એ ત્રણ વર્ષ દરમ્યાન તેમના મિત્ર કાશીભાઈના પિતા શામળભાઈ રણછોડભાઈનું અકાળે અવસાન થયું હતું. આથી એ ઘરમાં ભણતાં બે યુવાન છોકરાઓ, કાશીભાઈ અને વલ્લભભાઈનું પૂરતું ધ્યાન શામળભાઈના પરમમિત્ર અને નડિયાદના જાણીતા પાટીદાર વકીલ ડુંગરભાઈ મૂળજીભાઈ રાખતા હતા. પરંતુ વલ્લભભાઈનો આ વકીલાત અભ્યાસકાળ પણ ઘણાં વિધ્નો અને પડકારોથી ભરેલો હતો.

Tags :