Editorial

અંતે આંખમાં ઝળઝળીયાં સાથે યેદુઆરપ્પાએ સીએમ પદ છોડયું

By GS Team
27 Jul 20213 mins read
This article was originally published on 27 Jul 2021
અંતે આંખમાં ઝળઝળીયાં સાથે યેદુઆરપ્પાએ સીએમ પદ છોડયું

- પુત્રને સીએમ બનાવવાનું સપનું અઘરૂ રહી ગયું

- પ્રસંગપટ

- યેદુઆરપ્પાની રાજકીય આબરૂ ના જાય અને બળવાખોરો કોઇ ચાન્સ ના ઉઠાવી જાય એટલે ભાજપે તેમને ખસેડી દીધા હતા

કર્ણાટકના મુખ્ય પ્રધાન યેદુઆરપ્પાને ભાજપ કાઢવા માંગતું હતું પરંતુ તેમની રાજકીય આબરૂ ના જાય અને બળવાખોરોનેે કોઇ ચાન્સ ના ઉઠાવી જાય એટલે ભાજપે સાયલન્ટલી તેમને ખસેડી દીધા હતા. યેેદુઆરપ્પાને ને એટલેજ મહેતલ અપાઇ હતી કે સ્વૈચ્છિક રીતે સત્તા પરથી હટી જાવ. રવિવારે સાંજે તેમને અલ્ટીમેટમ આપી દેવાયું હતું. સોમવારે બપોરે ૧૨ વાગ્યા પહેલાં તો તેમણેે પોતેજ જાહેર કર્યું હતું કે તે રાજ્યપાલને મળવા જઇ રહ્યા છે અને રાજીનામું આપી દેશે. 

છેલ્લા પંદર દિવસથી તેમના દિલ્હીના ધક્કા જોઇને  તેમની વિદાય નિશ્ચિત બની ગઇ હતી. ભાજપ માટે યેદુઆરપ્પા મોટું માથું હતા. ભાજપને દક્ષિણના રાજ્યોમાં એન્ટ્રી અપાવવાના શ્રી ગણેશ યેદુઆરપ્પાના હસ્તે થયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં તૈયાર થયેલા યેદુઆરપ્પા રાજકારણના સુપર ખેલાડી પુરવાર થયા હતા.   કોંગ્રેસ અને જનાતાદળ (એસ)ની સરકારને ઉથલાવીને તેેમણે ફરી એકવાર ભાજપની સરકાર રચી હતી.

લીંગાયતના કિંગ મનાતા યેદુઆરપ્પાને તેમનું માન સચવાય એ રીતે ખસેડવા જરૂરી હતા.ભાજપના મોવડી મંડળે તેમના પુત્ર અને તેમની ફ્રેન્ડ એવાં શોભાને સારી જગ્યા પર સમાવીને બળવાખોરોને ફાવવા દીધા નહોતા. સીએમનો પુત્ર સીએમ બને તો તે સગાવાદને પ્રોત્સાહન આપવા સમાન બની શકે એમ હતું. ભાજપે તેને ના તો મુખ્ય પ્રધાન બનવા દીધો કે નાતો નાયબમુખ્ય પ્રધાન બનવા દીધો. 

યેદુઆરપ્પાના વારંવાર દિલ્હી બોલાવીને ભાજપે તેમના મનની વાત જાણી લીધી હતી. યેદુઆરપ્પાએ પણ મોવડીમંડળના વિચારને ટેકો આપ્યો હતો. કોંગ્રેસે પંજાબમાં કરેલી ભૂલની જેમ ભાજપ કર્ણાટકમાં કરવા માંગતું નહોતું. કેંાગ્રેસે પોતાના વફાદાર એવા કેપ્ટન અમરિંદર સિંહના વિરોધી એવા નવજોત સિંહ સિધ્ધુને પ્રદેશ પ્રમુખ બનાવીને વફાદારોમાં નારાજગીનું મોજું ઉભું કર્યું છે. પરંતુ ભાજપે બહુ સિફતથી યેદુઆરપ્પાને હટાવ્યા છે. તેમના પુત્રને પણ યોગ્ય સ્થાન આપીને સગાવાદના આરેાપો ઉભા નથી થવા દીધા.   

