Get The App

કોવિડ-19, સ્ટેટેસ્ટિકલ લાઈફ અને આઇડેન્ટિફિએબલ લાઈફ

- તમે અમિતાભ,શંકરસિંહ બાપૂ હો તો ચિંતા નથી

- અર્વાચિંતનમ્ : પરેશ વ્યાસ

Updated: Aug 2nd, 2020

GS TEAM

Google News
Google News
કોવિડ-19, સ્ટેટેસ્ટિકલ લાઈફ અને આઇડેન્ટિફિએબલ લાઈફ 1 - image

- તમે અમિતાભ,શંકરસિંહ બાપૂ હો તો ચિંતા નથી. પણ જો તમારી ઓળખાણ કે પિછાણ નહીં હોય તો તમારે કોઈ પણ હિસાબે કોવિડ-૧૯નાં સંક્રમણથી બચવું જરૂરી છે. 

સરકાર આંકડા છૂપાવે છે. એવી કહેવાતી અફવા છે કે ખરેખર સંક્રમણ મણનાં માપે છે પણ કિલોનાં માપે આંકડા જાહેર કરવામાં આવે છે. આજકાલ ગુજરાતમાં નવજાત સંક્રમણનો રોજિંદો અધિકૃત આંકડો ૧૦૦૦ની  ઉપર પહોંચી ચૂક્યો છે. પણ સાચો સ્કોર વધારે છે. સાચું ખોટું રામ જાણે.  કહેવાય છે કે રોજ મરે છે, એ ય બતાવે છે, એનાથી ઝાઝા હોય છે. અને આવી ચર્ચા સોશિયલ મીડિયા ઉપર રોજ થાય છે. સાચા આંકડા જાણીને પણ આપણે શું કરીશું? માની લો કે ગુજરાતમાં રોજ ૫૦૦૦ લોકો સંક્રમિત થાય છે. અને માની લો કે રોજ ૫૦૦ લોકો મરે છે. તો શું લોકો કાળજી લેશે? અને હવે તો રાતનો કરફ્યુ ય હટયો છે. છૂટછાટમાં ય હવે છૂટ મળી છે. લોકો તો નાફિકરા છે જ. સાદા નિયમોનું ય પાલન કરતાં નથી. પોલિસ કે મ્યુનિસિપાલિટી દંડો મારે કે દંડ કરે તો ઉહાપો મચાવે છે પણ માસ્ક, સેનેટાઈઝર કે ફિઝિકલ ડિસ્ટન્સિંગ પહેરતાં કે જાળવતા નથી. નફ્ફટ લોકો હોય તો સરકાર ય શું કરે? અને આપણાં કહેવાતા મનનીય અને માનનીય, પ્રાતઃસ્મરણીય અને સાંધ્યસ્મરણીય રાજકારણીઓ પણ ક્યાં સમજે છે? તેઓ તો ભોળાં છે જે પ્રસંગોપાત ભેળાં મળે છે, રેલી કાઢે છે, સભા ભરે છે. નિયમોની ઐસીતૈસી.... પણ એમની વાત જુદી છે. આપણે રહ્યા સામાન્ય લોકો. આપણે તો ડરવું જરૂરી છે. અને છતાં...

