ફિટનેસ મુકુંદમહેતા: મેનોપોઝ એટલે શું અને તેની સારવાર કેવી રીતે થાય?
એક રીતે જોતાં સ્ત્રીઓની મેનોપોઝની પરિસ્થિતિની મેડિકલ સારવારની જરૃર નથી આમ છતાં મેનોપોઝ વખતે થતાં લક્ષણોની સારવાર કરાવવી જોઈએ
જ્યારે પુખ્તવયની (૧૨ થી ૧૫ વર્ષની) સ્ત્રીને દર મહિને જે માસિક ધર્મ (યોનિમાંથી નીકળતો લોહીનો સ્ત્રાવ-મેન્ટ્રુએશન) આવતો અટકી જાય જે અંંદાજે ૨૮ થી ૪૮ વર્ષની ઉમ્મર થાય ત્યારે તે વખતે થનારા શારીરિક ફેરફારને ''મેનોપોઝ'' કહેવાય. આનો બીજો અર્થ એટલો કે ત્યાર પછીની સ્ત્રીની બાળકને જન્મ આપવાની અવસ્થા (રિપ્રોડક્ટિવ પિરિયડ) પૂરો થયો કહેવાય છે.
મેનોપોઝ થવાનું કારણ શું?
સ્ત્રીના શરીરમાં ગર્ભાશયની બંને બાજુ ફેલોપીન ટયુબથી જોડાયેલ બે બીજાશય (ઓવરીઝ)માં ગર્ભબીજ (ઓવમ) હોય છે. ઓવરી ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના બે હોર્મોન બનાવે છે જેનાથી માસિક ધર્મની ક્રિયા અને બીજાશયમાંથી ગર્ભબીજ નીકળવાની ક્રિયા પુખ્તવયની સ્ત્રીને (૧૨ થી ૧૫ વર્ષમાં વર્ષ પછી) દર મહિને નિયમિત થાય છે. સ્ત્રી અંદાજે ૩૮ થી ૪૮ વર્ષની થાય ત્યારે બીજાશય (ઓવરી)માંથી ગર્ભબીજ નીકળવાનું બંધ થાય છે અને તે દરમ્યાન આગળ જણાવેલા બન્ને હોર્મોન ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન પણ ધીરે ધીરે નીકળવાના બંધ થાય છે.
એને કારણે માસિક ધર્મ (મેન્સ્ટ્રુએશન) આવવાનો બંધ થાય છે. આ સમયને સ્ત્રી મેનોપોઝમાં આવી એમ કહેવાય છે. આગળ જણાવ્યા પ્રમાણે સ્ત્રીને ૪૦ વર્ષ થાય ત્યાર પછી થનારી આ કુદરતી અવસ્થા છે. કોઈ વખત સ્ત્રીઓને મેનોપોઝ ૪૦ વર્ષ પહેલા આવે પણ તેના કારણ હોય છે. જેમકે ગર્ભાશયમાં ગાંઠ (ફાઇબ્રોઈડ) હોય તેને કારણે ઓપરેશન કરીને આખું ગર્ભાશય કાઢી નાંખ્યું હોય અથવા ઓવરીની જન્મજાત ખામી હોય કે દવાઓ (કેમોથેરપિ)ને કારણે નુકશાન થયું હોય. વજન ખૂબ વધારે હોય, દારૃ પીવાની ટેવ હોય ત્યારે મેનોપોઝ ૪૦ વર્ષ પહેલા આવે તેને 'પ્રીમેચ્યોર મેનોપોઝ' કહેવાય.
મેનોપોઝનું નિદાન કેવી રીતે થાય?
મોટાભાગે દરેક સ્ત્રીને મેનોપોઝ આવે તે વખતે થનારા નીચે જણાવેલા લક્ષણોની ખબર પડે છતાં નિષ્ણાંત 'ગાયનેકોલોજિસ્ટ'ની સલાહ લેવી જોઈએ.
