For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોના કાળમાં કોર્પેારેટ સર્કલમાં ચાર્ટર્ડ પ્લેનના વપરાશનો ક્રેઝ..

- અલ્ટ્રા હાઇ નેટવર્થ ધરાવતા લોકોની વિમાનમાં ઉડાઉડ

Updated: Aug 1st, 2021


- વિમાન પ્રવાસમાં પણ ભીડભાડ શરૂ થતાં હવે હાઇ નેટવર્થ ધરાવતા લોકો સ્પેશ્યલ પ્લેન અને ચાર્ટર્ડ સવલતો તરફ વળ્યા છે

ભારતના હાઇ નેટવર્ક અને અલ્ટ્રા હાઇ નેટવર્ક ધરાવતા લોકો ભલે માંડ ૧૦,૦૦૦ જેટલા હોય પણ આ એ લોકો છે કે જે કરોડોમાં કમાય છે અને પોતાના બિઝનેસ માટે ચાર્ટર્ડ પ્લેન સિવાય ફરતા નથી. નવોદિત વેપારી જેમ બિઝનેસ માટે મુંબઇ જવા એ.સી કોચનો ઉપયોગ કરે એમ ભારતના અતિ પૈસાદારો ખાનગી વિમાનોનો કે હેલિકોપ્ટરોનો ઉપયોગ કરે છે. આવા લોકોને સમયની કિંમત હોય છે. પરંતુ તેમનેા ચાર્ટર્ડ પ્લેન માટેનો શોખ સતત વધી રહ્યો છે. કોરોના કાળમાં તો ભારતના અતિ પૈસાદારો ચાર્ટર્ડ પ્લેનમાંજ મુસાફરી કરે છે.

હવે તો પૈસાદારો પોતાનુ ચાર્ટર્ડ પ્લેન નહીં પણ એર લાઇન્સ ઉભી કરવા માંગે છે. ટાટા વાળા એર ઇન્ડિયા ખરીદવા તૈયાર છે પરંતુ અન્ય લોકો પણ તે ખરીદવા તૈયાર હોઇ મામલો ગુંચવાયો છે પરંતુ રાકેશ ઝુનઝુનવાલાએ તો પોતાની એર લાઇન્સ ચાલુ કરવા મનમનાવી લીધું છે. અનેક એર લાઇન્સ ફડચામાં ચાલી રહી છે. આવા ડેડ એકમોને જીવાડવાના પ્રયાસો કરવાના બદલે તેવી કંપનીઓને ફડચામાં લઇ જવી જોઇએ એમ બજારના નિષ્ણાતો માની રહ્યા છે. 

જેમકે સ્પાઇસ જેટ કરોડોની ખોટ ખાઇને હજુ ઓપરેટ કરી રહી છે. દરેક નબળા એકમો એમ માને છે કે કોરોનાના નિયંત્રણો હટશે એટલે  તેજી જોવા મળશે અને ફંડીંગ કરતી કંપનીઓ પણ વહારે આવશે. 

કારમાં પ્રવાસનું રેન્ટ જેમ કિલોમિટર પર હોય છે એમ ચાર્ટર્ડ પ્લેનનું ભાડું કલાક પર હોય છે. જેમાં વિમાન ટેકઓફથી રિટર્નમાં લેન્ડીંગનો સમય, એરપોર્ટ પર પાર્કીંગ, પાઇલોટ અને સ્ટાફનો ખર્ચો વગેરેનો સમાવેશ થાય છે. 

કોરોનામાં ચાર્ટર્ડ પ્લેનની ડિમાન્ડ ઉભી થઇ છે. ચાર્ટર્ડ પ્લેનની જેમ સ્પેશ્યલ વિમાનની સવલતો આપતી કંપનીઓ પણ ઉભી થઇ છે. મુંબઇથી ગોવા ૧૫-૨૦ના ગૃપમાં જનારાઓ માટે આવી સેવાઓ કાર્યરત છે. પ્રવાસ બાય રોડ કે બાય ટ્રેન કરવાના બદલે બાય એર જવાનો ટ્રેન્ડ વધવાના કારણેજ સ્પેશ્યલ વિમાનોની સવલતો ઉભી થઇ છે.

