'પ્રેમ મનુષ્યની કમજોરી નથી, પણ શક્તિ છે...'
- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'જે મોસમમાં માણસનું તન-મન મહેંકી ઊઠે છે અને તરવરાટ વધી જાય છે એ મોસમમાં સંસ્કાર આવો શાંત અને ઓછાબોલો કેમ છે?'
નૌ કા અને સંસ્કાર... કેવું રૂડું યુગલ! જોનારાના મોંમાંથી અનાયાસ શબ્દો સરી પડતા, 'હે ભગવાન, નૌકા અને સંસ્કારને કદાપિ અલગ ન થવા દેશો, બન્ને જાણે એકબીજાને માટે જ બન્યાં હોય તેવું લાગે છે. સંસ્કાર સાચે જ સંસ્કારી હતો, તપસ્વી જેવો ભોળો, સાદગીયુક્ત, સાધનામય અને સાત્વિક મનોવૃત્તિવાળો. સદાય અન્યનું ભલું કરવાની વૃત્તિ, પુણ્યની જ પ્રવૃત્તિ.'
સંસ્કારના પાડોશમાં નૌકા રહેતી હતી. નૌકા પણ એટલી જ પ્રેમાળ, નિખાલસ, રૂપરૂપનો અંબાર, પણ અભિમાનનો છાંટો ય નહીં તેનામાં. નૌકાના પિતાનું એકાએક અવસાન થયું ત્યારે નૌકાના બે ભાઈઓમાં સંપત્તિ વહેંચવાનો ઝઘડો ઉપસ્થિત થયો. નૌકાએ સ્વેચ્છાએ જ સમર્પણ અને ત્યાગનો માર્ગ સ્વીકારી પોતાનો ભાગ જતો કરી બન્ને બંધુઓ વચ્ચેની એકતાને ઊની આંચ આવવા દીધી નહોતી, પણ નૌકાના ત્યાગ અને તપની તેના ભાઈઓને કશી જ કિંમત કે કદર નહોતી. ધીરે-ધીરે સ્થિતિ એ આવી કે ભાઈઓ ખાતર ઘરનો ત્યાગ કરનાર નૌકા ખુદ બેધર બની ! અંતે એણે હોસ્ટેલમાં રહેવાનો નિર્ણય કર્યો. હોસ્ટેલમાં દાખલ થવા માટે એની પાસ પૈસા નહોતા... ત્યારે સંસ્કાર તેની મદદે આવ્યો. હોસ્ટેલમાં રહેવા તથા કોલેજમાં અભ્યાસ કરવા માટેનો તમામ ખર્ચ સંસ્કારે ઉપાડી લીધો અને નૌકાને સહારો આપ્યો. નૌકા અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતી. નૌકા અને સંસ્કાર અવાર નવાર મળતાં હતાં. સંસ્કારનું ગરિમામય અને નિર્મળ વ્યક્તિત્વ જોઈને નૌકાએ મનોમન તેને પતિ તરીકે ક્યારનોય પસંદ કરી લીધો હતો. નૌકાએ ડિગ્રી મેળવ્યા બાદ એક પ્રતિષ્ઠિત કંપનીમાં આસિસ્ટંટ મેનેજર તરીકેની નોકરી સ્વીકારી લીધી હતી.