૧. સ્ત્રીઓને કોઈ કારણ વગર 'હોટ ફ્લેશ' એટલે ઓચિંતાનું શરીરના ઉપરના ભાગ (ગળાથી પેટ સુધી)માં ગરમી લાગે અને ખાસ કરીને રાત્રે પરસેવો થાય અને કોઈ વાર એકદમ ઠંડી લાગે. ૨. માસિક ધર્મ આવવાનો સમય અનિયમિત થઈ જાય અને લોહીનો સ્ત્રાવ ઓછો આવે. ૩. બરોબર ઊંઘ ના આવે. ૪. મૂડ કોઈ વખત સારો રહે પણ કોઈ વખત કારણ વગર ગુસ્સો આવે. ૫. કશું ગમે નહીં. ૫. ખૂબ થાક લાગે. ૬. ડિપ્રેશન આવે ૭. હૃદયના ધબકારા વધી જાય. ૮. માથું દુ:ખે. ૯. આખા શરીરના સાંધા અને સ્નાયુ દુખે. ૧૦. બાથરૃમ જવામાં ઉતાવળ કરવી પડે જેને યુરીનરી ઈન્કન્ટીનન્સ કહેવાય. ૧૧. યોનિમાર્ગ સુકાઈ જાય અને ૧૨. જાતિય શક્તિ ઓછી થઈ જાય. ૧૩. વજન વધતું જાય.
સ્ત્રીઓની ઓવરી (બીજાશય)માંથી ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોન ધીરે ધીરે ઓછા નીકળવા માંડે ત્યારે મોટાભાગની સ્ત્રીઓને ઉપર જણાવેલા લક્ષણો થાય. જ્યારે આ બન્ને હોર્મોન નીકળવાના તદ્દન બંધ થઈ જાય ત્યારે મોટી ઉંમરની સ્ત્રીઓના શરીરમાં વધારાના લક્ષણો થાય. ૧. ઓસ્ટીઓપોરોસિસ (હાડકાં પોલા થઈ જવા) ૨. હૃદયરોગ. ૩. બાથરૃમ અને ટોઈલેટનો કંટ્રોલ ના રહે. ૪. યાદશક્તિ ઓછી થઈ જાય. ૫. શરીરની ચામડી ઢીલી થઈ જાય અને કરચલી પડી જાય અને વાળ ઓછા થઈ જાય.
સ્નાયુ પાતળા અને ઢીલા થઈ જાય અને તેમાં જોર ના રહે. ૭. આંખે ઓછું દેખાય અને મોતિયો આવે. ૮. સ્તન ઢીલા પડી જાય. આમ છતાં મેનોપોઝની વિશેષ ખાત્રી કરવા માટે એક્રેડિટેડ પેથોલોજી લેબોરેટરીમાં ઈસ્ટ્રોજન હોર્મોન તેમજ પ્રોજેસ્ટ્રોન હોર્મોનની તપાસ કરાવવી જોઈએ. જો ઈસ્ટ્રોજન હોર્મોન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોનનું પ્રમાણ ઘટયું હોય તો મેનોપોઝની શરૃઆત થઈ છે તેની ખબર પડે, આ સિવાય ''થાઈરૉઈડ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન'' (ટી.એસ.એચ.)ની તપાસ પણ કરવામાં આવે કારણ જો થાઈરોઇડ ગ્રંથિ પણ ઓછી એક્ટિવ હોય ત્યારે પણ મેનોપોઝ જેવા લક્ષણો થાય છે.
મેનોપોઝની સારવાર કેવી રીતે થાય?
એક રીતે જોતાં સ્ત્રીઓની મેનોપોઝની પરિસ્થિતિની મેડિકલ સારવારની જરૃર નથી આમ છતાં મેનોપોઝ વખતે થતાં લક્ષણોની સારવાર કરવી જોઈએ :
૧. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (એચ.આર.ટી.) :
આગળ જણાવ્યા પ્રમાણે ઓવરીમાંથી નીકળતા ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોન ઓછા નીકળવા માંડે એટલે મેનોપોઝની શરૃઆત થાય અને સ્ત્રીઓને અનેક પ્રકારના આગળ જણાવેલા લક્ષણો થાય. તે માટે ગાયેનેકોલોજિસ્ટ ઓછા ડોઝમાં શરૃમાં ઈસ્ટ્રોજન અને સ્ત્રીનું ગર્ભાશય કાઢી નાખેલ હોય તો પ્રોજેસ્ટ્રોન પણ આપે. આ પ્રકારની હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપિથી સ્ત્રીને થનારા લક્ષણોમાં ફેર પડે પણ આ 'હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપિ' લાંબો વખત આપવામાં આવે તો સ્ત્રીઓને કેન્સર અને હાર્ટએટેક આવવાની શક્યતા વધી જાય. આ કારણથી ગાયનેકોલોજિસ્ટ દર્દીનું સતત ધ્યાન રાખીને યોગ્ય સારવાર કરે. આ ઉપરાંત યોનિમાર્ગ સુકાઈ જાય તે માટે ઓછા ડોઝવાળા ઈસ્ટ્રોજન ક્રીમ લગાડવાની સારવાર આપે.
