Get The App

કેરળના દરિયા કિનારે ડૂબલું જહાજ જોખમ નોતરી શકે છે

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
કેરળના દરિયા કિનારે ડૂબલું જહાજ જોખમ નોતરી શકે છે 1 - image


- પ્રસંગપટ

- ઓઇલ ભરેલાં 600 બેરલ તરી રહ્યાં છે

- દરિયાઇ જીવો, દરિયાઇ વનસ્પતિ અને દરિયા કિનારાની જમીનનું પણ નિકંદન નીકળી શકે છે

કેરળના દરિયાકિનારે ડૂબેલું ઓઇલ અને ડિઝલ ભરેલું વહાણ હવે સમસ્યા સર્જી રહ્યું છે. વહાણમાં ૬૦૦ જેટલાં ઓઇલ ભરેલાં કન્ટેનર હતાં. લાઇબેરીયાના ફ્લેગવાળું વહાણ ૨૮ વર્ષ જુનું છે. તિરૂવનંતપુરમના વિઝીનજામ બંદરેથી કોચી જઇ રહેલું આ માલવાહક વહાણ ૨૫ મેના રોજ દક્ષિણ-પશ્ચિમના અલાલપુઝા નજીક ૨૫ કિલોમીટરના અંતરે ઊંધું વળી ગયું હતું.

આ માવલાહક વહાણમાં લઇ જવાતાં ડિઝલ, ઓઇલ અને અન્ય જોખમી પદાર્થો ભરેલાં બેરલ દરિયામાં પડી ગયાં હતાં. તેમાંના કેટલાક બે દિવસ અગાઉ કિનારા પર ખેંચાઇ આવ્યા હતાં. તેમાંથી ઓઇલ લીક થઈ રહ્યું હોવાના અહેવાલો આવ્યા નથી, પણ તોય આ આખો કેસ જોખમી છે.

જો બેરલમાં ભરાયેલું ડિઝલ-ઓઇલ લીક થવા લાગશે તો સ્થાનિક દરિયાઇ જીવોનું નિકંદન નીકળી જશે. તેને કારણે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આર્થિક ફટકો પડી શકે છે. દરિયાની ઇકો સિસ્ટમ માટે પણ આ સ્થિતિ ખતરા સમાન છે. 

ઓઇલ કે ડિઝલ લીક થાય તો તે દરિયાની સપાટી પર તર્યા કરે છે, કેમ કે તે પાણી કરતાં વજનમાં હલકાં હોય છે. પાણીમાં સોલ્યુબલ ન હોવાને કારણે આ લીક થયેલા પદાર્થો દરિયાની સપાટી પર જે લેયર બનાવીને તરતા રહે છે તેને સ્લીક કહે છે. ઓઇલનું આ લેયર પવન અને દરિયાઇ કરંટના જોરે ઝડપથી પ્રસરે છે. ઓઇલનાં તત્ત્વો ઓગળતાં ન હોવાથી જોખમી બની રહે છે, તેથી જ જ્યારે પણ દરિયામાં ઓઇલ કે ડિઝલ ઢોેળાય ત્યારે ટેકનિકલ નિષ્ણાતોની મદદ લઇને તેની ફરજીયાત સફાઈ કરવી પડે છે. દરિયા પર ઓઇલની ચાદર પ્રસરી જાય છે ત્યારે ઓઇલ શોષી લે તેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે.

અહેવાલો અનુસાર, જે માલવાહક જહાજ દરિયામાં ઉથલી પડયું છે તેમાં ૮૪.૪૪ ટન ડિઝલ અને ૩૬૭ મેટ્રીક ટન ફર્નેસ ઓઇલ હતું. હૈદરાબાદસ્થિત ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસના જણાવ્યા અનુસાર, દરિયામાં તણાઇ રહેલાં ઓઇલનાં બેરલો લીક થઇ શકે એવી પુરી સંભાવના છે, કેમ કે વહાણ ડૂબે હવે અઠવાડીયું થવા આવશે. જો તે લીક થશે તો અલાલપુઝા અને તિરૂવનંતપુરમના દરિયાઇ કિનારાઓને અસર પહોંચી શકે છેે, તેથી  અત્યારથી જ તકેદારી રાખવાની જરૂર છે.

જાણકારો કહે છેકે જો ઓઇલનું લેયર બની જશે તો દરિયાઇ જીવોને બહુ નુક્સાન થઇ શકે છે. માલવાહક જહાજમાં ૧૨ કન્ટનેર કેલ્શિયમ કાર્બાઇડનાં પણ હતાં. તેે અત્યંત ટોક્સિક કેમિકલ છે, જે પાણી સાથે મળીને ખતરનાક ગેસ ઉત્પન્ન કરી શકે છે. આ ગેસ માનવજાત માટે બહુ જોખમી બની શકે છે.

જો ઓઇલ દરિયામાં ઢોળાય તો તેની સપાટીના રંગના આધારે તેને કેવી રીતે દૂર કરવું તે વિચારાય છે. જેમ કે ઓઇલ સ્લીક સવારે કાળા લેયરનું દેખાય છે, ક્યારેક તે મઘધનુષ્યના રંગનું પણ જણાય છે. તેમાં રહેલાં તત્ત્વો ચકાસીને તેનું મારણ શોધાય છે. પર્યાવરણના રક્ષકો દરિયાઇ જીવોને બચાવવા દિવસ-રાત એક કરતા જોવા મળ્યા છે.

ઓફશોર ડ્રિલીંગ એટલેકે દરિયાના કિનારાની નજીક ડ્રિલીંગ કરીને ઓઇલ મેળવતા ઉદ્યોગોમાંથી જો ઓઇલ લીક થાય તો તે માનવજાત માટે જોખમી બની જાય. આવા ઉદ્યોગો  મોતના ખેલ જેવા છે. દરિયાઇ જીવો, દરિયાઇ વનસ્પતિ  ઉપરાંત દરિયાકિનારાની જમીનનું પણ તે નિકંદન કાઢી નાખે છે.

દરિયામાં જ્યારે બે વહાણો ટકરાય છે ત્યારે તેમાં ભરેલું ઓઇલ દરિયામાં પ્રસરવા લાગે છે. તૂટેલા વહાણના ભંગાર સાથે વહેતું ઓઇલ દરિયાઇ જીવોને ગુંગળાવી નાખે છે.

દરિયામાં ઓઇલ ઢોળાવવાની સૌથી મોટી ઘટના ગલ્ફ વોર દરમિયાન ૧૯૯૧ની ૨૧ જાન્યુઆરીના રોજ બની હતી, જ્યારે કુવૈતથી પરત ફરી રહેલી ઇરાકી સેનાએ ઓઇલના કૂવાને આગ લગાડી દીધી હતી. તેને કારણે ૩૮૦થી ૫૨૦ મિલિયન ગેલન જેટલું ઓઇલ દરિયાની સપાટી પર વહેતું થઇ ગયું હતું. દરિયામાં ૧૦૧ ચોરસ માઇલ જેટલા વિસ્તારમાં તે પ્રસરી ગયું હતું. કેરળના દરિયામાં ડૂબેલું જહાજ જોખમના પડીકા સમાન બની ગયું છે એ તો નક્કી.

Tags :