સ્પેશ્યલ વિમાનની સવલત કે ચાર્ટર્ડ પ્લેન માટે એરપોર્ટ પર બહુ સમય નથી બગડતો અને બધુંજ ઓનલાઇન બુકીંગ થઇ જતું હોય છે. મુંબઇથી શ્રીનાથજી જનારાઓ ઉદેપુર સુધી બાય એર જાય છે અને ત્યાંથી શ્રીનાથજી બાય રોડ પહોંચે છે. જેમ વિમાન મુસાફરો વધ્યા એમ એરલાઇન્સની સંખ્યા વધી હતી. એર પ્રવાસના ભાડાં વધ્યા હોવા છતાં કેટલીક એરલાઇન્સ ખોટ કરી રહી છે તેવું જાણવા મળે છે.

સરકાર એર ઇન્ડિયા નામનો ખોટ ખાતો હાથી બાંધીને બેઠી છે. ડિસઇન્વેસ્ટમેન્ટનું શસ્ત્ર ઉઠાવવાની હિંમત સરકારમાં હોય એમ લાગતું નથી. રૂપિયા ૧૦,૦૦૦ કરોડની ખોટ ખાઇને બેઠેલી એર ઇન્ડિયાએ ભારતના ઉડ્ડયન ઉધ્યોગનું નાક કાપ્યું છે.

સરકાર ખોેટ ખાતા એકમોને વેચવા માંગે છે પણ વિપક્ષો એમ કહે છે કે મોદી સરકાર સરકારી સંપત્તિ વેચી મારે છે તેવા આક્ષેપોથી ડરે છે. 

કહે છે કે નવા ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યમ વર્ગને પોષાય એવી ફ્લાઇટ ઉભી કરવા માંગે છે તેમજ ઇમર્જન્સી માટે હેલિકોપ્ટરોનો ઉપયોગ થાય તે માટે હેલિપેડ જેવી સવલતો ધાર્મિક સ્થળ અનેે હોસ્પિટલની નજીક ઉભી કરવા માંગે છે . ,જો એમ થાય તો સરકાર એર એમબ્યુલન્સના પ્રોજેક્ટ જેવી સવલતો ઉભી કરવાની દિશામાં આગળ વધી શકે છે. 

હકીકત તો એ છે કે એર ટ્રાવેલ્સ કોમન બનતી જાય છે. એરપોર્ટ પરની અવર જવર પહેલાં પૈસાદારા પુરતી સિમિત હતી હવે ત્યાં કોમન પીપલના ટોળાં જોવા મળે છે. બિઝનેસ ક્લાસમાં પણ સામાન્ય પ્રજા જોવા મળે છે. અમદાવાદ -મુંબઇ અને અમદાવાદ-દિલ્હી વચ્ચેનો એર ટ્રાફિક ભરચક જોવા મળે છે. એવીજ રીતે અન્ય હવા ખાવાના સ્થળો માટે  સવલતો ઉભી કરાઇ છે. 

ભારતના લોકો ખાસ કરીને ગુજરાતી બિઝનેસમેનને બાય એરની અવર જવરની ફાવટ આવી ગઇ હોય એમ લાગે છે. કેટલાક પૈસાદારોના કુટુંબના સંતાનોએ તો એસ.ટી બસોમાં પ્રવાસ કર્યોજ નથી જેને સમૃધ્ધ ગુજરાતની નિશાની ભલે કહી શકાય પરંતુ ખરું ભારત દર્શનતો એસ.ટી બસ મારફતેજ થાય તે ભૂલવું ના જોઇએ. ચાર્ટર્ડ પ્લેનની સવલતો કોર્પોરેટ સર્કલ અને ટોચના રાજકારણીઓ માટે જોવા મળે છે. 

વિમાન પ્રવાસને સ્ટેટસ સિમ્બોલ કહેવાતો હતો પરંતુ તેમાં પણ ભીડભાડ શરૂ થતાં હવે હાઇ નેટવર્થ ધરાવતા લોકો સ્પેશ્યલ પ્લેન અને ચાર્ટર્ડ સવલતો તરફ વળ્યા છે. ભારતમાં જ્યારે યુનિકોર્ન કંપનીઓ ઉભી થઇ રહી છે ત્યારે ચાર્ટર્ડ પ્લેનની સંખ્યામાં પણ વધારો થશે તે નક્કી છે.

Gujarat