Get The App

ઝાકળ ઝંઝા - પરાજિત પટેલ

- બાપુ, બાપુ ! ડેલીની બહાર તો મોટું ટોળું ઊભું છે ને પંડિતજી એમની દીકરીની લાશ લઇને ઊભા છે !! - છોટિય

Updated: Aug 5th, 2018

GS TEAM

Google News
Google News
ઝાકળ ઝંઝા - પરાજિત પટેલ 1 - image

- 'નિશાળમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને આવ્યો છે. માસ્તરને એટલું બધુ વાગ્યું છે કે એમને દવાખાને દાખલ કરવા પડયા છે !'

'દરબાર ! લો, મારી દીકરીની લાશ ! એ તો મરી ગઈ છે, પણ અમને ય જીવતાં મારી નાખો... અમારે જીવવું નથી, ને તમારા ગામમાં રહેવું નથી. અરે, ગામમાં જ નહિ, આ દુનિયામાં ય રહેવું નથી... ચલાવો તમારી તલવાર !'

- ડેલીની બહાર મોટું ટોળું ખડું થઇ ગયું છે. દરબારની ડેલીએ ટોળાં આવે, એ કોઈ નવાઈની વાત નથી ! પણ આ ટોળું ન તો દાન લેવા કે ન તો કોઈ મદદ માગવા દરબારની ડેલીએ આવ્યું છે.

બાત કુછ ઔર હૈં !
કારણ ?
કારણ કે ટોળાની આગળ ગામના જ પંડિત ધર્મનાથજી, એમનાં પત્ની ગૌરીબહેન અને દીકરો ઊભાં છે. ને પંડિતના ખભે એક યુવતીની લાશ છે... કદાચ એમની દીકરીની છે ! ડેલી આગળ ભારે હોહા સાથે જે શબ્દો બોલાઈ રહ્યા છે, એમાં ભારોભાર વિષાદ છે, તો ભારોભાર ધિક્કાર પણ છે ! એ ન્યાય માગવા નથી આવ્યાં, મરવા આવ્યાં છે 'મારી નાખો અમને ! અમારે જીવવું નથી !'

દરબાર પરાક્રમ બહાદુર ડેલીના હીંચકે બેઠા છે... હીંચકા ખાઈ રહ્યા છે. મોઢામાં પાનનો ડૂચો છે ! દરબાર નિરાંતવા જીવે બેઠા છે. દરબારની ડેલીનો આખાય ગામમાં વટ છે. કારણ કે આઠ આઠ ઓરડાવાળી, બે માળની ડેલી ગામમાં બીજે ક્યાંય ન મળે ! દરબાર આખાય ગામના સર્વેસર્વા છે. એમની હાક અને ધાક છે. કોઇની મજાલ નથી કે કોઈ એમની સામે ઊંચા સાદે બોલી શકે ! ને બોલે તો ?
તો તો આવી જ બને !

તો તો દરબાર તલવાર પકડે !

તો તો પેલાનું મસ્તક ધડથી અલગ થઇ જાય !

ગામમાં ગમે તેવો પ્રશ્ન ચર્ચાતો હોય, કે પછી બે જણ વચ્ચે મોટો ઝઘડો થયો હોય ને બેય પક્ષો કોઇનું માનતા ન હોય... ને અચાનક દરબાર ત્યાં આવે, એટલે આખી ય વાત ઠરી જાય ! ઝઘડો કરનારા શાંત થઇ જાય... ને બંને વચ્ચે કાયમી સમાધાન થઇ જાય. દરબાર કહે પણ ખરા : 'મારા ગામમાં અશાંતિ ન જોઇએ... ખબરદાર જો કોઇએ ઝઘડો કર્યો છે તો ! મારી ધારદાર તલવારને ઝઘડો ગમતો નથી ! સમજી જાવ !'

ને બધા સમજી જાય.
ઝઘડા કરવામાં સાર નથી
શાંત થઇ જાવ.
ઝઘડવાનું બંધ કરી દો.
નહિતર ?
દરબારને નહીં ગમે.
દરબાર ચીઢાશે.
દરબારની તલવાર બહુ ધારદાર છે. ને તલવારને તોફાન ગમતાં નથી !
તો ?