યેદુઆરપ્પાની રજૂઆત એવી હતીકે તેમના પુત્રને મુખ્યપ્રધાન બનાવેા. પરંતુ ભાજપે ના પાડતાં પુત્રને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની જીદ પકડી હતી. જોકે ભાજપે તેમના પુત્ર વિજયેન્દ્રને રાજ્યમાં પક્ષના વાઇસ પ્રસિડેન્ટનો હોદ્દો આપીને મામલો ઠંડો પાડી દીધો હતો. યેદુઆરપ્પા સાથે સમાધાનનો બીજો મુદ્દેા શોભા કરાંદલજીનો હતો. કર્ણાટકનું રાજકારણ જાહેરમાં કહે છે કે યેદુઆરપ્પાની ફ્રેન્ડ શોભાને સારો હોદ્દો મળે એટલે તેમણે અમિતશાહને વિનંતી કરી હતી. યેદુઆરપ્પાને સાચવવા શોભાને રાજ્યકક્ષાના કૃષિ પ્રધાનનો હવાલો અપાયો હતો.

સત્તા પર રહેલા મુખ્યપ્રધાનને ખુરશી પરથી ઉતારવા બહુ અઘરા હોય છે.  એક તો યેદુઆરપ્પાની ઉંમર ૭૫ને વટાવી ગઇ હતી જે ભાજપના નિયમોની બહાર હતું. બીજું એકે તેમની સરકાર સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો વધવા લાગ્યા હતા. જેનો લાભ કોંગ્રેસ ઉઠાવી શકે એમ હોઇ ભાજપે ફેરફારની ફાઇલ હાથમાં લીધી હતી. કર્ણાટકમાં ભાજપ રાજકીય રીતે ઢીલું મુકવા નથી માંગતી એટલેજ યેદુઆરપ્પા ખસવા તૈયાર ના હોવા છતાં તેમને સિફતથી હટાવી દીધા હતા. 

યેદુઆરપ્પાની જગ્યાએ કોઇ દલીત નેતાને મુકાશે એમ મનાય છે. આ લખાય છે ત્યારે સાંજે પાંચ વાગ્યા સુધી કોઇ નામની જાહેરાત કરાઇ નહોતી. કેન્દ્રીય પ્રધાન મંડળમાં જે રીતે દલિત વર્ગને સ્થાન આપ્યું છે તે જોઇને એમ કહી શકાય કે ભાજપ કર્ણાટકમાં દલિત ચહેરાને સુકાન સોંપશે. યેદુઆરપ્પાને બદલ્યા ત્યારે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપના મોવડી મંડળને ચેતવ્યું હતું કે લીંગાયત કોમ સાથે સાચવીને રમજો . તે બહુ સંવેદનશીલ લોકો છે. તેમને ખોટું લાગશે તો ભાજપને મુશ્કેલી પડી શકે છે.

કર્ણાટકમાં ભાજપે સુકાનીને બદલી નાખવામાં સફળતા મેળવી છે. બળવાખોરી ભાજપમાં ઉભી થાય એમ હતી પરંતુ યેદુઆરપ્પાના પુત્ર અને ફ્રેન્ડને સાચવી લઇને ભાજપે બાજી સંભાળી લીધી હતી. કર્ણાટક ભાજપ માટે મહત્વનું રાજ્ય છે. યેદુઆરપ્પાનો પુત્ર રાજ્યમાં સુપર સીએમ બનીને ફરતો હતો. બાપ બેટા સામેના ભ્રષ્ટાચારના આરોપો પણ માથું ઉંચકે તે પહેલાંજ ભાજપે સુકાની બદલી નાખ્યા છે. 

પ્રધાનમંડળ વિખેરી દેવાયું છે તે અગાઉ પ્રધાનોને સંબોધન વખતે તેમની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા હતા.  યેદુઆરપ્પાને રાજ્યપાલ તરીકે ગોઠવવાનું પ્રોમીસ આપ્યું હોવાનું કહેવાય છે.