સરકારને માલૂમ થાય કે રોજનાં સાચા આંકડા જાહેર કરવાથી કોઈ ફરક નહીં પડે. કારણ કે માનવ જિંદગીનાં બે પ્રકાર છે. ૧. સ્ટેટેસ્ટિકલ લાઈફ (આંકડાશાસ્ત્રીય જિંદગી) અને ૨. આઇડેન્ટિફિએબલ લાઈફ (ઓળખાણાત્મક જિંદગી). અમિતાભ બચ્ચનને કોરોના થાય તો એ આઇડેન્ટિફિએબલ લાઈફ છે. કોઈ કોરોના વોરિયરનું મૃત્યુ થાય તો એ આઇડેન્ટિફિએબલ લાઈફ છે. બાકી બધાં તાજા સંક્રમિત કે સંક્રમિત થઈને થયેલા મોત, એ સ્ટેટેસ્ટિકલ લાઈફ છે. એની કોઈને કાંઈ પડી નથી. હમણાં પોતાની દીકરીઓ પાસે હળ ખેંચાવતા ખેડૂતનો ફોટો વાઇરલ થયો તો સોનુ સૂદે ટ્રેક્ટર મોકલી આપ્યું. બે મહિના અગાઉ દિલ્હીનાં ફેરિયા પાસે કેટલાંક લોકો કુલ ત્રીસ હજાર રૂપિયાની કેરી લૂંટી ગયા હતા. સમાચાર સોશિયલ મીડિયા ઉપર વહેતા થયા અને એટલાં લોકોએ મદદ કરી કે મદદનો આંકડો આઠ લાખ રૂપિયા થઈ ગયો. કેમ? કારણ કે એ આઇડેન્ટિફિએબલ લાઈફ હતી. કોઈ બાળકનાં અસાધ્ય રોગની સારવાર માટે મદદનો પોકાર સંભળાય કે ટહેલ નંખાય તો લોકો મદદ કરે જ છે કારણ કે એ આઇડેન્ટિફિએબલ લાઈફ છે. પણ લોકોને કહીએ કે ઇન્કમટેક્સ કે સેલ્સટેક્સ પૂરેપૂરો ભરો જેથી એ પૈસાનો ઉપયોગ કરીને સરકારી હોસ્પિટલ્સનો કારભાર વ્યવસ્થિત ચાલી શકે તો ય લોકો તો શક્ય એટલી કરચોરી કરે જ છે. કારણ કે સરકારી હોસ્પિટલ્સમાં રોજ મરતા લોકો સ્ટેટેસ્ટિકલ લાઈફ છે. એનાથી કોઈ વ્યથિત થતાં નથી, કોઈ લાગણીનાં ઘોડાપૂર ઉમટતા નથી, કોઈ મદદે આવતા નથી કારણ કે એ સ્ટેટેસ્ટિકલ લાઈફ છે. માત્ર આંકડામાં સમાયેલી અને સમેટાયેલી જિંદગીઓ આપણને દ્રવિત કરતી નથી. 

જિંદગીનું મૂલ્ય શું? તમે આ બે પૈકી કઈ જિંદગી છો? તમે અમિતાભ બચ્ચન હો કે શંકરસિંહ બાપૂ હો તો ચિંતા નથી. પણ જો તમારી ઓળખાણ કે પિછાણ નહીં હોય તો તમારે કોઈ પણ હિસાબે કોવિડ-૧૯નાં સંક્રમણથી બચવું જરૂરી છે. જરૂરી હોય તો જ ઘરથી બહાર જવું. અને એવું તમામ કરવું જે તમારા ટેલીફોનની કોલર ટયૂનની સરકારી જાહેરાતમાં કહે છે. ચાનાં ગલ્લે કે ફાફડાંની લારીએ કે તીનપત્તીની મહેફિલે ટોળે વળવાની જરૂર નથી. દેવદર્શનની ય જરૂર ક્યાં છે? તનનો તંબૂરો એકલો રણકારો અને મનનાં મેળે મળવાનું રાખો કારણ કે આપણે એક સ્ટેટેસ્ટિકલ લાઈફ છીએ. સરકારી જન્મ-મરણ રજીસ્ટરમાં આપણે માત્ર એક આંકડો છીએ, જેનું કોઈ મૂલ્ય નથી, જેની કોઈ કિંમત નથી. કહે છે કે જીવનમાં ત્રણ વસ્તુથી જરૂર ડરો. એક વાઇરસ, બીજી પત્ની (કે પતિ) અને ત્રીજા હરિ. બાકી હરિ, હરિ....

Tags :