કરી નાખો સમાધાન !
દરબારનાં ઘરવાળાંનું નામ છે : રાજલબા ! ઘરમાં એકનો એક દીકરો છે - રાજમલ ! રાજમલ બાવીસનો થયો છે. પણ છે માથાનો ફરેલ. રાજલબાને તે બહુ વહાલો છે. લાડલો છે એમનો. ખૂબ લાડલડાવે છે રાજલબા દીકરાને ! અને એટલે જ તો રાજમલ માથાભારે થઇ ગયો છે. સાધારણ વાતમાંય મારઝૂડ કરતાં વાર ન કરે ફરિયાદ આવે ને દરબાર એને ખખડાવે કે ધોલધાપટ કરે તો સીધો પહોંચી જાય રાજલબા પાસે એનું મોઢું ઉતરી ગયેલું જોઈ રાજલબા એના માથે હાથ ફેરવી પૂછે : 'શું થયું મારા લાડલા દીકરાને ?'
'બાપુએ માર્યો.'

ને રાજલબા સીધા જ પહોંચી જાય દરબારની પાસે એમની સામે ઊભાં રહે ને બોલે : 'મારા રાજને કેમ માર્યો ?'
'તોફાની થઇ ગયો છે તે.'

'તો આ ઉંમરે એ તોફાન નહિ કરે તો શું તમે કરશો ? છોકરું છે. મજાકમસ્તી તો કરે. પણ એને મારવાનો ન હોય ! બાપ થઇને જુવાન છોકરા પર હાથ ઉપાડતાં તમને કશો જ વિચાર નથી આવતો ? લાડ લડાવવાનાં હોય કે મારવાનો હોય મારા લાડલાને ?'

'આમ કરી કરીને તો તેં એને બગાડી મૂક્યો છે...'ને પછી પત્ની પ્રતિ પ્રેમ વરસાવતાં કહે : 'ગુસ્સો ન કર. તું ગુસ્સો કરે છે ત્યારે બહુ રૃપાળી લાગે છે... આવ, મારી પાસે હીંચકા પર બેસ... થોડીક મજાક મસ્તી કરીએ !'
રાજમલનાં તોફાનો દિનપ્રતિદિન વધતાં જાય છે ! ગામમાં એના બાપની એવી તો ધાક છે કે કોઈ એની સામે બોલી શક્તું નથી ! દરબાર પંડિત ધર્મદાસજીને તેની જન્મ પત્રિકા બતાવતાં કહે : 'પંડિતજી, જોઈ આપોને અમારા રાજમલને સારી કન્યા મળશે કે નહિ ?'

'મળશે. પણ એક વાત જરૃર છે. એને સુધરી જવાની જરૃર છે. આવનારીનો ભવ ન બગડે એટલા માટે ! મંગળ શત્રુસ્થાને પેડલો છે, ને રાહુકેતુ દૂષિત થયેલા છે. એટલે એવું પણ બને કે એનું દાંપત્યજીવન સંઘર્ષમય બની જાય !'

દરબારને સંતોષ.
હાશ, કન્યા તો મળશે.
પણ રાજે સુધરી જવાની જરૃર છે. મંગળ ને રાહુકેતુ બગડેલા છે. ક્યાંક આ બગડેલા ગ્રહો એનો ભવ ન બગાડી નાખે ! ખૂબ ચિંતા છે એમને પોતાના દીકરા માટે. એને મોટો માણસ બનાવવો છે. સમાજમાં એક આબરૃદાર ગૃહસ્થ બને એવું કરવું છે... પણ કરવું શી રીતે ? રાજનાં તોફાનો વધતાં જાય છે. ભણતર પણ છોડી દીધું... માસ્તરના માથામાં સ્લેટ ઠોકીને ડેલીએ આવતો રહ્યો. કહે : 'હવું હું નિશાળે નહિ જાઉં !'