૨. હોટ ફ્લેશીસ : (શરીર ઓચિંતાનું ગરમ લાગે અને પરસેવો થાય)
'ન્યુરોન્ટીન' નામની દવા જે સામાન્ય રીતે આંચકી માટે આપવામાં આવે છે તે અને ક્લોનીડીન જે બ્લડ પ્રેશર માટે આપવામાં આવે છે તે લેવાથી હોટ ફ્લેશીસ (ઓચિંતા શરીર ગરમ લાગવું અને પરસેવો થવો)ની ફરીયાદ જતી રહે છે.
૩. ડિપ્રેશન :
મેનોપોઝ વખતે મોટાભાગની સ્ત્રીઓને થતી ડિપ્રેશનની ફરિયાદ માટે એન્ટી ડિપ્રેશન્ટ દવાઓ આપવામાં આવે છે.
૪. ઓસ્ટીઓપોરોસિસ (હાડકાં પોલા થઈ જવા) :
મેનોપોઝ આવેલ હોય તેવી મોટી ઉંમરની સ્ત્રીઓને થનારી આ પ્રકારની તકલીફ માટે વિટામિન ડી-અને કેલ્શ્યમની ગોળીઓની સારવાર આપવામાં આવે છે.
(ક્રમશ:)
મેનોપોઝ વખતે થતી ફરિયાદની વૈકલ્પિક સારવાર :
૧. હોટ ફ્લેશિસ માટે ઠંડા પાણી અને બીજા પ્રવાહીનો ઉપયોગ કરવો. ગરમી હોય ત્યારે બહાર જવું નહીં. ઠંડા પાણીથી સ્નાન કરવું. ૨. પૂરતી ઊંઘ લેવી જોઈએ. ૩. નિયમિત કસરતનો કાર્યક્રમ જેમાં યોગ અને મેડિટેશન હોય તે અમલમાં મૂકવો જોઈએ. ૪. સિગારેટ દારૃ વગેરે બંધ કરવા જોઈએ. ૫. યોગ્ય સંતુલિત અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ જેમાં લીલા શાકભાજી,તાજા ફળો આવે અને વધારે ખાંડ અને ચરબીવાળી મીઠાઈઓ, કેક, પેસ્ટ્રી, બિસ્કિટ, શરબતો બંધ કરવા જોઈએ. ૬. વનસ્પતિમાં રહેલા ફાયટોઇસ્ટ્રોજનનો ઉપયોગ કરવો જોઈએ. ફાયટોઇસ્ટ્રોજન બે પ્રકારના હોય છે.
'આઈસોફ્લેવોન' સોયાબીન, ચણા, તુવેરમાં હોય છે અને 'લિગ્નીન' અળસી અને આખા અનાજ એટલે ચાળ્યા વગરના અનાજના લોટમાં હોય છે. જો મેનોપોઝની તકલીફ વખતે 'હોર્મોન રિપ્લેસમેન્ટ' દવાઓ વાપરવાથી કેન્સર કે હાર્ટ એટેકનો ડર રહે છે માટે કુદરતી પદાર્થોમાંથી મળતા ફાયટોઈસ્ટ્રોરોજન લેવા જોઈએ. આ માટે એક વાટકી કાચા સોયાબીન લાવી તેને સાફ કરીને ઉકળતા પાણીમાં બાફીને પછી વઘારીને ખાઈ જાઓ, અથવા તેનું મિકસરમાં દૂધ કાઢીને પીઓ અથવા તેને શેકી મરી મસાલા નાખી ચણાની માફક ખાઈ જાઓ. આ પ્રમાણે રોજ ખાવાથી મેનોપોઝના લક્ષણોમાં ઘણો ફરક પડશે. ૭. બીજી સારવારની પદ્ધતિમાં એક્યુપંક્ચર અને હિપ્નોસિસ ક્વૉલિફાઈડ વ્યક્તિ પાસે કરાવી શકાય જેનાથી ફાયદો થઈ શકે.
એન્ડ્રોપોઝ એટલે શું?