નૌકા અને સંસ્કારે ભવિષ્યમાં લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. દરમિયાન નૌકાની કામ પ્રત્યેની નિષ્ઠા અને કાબેલિયત જોઈને તેની કંપનીના શેઠે તેને નોકરીની ઉજ્જવળ તક આપીને મુંબઈવાળી બ્રાન્ચમાં લઈ જવાની ઈચ્છા નૌકા આગળ વ્યક્ત કરી. નૌકા મુંબઈ જવા માટે આનાકાની કરતી હતી, કારણ કે સંસ્કારને છોડીને જવા માટે તે પોતાના મનને મનાવી શકતી નહોતી. પણ ખુદ સંસ્કારે જ એને કહ્યું હતું : 'નૌકા, તું મારી પાછળ ઘેલી છે ને ? પણ હું તો તને રોકતો જ નથી. મેં તને લાગણી અને સ્નેહ આપ્યાં, એને તું સર્વસ્વ ગણીને બેસી રહીશ, તો ક્યારેક તારે નિરાશ થવું પડશે. લાગણીવેડાથી ક્ષણો ગુજારી શકાય, જીવન નહીં. તારા શેઠ તારા શુભચિંતક છે. તને મુંબઈ લઈ જઈ મોટી પોસ્ટ અપાવતા હોય, તો જવામાં તારે વિલંબ કરવો જોઈએ. તું જાય, એમાં જ તારું શ્રેય છે. તને વિકાસની અનેક ક્ષિતિજો સાદ કરી રહી છે, ત્યારે એને મારા કુંડાળામાં રોકી રાખવાનું મને મુનાસિબ નથી લાગતું. નૌકા, પ્રેમ મનુષ્યની કમજોરી નથી, શક્તિ છે, અને એ શક્તિ હું તારા ઉત્કર્ષ માટે પ્રયોજીશ. તું ખુશ થઈને મુંબઈ જા, હું તારી રાહ જોઈશ.'
અને નૌકા નાના બાળકની જે સંસ્કારના ખભા પર મસ્તક ઢાળીને ખૂબ જ રડી હતી. એને લાગ્યું કે સંસ્કાર એને સાચા હ્ય્દયથી નથી ચાહતો, નહીં તો આમ મને જવા દે ખરો ?
ભારે હૈયે નૌકા મુંબઈ ગઈ હતી. નૌકોને તેના શેઠે પોતાની કંપનીની મેનેજર બનાવી હતી. અને રહેવા માટે એક આલિશાન ફ્લેટ પણ આપ્યો હતો. નૌકાના શેઠ એકવાર પોતાના પુત્ર વિભોરનો પરિચય કરાવવા તેને પોતાને ઘેર તેડી ગયા હતા. વિભોર પણ નૌકાના વ્યક્તિત્વથી અંજાઈ ગયો હતો. વિભોરના મમ્મીને નૌકા ગળેપડુ લાગી હતી, પણ નૌકાની વાતચીત અને વર્તનમાં પ્રતિબિમ્બિત થતી સૌજન્યની ઝલક તેના શેઠ પારખી ગયા હતા. ભવિષ્યમાં નૌકાને પોતાના પુત્ર વિભોરની પત્ની બનાવવાનું તેમણે મનોમન નક્કી કરી નાખ્યું હતું.
એક સમયે નૌકા પણ ભ્રમમાં પડી ગઈ હતી. વિભોર મને પોતાના તરફ ખેંચવાની પ્રવૃત્તિ તો નથી કરતો ને ? પ્રાત:કાળે નૌકા માટે મોગરાનાં ફૂલો લઈ આવવાં, નૌકા ઓફિસમાં આવે તે પહેલાં જ તેના ટેબલ પર ફલાવરવાઝમાં ફૂલો ગોઠવી દેવાં, સૌની નજર છુપાવીને ફોન કરીને નૌકાને ભાવતા ભોજન વિષે પૂછપરછ કરી, એ જ પ્રકારનું ભોજન કેન્ટીનમાં ઓર્ડર આપી બનાવડાવવું, ઓફિસ છૂટવાના ટાઈમે વિભોર ગાડી લઈને નૌકાની ઓફિસે હાજર થઈ જતો.... અને છતાં ય વિભોરના વર્તાવમાં ક્યાંય નહોતી આછકલાઈ કે નહોતું પ્રણય માટેનું મૌન ઈજન અને છતાંય વિભોરના સઘળાં કાર્યો પ્રેમની ઉદાત્ત લાગણીની ચાડી ખાતાં હતો.
શું વિભોર હૈયાની વાત હોઠ સુધી લાવતાં રોકતો હશે ? કદાચ તેના પપ્પાએ નૌકા પર કરેલા ઉપકારો નૌકાની સ્વાભાવિકતાના છીનવી લે, તેની વિભોર તકેદારી રાખતો હશે? કદાચ એમ પણ હોય. નૌકા વિચારતી હતી... જે હોય તે, તેના પોતાના મનમાં તો સંસ્કાર બિરાજિત જ છે... એટલે એણે મનોમન વિભોર તરફ બિલકુલ ધ્યાન નહીં આપવાનું નક્કી કર્યું હતું.
