પુરાણકાળમાં અરિસા નહોતા ત્યારે પણ માણસ જળાશયમાં કે પાણી ભરેલા પાત્રમાં પોતાના ચહેરાનું પ્રતિબિંબની જોઈને તાજ્જુબ થતો. પ્રાચીન વાર્તાઓમાં આવા પ્રતિબિંબ જાદુઇ વાતો પણ વાંચવા મળે છે. લીસી સપાટીવાળી ધાતુઓનો અરીસા તરીકે ઉપયોગ પણ પ્રાચીનકાળથી શરૂ થયો છે. આજે આપણે આપણું પ્રતિબિંબ જોવા, કારમાં રીવરવ્યુ મિરર અને સુશોભન માટે અરીસાનો ઉપયોગ કરીએ છીએ. અરીસા અને પાણીમાં દેખાતાં પ્રતિબિંબનો સિધ્ધાંત તેના પર પડતો પ્રકાશ પરાવર્તન થઈને પાછો આવે છે.
કાચના અરીસા બનાવવાની શોધ ૧૬મી સદીમાં થઈ હતી. કાચની પાછળના ભાગે અપારદર્શક તેજસ્વી ધાતુનું આવરણ ચઢાવી અરીસા બનાવાય છે. કાચની શુધ્ધતા જેટલી વધુ તેટલું સારુ પ્રતિબિંબ દેખાય. વિજ્ઞાન જગતમાં જુદા- જુદા સંશોધનો માટે ઉપયોગી ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં પણ અરીસાનો ઉપયોગ થાય છે. કેટલાક સંશોધનો માટે ચોક્કસ રંગના કિરણો જ પરાવર્તન થાય તેવા અરીસાની જરૂર હોય છે. અરીસા પણ સપાટ જ હોય તેવું નથી. વચ્ચેથી ઉપસેલા ગોળાકાર (બહિર્ગોળ) અરીસામાં પ્રતિબિંબ નાનું દેખાય તો અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ મોટું દેખાય.દરિયાના તળિયે ચાલતી સબમરીનમાં સપાટીના દ્રશ્યો જોવા માટે વપરાતા પેરિસ્કોપમાં અરીસાની જ કમાલ છે.