પુરુષોની શુક્રગ્રંથિ (ટેસ્ટીસ)માંથી નીકળતા 'ટેસ્ટોસ્ટ્રોન' નામના હોર્મોનને કારણે સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોનો બાંધો અને કદ અને અવાજ મોટો હોય છે. સ્નાયુ મોટા અને મજબૂત હોય છે અને મોં પર (દાઢી અને મૂછ) વાળ હોય છે. ટેસ્ટોસ્ટ્રોનને કારણે શુક્ર ગ્રંથિમાં શુક્રાણું ઉત્પન્ન થાય છે અને પુરુષોની જાતિય શક્તિનો આધાર પણ ટેસ્ટોસ્ટ્રોન હોર્મોનના પ્રમાણને કારણે હોય છે.
ટેસ્ટોસ્ટ્રોન હોર્મોનનું નોર્મલ લેવલ ૨૭૦ થી ૧૦૭૦ એનજી/ડીએલની વચ્ચે ગણાય અને એવરેજ ૬૮૦ એનજી/ડીએલ હોવું જોઈએ. સામાન્ય રીતે ટેસ્ટોસ્ટ્રોન હોર્મોનનું લેવલ ૨૦ વર્ષે વધારેમાં વધારે હોય અને જેમ પુરુષોની ઉંમર વધતી જાય તેમ તેમ (૪૦ વર્ષથી શરૃ કરીને ૬૦ વર્ષ સુધીમાં) આ હોર્મોનનું પ્રમાણ ઓછું થવા માંડે છે. ટેસ્ટેસ્ટ્રોન હોર્મોનનું પ્રમાણ ઓછું થવાને કારણે પુરુષના શરીરમાં જે લક્ષણો થાય છે એને 'એન્ડ્રોપોઝ' કહે છે.
અહીં એક વાત યાદ રાખવા જેવી છે કે સ્ત્રીઓને મેનોપોઝ વખતે બીજાશય (ઓવરી)માંથી ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોજન નામના હોર્મોન નીકળતા બંધ થાય છે અને બીજાશયમાંથી ગર્ભબીજ નીકળવામાં પણ બંધ થાય છે એટલે તેમનો બાળકને જન્મ આપવાની અવસ્થા (રિપ્રોડક્ટિવ પિરિયડ) પૂરો થયો કહેવાય છે. જ્યારે મોટાભાગના પુરુષોને સ્ત્રીની સરખામણીમાં 'એન્ડ્રોપોઝ'ની શરૃઆતની અવસ્થા વખતે પણ ટેસ્ટોસ્ટ્રોન હોર્મોન નીકળે છે અને તેને કારણે શુક્ર ગ્રંથિમાં શુક્રાણુ ઉત્પન્ન થવાની ક્રિયા થતી જ હોય છે. આને કારણે પુરુષોની પ્રજોપ્તિ (બાળકો ઉત્પન્ન કરવાની)ની શક્તિ મોટી ઉંમર સુધી ચાલુ રહે છે.
એન્ડ્રોપોઝના લક્ષણો :
૧. જાતિય શક્તિ ઓછી થાય જેને કારણે 'સંભોગ'ની ક્રિયા બરોબર ના થાય. ૨. ખૂબ થાક લાગે. ૩. ડિપ્રેશન આવે. ૪. વારે વારે ગુસ્સે થઈ જાય. ૫. શરીરના સ્નાયુ ધીરે ધીરે પાતળા થવા માંડે જેના લીધે રોજિંદી ક્રિયા (દિનચર્યા) કરવામાં પણ થાક લાગે. ૬. મૂડ (સ્વભાવ) બદલાઈ જાય અને મગજ ઘુમ થઈ જાય. ૭. શરીરમાં ચરબીનું પ્રમાણ વધે જેને કારણે વજન વધે. ૮. સ્ત્રીઓની માફક કોઈ વાર ઓચિંતી ગરમી લાગે (હોટ ફ્લેશ) ૯. હાર્ટ એટેક આવે. ૧૦. હાડકાં પોલા થવાની ક્રિયા (ઓસ્ટીઓપોરોસિસ) થાય.
એન્ડ્રોપોઝનું નિદાન કેવી રીતે થાય :
૧. ડોક્ટર તમારી જાતિય શક્તિ ઓછી થવાનું કારણ બ્લડ પ્રેશર અને/અથવા ડાયાબિટીસ છે કે નહીં તે માટે બન્નેની તપાસ કરી લે.