નૌકા સંસ્કારને અવારનવાર ફોન કરીને ખબર પૂછી લેતી હતી. પણ સંસ્કાર તો સંસ્કાર જ હતો... એ નૌકાની ગેરહાજરી બિલકુલ સહન કરી શકતો નહોતો, પણ નૌકા સાથેની વાતચીતમાં પોતાની લાગણી વ્યક્ત કરતો નહોતો. સંસ્કારનો નિખાલસ અને સ્નેહસભર સ્વભાવ નૌકાને ખૂબ જ ગમતો હતો. પણ પ્રેમ અને લાગણી પર જાણે કે સંસ્કારે કડક પહેરો મૂકી દીધો હતો. સંસ્કાર નૌકાની નાની-મોટી આવશ્યકતાઓ મુજબની વસ્તુઓ અવાર-નવાર મુંબઈ મોકલતો અને નૌકાના ફોનની રાહ જોતો... પણ નૌકાને સામેથી ફોન કરીને એને ડિર્સ્ટબ કરવા માંગતો નહોતો. સંસ્કાર પોતાના પ્રેમને કારણે નૌકા પોતાના કાર્યો પ્રત્યે બેધ્યાન થઈ જાય અને પોતાની ફરજ બજાવવામાં જરાપણ ચૂક કરે એવું ઈચ્છતો નહોતો... પણ નૌકા તો કાંઈક જુદું જ વિચારતી હતી કે 'જે મોસમમાં માણસનું તન-મન મહેંકી ઊઠે છે અને તરવરાટ વધી જાય છે એ મોસમમાં સંસ્કાર આવો શાંત અને ઓછાબોલો કેમ છે ? શું છે એના મનમાં ? શું ખરેખર એ એને સાચો પ્રેમ નથી કરતો ?...' બીજી બાજુ વિભોરની આંખોમાં લહેરાતો લાગણીનો સાગર ક્યારેક નૌકાને વિક્ષુબ્ધ કરી મૂકતો હતો... વિભોરનો ભૂલવા માટે નૌકાં તરત જ સંસ્કારનો ફોન કરતી ત્યારે સંસ્કાર બસ તેને ઉપદેશ આપવા મંડી પડતો : 'નૌકા, હું તને ચાહું છું,
એનો અર્થ એ નથી કે હું તને બાંધી રાખું, કેદ કરી રાખું, મારા આકર્ષણની જાળમાં તારે જિંદગીમાં જે અનેક કામો કરવાનાં છે તેમાંનું એક કામ મને પ્રેમ આપવાનું છે પણ, એ જ જીવનું એક લક્ષ્ય ના બનવા દઈશ. નૌકા, તું જે ધ્યેય માટે ગઈ છે તે પૂરો કર. તારો કોઈપણ નિર્ણય મારે માટે દુ:ખનું કારણ નહીં બને કારણ કે હું તારી પાસેથી કશું વસૂલ કરવા તારી નજીક નથી આવ્યો. બસ, જ્યારે અનુકુળ હોય ત્યારે મુંબઈથી પાછી અહીં ટ્રાન્સફર માગી લેજે, હું તારી રાહ જોઈશ.' નૌકાએ વીડીયો કોલમાં જોયું કે સંસ્કારના મુખ પર નહોતો વિષાદ કે નહોતી ડોકાતી વ્યથા... નૌકાનું મન તો એવું સાંભળવા આતુર હતું કે 'નૌકા મને તારા વગર જરાપણ ગમતું નથી. તું નોકરી છોડીને અબઘડી પાછી આવી જા.' પણ અફસોસ.... સંસ્કાર તો સુફિયાણી વાતોમાંથી ઊંચો જ નહોતો આવતો.
બીજી બાજુ વિભોર નૌકાની ખૂબ જ કાળજી રાખતો હતો. નૌકાને ગમતી બધી જ ઈચ્છાઓ એ પૂરી કરતો હતો. એકવાર વિભોરે સામેથી નૌકાને કહ્યું : 'નૌકા, તમે મને ગમો છો, હું તમને ગમતો હોઈશ કે નહીં.... પણ તમારા મનને જાણ્યા વગર વાત કરવી બરાબર નથી.'
