Get The App

પ. બંગાળ વિધાનસભાનો જંગ કોમી ધેારણે ધ્રુવીકરણના સંકેત

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
પ. બંગાળ વિધાનસભાનો જંગ કોમી ધેારણે ધ્રુવીકરણના સંકેત 1 - image

- ઘૂસણખોરી અને લઘુમતી તુષ્ટિકરણ જેવા દાવ

- પ્રસંગપટ

- લઘુમતી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓ ફરી એક વાર ચૂંટણી પરિણામો માટે નિર્ણાયક સાબિત થાય તેવી શક્યતા 

પાંચ વિધાનસભાના ચૂંટણી જંગના પ્રચારના નગારાં અખાતી યુદ્ધના કારણે દબાઇ ગયાં છે એમ માનવાની જરૂર નથી. ચૂંટણીવાળાં રાજ્યોમાં ઉમેદવારો નક્કી થઇ રહ્યા છે અને દરેક પક્ષના ચૂંટણી ઢંઢેરા પણ બહાર પડયા છે. આ રાજ્યોમાં સૌથી તોફાની ચૂંટણી પશ્ચિમ બંગાળની બની રહેશે તે નક્કી છે. રાજકીય રીતે પણ તેનું મહત્ત્વ છે. ત્યાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને  ભાજપ વચ્ચે સીધો જંગ છે.પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ ફરી એકવાર મતદારોનું કોમી ધોરણે ધ્રુવીકરણ કરતી હોય તેમ જણાય છે. મતદારો હિન્દુ -મુસ્લિમ એમ બે છાવણીમાં વહેંચાઇ ગયા છે. જોકે આ વખતે મુદ્દા થોડા અલગ છે. જો ૨૦૨૧ની ચૂંટણીમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) ના મુદ્દે મતદારો સ્પષ્ટપણે વિભાજિત દેખાયા હતા, તો વર્તમાન રાજકીય ચર્ચાઓ ચૂંટણી પંચના મતદાર યાદીઓના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) તેમજ ઘૂસણખોરી અને લઘુમતી તુષ્ટિકરણ જેવા સળગતા  વિષયોની આસપાસ કેન્દ્રિત થઈ રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની વસ્તી અંદાજીત ૨૭% થી વધુ છે. અહીં લઘુમતી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓ ફરી એકવાર ચૂંટણી પરિણામો માટે નિર્ણાયક સાબિત થાય તેવી શક્યતા છે. ૨૦૨૧ની ચૂંટણી, જે સંભવતઃ દાયકાઓમાં રાજ્યની સૌથી વધુ કોમી રીતે ધ્રુવીકૃત ચૂંટણી હતી, તેના આંકડા સૂચવે છે કે આ પ્રકારનું ધ્રુવીકરણ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની તરફેણમાં નિર્ણાયક રીતે કામ કરી ગયું હતું.

જે નવ જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તી ૨૫% થી વધુ છે - મુર્શિદાબાદ, માલદા, ઉત્તર દિનાજપુર, બીરભૂમ, દક્ષિણ ૨૪ પરગણા, નાદિયા, હાવડા, ઉત્તર ૨૪ પરગણા અને કૂચ બિહાર - ત્યાં TMCએ ૧૫૦માંથી ૧૨૭ બેઠકો જીતી હતી, જે લગભગ ૮૦% નો 'સ્ટ્રાઈક રેટ' દર્શાવે છે. ભાજપે ૩૦ બેઠકો મેળવી હતી, જેમાંથી અડધી બેઠકો માત્ર બે જિલ્લાઓ - કૂચ બિહાર અને નાદિયામાંથી મળી હતી.

તેનાથી વિપરીત, બાકીના ૧૪ જિલ્લાઓ જ્યાં મુસ્લિમ વસ્તી ૨૫% થી ઓછી છે, ત્યાં TMCનો સ્ટ્રાઈક રેટ ઘટયો હતો, જોકે તેણે ભાજપ પર આરામદાયક સરસાઈ જાળવી રાખી હતી. અહીં પાર્ટીએ ૧૩૪ માંથી ૮૬ બેઠકો (૬૪%) જીતી હતી, જ્યારે ભાજપે ૪૭ બેઠકો મેળવી હતી. આ જિલ્લાઓમાં બર્ધમાન, પશ્ચિમ બર્ધમાન, કોલકાતા, હુગલી, પૂર્વ મેદિનીપુર, જલપાઈગુડી, અલીપુરદ્વાર, પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, બાંકુરા, પુરુલિયા, દાર્જિલિંગ, કાલિમપોંગ અને દક્ષિણ દિનાજપુરનો સમાવેશ થાય છે.

TMCએ જનકલ્યાણકારી યોજનાઓ, બંગાળી પ્રાદેશિકવાદ અને ઉમેદવારોની વ્યૂહાત્મક પસંદગીના સમન્વય દ્વારા ૨૦૨૧ની ચૂંટણીમાં ૨૯૪માંથી ૨૧૫ બેઠકો પર ૪૮% મતો સાથે પ્રચંડ વિજય મેળવ્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 'કન્યાશ્રી' અને 'રૂપાશ્રી' જેવી યોજનાઓને પ્રાધાન્ય આપીને અને પ્રમાણમાં વધુ મહિલા ઉમેદવારો ઉતારીને પોતાની મહિલા-કેન્દ્રી છબી મજબૂત બનાવી હતી.  આ પરિબળોએ તમામ સમુદાયની મહિલા મતદારોને એકત્ર કરવામાં મદદ કરી હતી. ૨૦૧૬ અને ૨૦૨૧ની ચૂંટણીઓની સરખામણી દર્શાવે છે કે TMCએ મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા ૫૪ થી ઘટાડીને આશરે ૪૫ કરી હતી, ખાસ કરીને એવા મતવિસ્તારોમાં જ્યાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન મજબૂત રહ્યું હતું. આ ભાજપના લઘુમતી તુષ્ટિકરણના આરોપને હળવો કરવાનો પ્રયાસ હતો, તેમ છતાં પાર્ટીએ ઉમેદવારના ધર્મ પર ધ્યાન આપ્યા વિના મુસ્લિમ મતદારોના સમર્થન પર ભરોસો રાખ્યો હતો.

ડાબેરી પક્ષો અને કોંગ્રેસના સંપૂર્ણ પતનથી TMCને વધુ ફાયદો થયો હતો. ૨૦૨૧માં  જીતના ઓછા તફાવતવાળી બેઠકો પર પણ TMCનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. સમગ્ર રાજ્યમાં માત્ર ૧૨ બેઠકો પર બે હજારથી ઓછા મતોનું અંતર હતું, જેમાંથી નવ બેઠકો ભાજપે જીતી હતી.

TMCની તુષ્ટિકરણની રાજનીતિ અને ઘૂસણખોરી પશ્ચિમ બંગાળમાં મુખ્ય મુદ્દાઓ છે. મમતા બેનરજી લધુમતી કોમના મતો મેળવવામાં ઉસ્તાદ છે. તેમને ડરાવીને પણ તે મત મેળવી શકે છે, પરંતુ મમતા વિરૂદ્ધનું એન્ટી ઇન્કમબન્સીનું મોજું તૃણમૂલ કોંગ્રેસને ભારે પડી શકે છે.