૨. તમારા લોહીમાં 'ટેસ્ટોસ્ટ્રોન હોર્મોન'નું લેવલ માપવાનું જણાવે. જો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર ના હોય અને 'ટેસ્ટોસ્ટ્રોન હોર્મોન'નું લેવલ નોર્મલ કરતાં ઓછું હોય તો 'એન્ડ્રોપોઝ'નું નિદાન નક્કી થાય.
અહીં એક વાત યાદ રાખવાની કે 'હાયપોગોનાડીઝમ' નામના રોગમાં પણ આ ટેસ્ટોસ્ટ્રોન હોર્મોનનું લેવલ ઓછું હોય છે.
એન્ડ્રોપોઝની સારવાર કઈ રીતે કરવામાં આવે :
૧. 'ટેસ્ટોસ્ટ્રોન' હોર્મોન લેવાના ચાર પ્રકારો છે.
૧. 'સ્કીન પેચ' : જે કોરી કરેલી બરડાની, પેટની, હાથની, પેટની અને સાથળની ચામડી ઉપર લગાડવામાં આવે છે જેનાથી ચામડી મારફતે ટેસ્ટોસ્ટ્રોન શરીરમાં જાય છે. ૨. 'ટેસ્ટોસ્ટ્રોન જેલ' જે હાથની ચામડી ઉપર લગાડવામાં આવે છે. તે દર્દીના શરીરમાં ચામડી મારફતે જાય. ૩. ટેસ્ટોસ્ટ્રોન કેપ્સ્યુલ દિવસમાં બે વખત જમ્યા પછી મોં વાટે લેવાની હોય છે પણ જે પુરુષોનું લિવર નબળું હોય, હાર્ટ એટેક આવેલો હોય અને કિડનીના રોગ હોય તેમણે કેપ્સ્યુલ લેવી ના જોઈએ. ૪. ટેસ્ટોસ્ટ્રોનના ઈન્જેક્શન (ઈન્ટ્રામસ્ક્યુલર) દર બે અઠવાડિયે આપીને સારવાર કરવામાં આવે છે.
૨. બીજા ઉપાયો :
નિયમિત કસરત કરવી જોઈએ. માનસિક તનાવ દૂર કરવા યોગ અને ધ્યાન (મેડિટેશન) કરવા જોઈએ. સંતુલિત પૌષ્ટિક ખોરાક જેમાં યોગ્ય પ્રમાણમાં પ્રોટીન, પ્રમાણસર લીલા શાકભાજી અને તાજા ફળો બને તેટલું ઓછુ ખાંડ અને મીઠાનું અને ચરબીનું પ્રમાણ અને પાણી અને બીજા પ્રવાહીનું કુલ પ્રમાણ એક લિટર જેટલું રાખવું જોઈએ.
મેનોપોઝ અને એન્ડ્રોપોઝની વચ્ચે ફરક કયો?
૧. મોટાભાગની સ્ત્રીઓને જ્યારથી ૧૦ થી ૧૫ વર્ષની ઉંમરે માસિક ધર્મ શરૃ થાય ત્યારથી જ એટલે કે નાનપણથી જ તેમના માતા અથવા બીજા વડીલો તરફથી અને મિત્રો તરફથી મેનોપોઝ વિષે સંપૂર્ણ જાણકારી હોય છે. જ્યારે મોટા ભાગના પુરુષોને નાની ઉંમરે હોય કે મોટી એન્ડ્રોપોઝ વિષે કશી માહિતી હોતી નથી. જ્યારે તેમના શરીરમાં અંદાજે ૪૦ થી ૬૦ વર્ષ દરમ્યાન પ્રજોપ્તિ માટે જવાબદાર હોર્મોન ટેસ્ટોસ્ટ્રોનનું પ્રમાણ ઓછું થવા માંડે ત્યારે તેમની જાતિય શક્તિ ઓછી થાય ત્યારે તેમને 'એન્ડ્રોપોઝ' વિષે ખબર પડે છે.
૨. સ્ત્રીઓને મેનોપોઝ પછી બાળક ઉત્પન્ન કરવાની શક્તિ હોતી નથી જ્યારે પુરુષને મોટી ઉંમર સુધી ટેસ્ટોસ્ટ્રોન લેવલમાં થોડો ફેરફાર હોવા છતાં તેને કારણે શુક્રગ્રંથિમાં શુક્રાણુ ઉત્પન્ન થવાની ક્રિયા ૬૦-૭૦ વર્ષ સુધી ચાલુ જ હોય છે. આ સમયે તેમની બાળક ઉત્પન્ન કરવાની ક્રિયામાં ફેર પડતો નથી.