ત્યારે નૌકાએ વિભોરના મોં પર આંગળી મૂકી એને આગળ બોલતો અટકાવી દીધો હતો. થોડીકવાર પછી એણે નીચે જોઈને કહ્યું હતું : 'વિભોર, માણસના મનનું શું ? એ તો સાવ પાગલ છે. એને મુક્ત રીતે રાચવા કે નાચવા થોડું જ દેવાય ? પણ મારા જીવનમાં હું આજે જે પોઝીશન પર છું, તે બધું મારા મિત્ર સંસ્કારના કારણે છું. એની લાગણી અને પ્રેમની પીઠમાં ખંજર ભોંકાય એવી કલ્પના મારાથી સ્વપ્નમાં પણ ન થાય. એટલે તમારે માટે હું મારા કરતાં પણ ચઢે એવી એક રાજકુમારી શોધી કાઢીશ.'
'નૌકા, માફ કરજો. મારી લાગણી વ્યક્ત કરવામાં મેં ઉતાવળ કરી નાખી. સોરી.'
'ના વિભોર, તમે કશું ખોટું નથી કર્યું. તમારા પ્રેમની અભિવ્યક્તિ કરી છે... હું પણ સમજું છું કે આટલું બોલવા માટે તમારે કેટલી હિંમત ભેગી કરવી પડી હશે ! તમારા પપ્પાના મારી પર અનેક ઉપકારો છે. તમારા પપ્પા પણ મને પુત્રવધૂ બનાવવાના ઈરાદે જ મુંબઈ લાવ્યા હતા... પણ સંસ્કારના નિ:સ્વાર્થ પ્રેમને હું અન્યાય નહીં થવા દઉ. સંસ્કારના જીવનની પ્રસન્નતા એ જ મારે માટે જીવનનો શાંત કિનારો છે. એણે તો મારા માટે નિરંતર જલતા રહેવાની પ્રતિજ્ઞા લીધી છે. એનું સમર્પણ મારે એળે નથી જવા દેવું. એના પ્રેમને હું નિષ્ફળ જવા દેવા માગતી નથી. મારા સ્નેહની ઉષ્માથી હું સંસ્કારના જીવનને એક નવું જોમ અને ઉત્સાહ આપીશ. વિભોર જેના કારણે હું તમારા પિતા, મારા શેઠની નજરમાં વસી અને તેમણે મને મેનેજરના પદને લાયક ગણી, એનો બધો યશ સંસ્કારને જાય છે.' મારે એને ઠારવો છે. એના થાકેલા જીવનને શાંતિ આપવી છે. હું પળભર માટે તો ભૌતિક સુખો આગળ ડગી ગઈ હતી અને સંસ્કારના ગુણોનો ભૂલી ગઈ હતી. પણ જાગ્યા ત્યાંથી સવાર. વિભોર, આઈ એમ સોરી... સંસ્કાર જ મારા જીવનનું લક્ષ્ય છે.
અને નૌકાએ વિભોરને મળવાનું ઓછું કરી નાખ્યું હતું. વિભોર પણ ભૂલવાનો પ્રયત્ન કરતો હતો પણ ભૂલી શકતો નહોતો. અંતે એણે નક્કી કર્યું કે પોતે સ્વેચ્છાએ નૌકાના જીવનમાંથી ખસી જઉં કારણ કે એના પપ્પાજી પણ નૌકા સાથે લગ્ન કરવા દબાણ કરતા હતા. વિભોર દરરોજ દિવસ એણે મંદિરે દેવદર્શન માટે જતો હતો. એક પુજારીને કહ્યું : 'ભગવાનની સાક્ષીએ આપની પુત્રી અચલા સાથે મારાં લગ્ન ગોઠવી દો અચલા મને પસંદ છે અને પુજારીએ ઘડીઆં લગન લઈ પોતાની પુત્રી અચલા વિભોર સાથે પરણાવી દીધી. હતી. અને વિભોરે પુજારીને પોતાના પપ્પાને આપવા એક ચિઠ્ઠી આપી હતી, જેમાં લખ્યું હતું ' જે ગીત પૂરું ગાઈ શકાય તેમ ન હોય તેને એક ખૂબસૂરત વળાંક આપી સમાપ્ત કરી દેવું એ જ બહેતર છે. પપ્પાનું મને માફ કરજો....