'કેમ ?'
'માસ્તર મને ધમકાવે છે.'
ત્યાં જ મોટા માસ્તર ફરિયાદ લઇને ડેલી એ આવ્યા. કહે : 'બાપુ, આપના રાજે માસ્તરના માથામાં સ્લેટ મારી છે. માસ્તર લોહી લુહાણ થઇ ગાય છે..'

'હેં ?'
'ને ઘાયલ માસ્તરને દવાખાનામાં દાખલ કરાયા છે. બાપુ, તમારી શરમે અમે એને કશું કહેતા નથી.. અરે, અમે શું ? ગામનો કોઈપણ માણસ એના તોફાન અંગે કશું કહેતો નથી ! પણ બાપુ, હવે તો હદ થાય છે.
'બોલાવો રાજને.'

થોડીવારમાં રાજ આવ્યો. મોટા માસ્તરને જોઇને એ ભોંઠો પડયો. છતાં બાપુના હીંચકા સામે ઊભો રહ્યો.
'ક્યાં ગયો છોટિયો ?' દરબારે હાક મારી.

'આ રહ્યો બાપુ !'
'મારી લાકડી લાવ.'
છોટિયો લાકડી લાવ્યો, ને દરબારના હાથમાં મૂકી. અને એ દિવસે દરબારે રાજને બરાબર ધોઈ નાખ્યો. રાજે ચીસ પાડી : 'મા, મને બચાવો...'

રાજલબા દોડતાં આવ્યાં.
લાકડીએ લાકડીએ રાજને ઝૂડતા દરબારની સામે જઇને ઊભાં રહ્યાં : 'એકના એક દીકરાને આવો ઢોરમાર મરાય ? જુઓને, મારા લાડલાની દશા કરીએ છે તે !'
'એણે આજે શું કર્યું છે તે પૂછ એને.'

'શું કર્યું છે ?'
'નિશાળમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને આવ્યો છે. માસ્તરને એટલું બધુ વાગ્યું છે કે એમને દવાખાને દાખલ કરવા પડયા છે !'
હશે ને ? તે માસ્તરનો ય વાંક.
'ના. માસ્તરનો વાંક ન જોવાય. એમનું કામ ભણાવવાનું છે. ને ન આવડે તો બે શબ્દ કહે પણ ખરા ! લઇ જા તારા લાડલાને અહીંથી !' દરબાર ક્રોધથી કાંપતા હતાં : 'આ બધો તારો જ દોષ છે.'
'મેં શું કર્યું છે ?'

'છોકરાને અતિશય લાડ કરીને મેં બગાડયો છે એને. એનાં તોફાનો ને તેં પ્રોત્સાહન આપ્યું છે. જા અહીંથી લઇ જા એને.'

- રાજલબા દીકરાને લઇને જતાં રહ્યાં પછી મોટા માસ્તર તરફ ફરીને દરબાર બોલ્યા : 'મોટા માસ્તર, મારા છોકરાએ જે કાંઈ કર્યું એ બદલ હું માફી માગું છું.ને બીજી વાત -'

'શી ?'
'ઘાયલ માસ્તરને દવાખાનાનો જે કંઇ ખર્ચ થશે તે હું આપીશ... તમે કહેજો એમને કે કોઈ વાતે ચિંતા ન કરે.'
પછી ઘાયલ માસ્તર તો સાજા થઇ ગયા.. પણ દીકરાના તોફાનો વધી ગયાં. રાજલબાએ કહી દીધું : 'બેટા, હવે પછી તારા બાપુ જો તારા પર હાથ ઊપાડે તો મને કહેજે. હું તને લઇને પિયર ઉપડી જઈશ, છો પડયા રહે તારા બાપુ એકલા !'

- અને એ દિવસે દરબાર હીંચકે ઝુલી રહ્યા હતા, ત્યાં જ અચાનક છોટિયો દાદર ચઢીને પ્રગટ થયો! બોલ્યો, એ પણ હાંફતાં હાંફતાં : 'બાપુ, બહાર તો મોટું ટોળું ઉભું છે ને પંડિતજી એમની દીકરીની લાશ લઇને ઉભા છે !'
'હેં ??'
(વધુ આવતા અંકે)

 

Tags :