ચારધામના બદલે યાત્રાળુ સ્વધામ પહોંચી ગયા : વહીવટી બેદરકારી
- ચાર ધામ હેલિકેપ્ટર ક્રેશની ઘટનાના પ્રત્યાઘાત
- પ્રસંગપટ
- ધાર્મિક પ્રવાસોને પ્રોત્સાહન આવકારદાક પરંતુ પાયાની સવલતો પૂરી પાડવાનું ભાગ્યેજ વિચારાય છે.
૨૭૨નો ભોગ લેનાર એરઇન્ડિયા ક્રેશની દુર્ધટનાના પગલે ઉભા થયેલા કરૂણતાના દ્રશ્યોમાં ચાર ધામ હેલિકેપ્ટર ક્રેશની ધટના લોકોના ધ્યાન પર લગભગ નહોતી આવી. આ ઘટના બહુ ગંભીર એટલા માટે છે કે જે ગૌરીકુંડ નજીક તૂટી પડેલા હેલિકેપ્ટર જેવી ઘટના છેલ્લા છ અઠવાડિયામાં પાંચમી વાર બની છે. પાંચ ઘટનામાંથી બે જાન લેનાર બની હતી જ્યારે ચાર મશીનમાં ખરાબીના કારણે બની હતી.
ચારધામ યાત્રા બહુ પવિત્ર મનાય છે. શ્રધ્ધાળુઓને ઉંચા ચઢાણ બહુ ચઢવા ના પડે અને સમય ઓછો બગડે એટલે સરકાર મારફતેે શરૂ કરાયેલી હેલિકોપ્ટરની સેવા આશિર્વાદ રૂપ બનવાના બદલે લોકોને ડરાવી રહી છે.
સરકાર ધાર્મિક પ્રવાસેામાં અપાતી સવલતોની મોટી જાહેરાતો કરે છે પરંતુ શ્રધ્ધાળુઓનું ભાવિ બેદરકાર અને આળસુ અધિકારીઓના હાથમાં સોંપી દે છે. મોટા શહેરોમાં પોલીસ હપ્તાના પગલે ચાલતી શટલ રીક્ષા જેવી સિસ્ટમ હેઠળ ચારધામની હેલિકોપ્ટર સેવાઓ ચાલતી હતી.
શ્રધ્ધાળુઓની સલામતી પર ધ્યાન આપવાના બદલે પોતાના રાજ્યોમાં કેટલા શ્રધ્ધળુઓ યાત્રા માટે આવ્યા તેની સંખ્યા પર સત્તાવાળાઓનું ધ્યાન હોય છે. યાત્રાધામોમાં વિવિધ રાજ્યોમાંથી આવતા શ્રધ્ધાળુઓની સલામતી માટે રાખેલ પોલીસો સ્થાનિક લોકોને વધુ સાથ આપે છે. સ્થાનિક લોકોની દાદાગીરી કે વધુ પડતા ભાવ લઇને છેતરવાની ચાલ સામે શ્રધ્ધાળુઓને મૂંગા રહેવું પડે છે અને પોતાની જાતને લૂંટાવા દે છે કેમકે સ્થાનિક લોકો સાથે પોલીસ મળેેલી હોય છે.
શ્રધ્ધાળુઓ સાથે મારપીટ, વાહન પાર્કીંગ બાબતે સ્થાનિક લોકો સાથેના ઝગડા વગેરે હવે કાયમી બનતું જાય છે. સરકાર ધાર્મિક
પ્રવાસોને પ્રોત્સાહન આપતી યોજનાઓ બહાર પાડે છે પરંતુ શ્રધ્ધાળુઓને પાયાની સવલતો પુરી પાડવાના પ્લાનનું તે ભાગ્યેજ વિચારે છે. શ્રધ્ધાળુઓને ઘાર્મિક સ્થળે વિવિધ રીતે લૂંટાય છે. ક્યંાક વધુ ભાવ લઇને લૂંટ ચલાવાય છે તો ક્યાંય વાસી ખોરાક પીરસાય છે. સ્થાનિક લોકોની આવકને ફટકો ના પડે એટલે કેટલાક ધાર્મિક સ્થળો તગડી કમાણી કરતા હોવા છતાં શ્રધ્ધાળુઓને ચોખ્ખું અને સસ્તું જમાડવાના વિચારથી દુર રહે છે.
ચાર ધામમાં ચલાવાતી હેલિકોપ્ટર સર્વિસ જ્યાં સુધી ટેકનીકલ રીતે સંપૂર્ણ રીપર ના થાય ત્યાં સુધી તેને શરૂ ના કરવી જોઇએ. છાશવારે તેમાં ટેકનીકલ પ્રોબલેમ આવે છે અને ટેમ્પરરી તે સર્વિસ બંધ કરવી પડે છે. જે સ્થળે ગૌરીકુંડ ખાતે હેલિકોપ્ટર તૂટી પડયું ત્યાંજ અગાઉ છેલ્લા પાંચ અઠવાડીયામાં પાંચ હેલિકોપ્ટર અકસ્માતો થયા છે. તેમાંના બે જીવલેણ સાબિત થયા છે તો બાકીના મશીનની ખરાબીમાં અટવાયા હતા. પંદર દિવસ અગાઉ ગૌરીકુંડ ખાતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના ફેમિલી માટે આઘાતજનક સમય હતો. તે લોકો ચારધામના દર્શન કરવા આવ્યા હતા અને વહિવટી બેદરકારીના કારણે સીધાજ સ્વધામ પહોંચી ગયા હતા. તેની પાછળનું મૂળ કારણ ટૂરીઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ કહી શકાય.
ઉત્તરાખંડ સ્થાનિક ઉડ્ડયન મંત્રાલય પાસે ચારધામ યાત્રા માટે ઉડ્ડયનના વ્યવસાય સાથે સંકળાયેલી નવ કંપનીઓ આવી હતી. તેમાં સોથી ઓછા ભાવ આપનારાને કામ અપાયું હોય છે. પ્રવાસીઓ પાસેથી ફિકસ ચાર્જ લેવાય છે.
વધુ કમાણી કરવા તેમજ સરકારે નક્કી કરેલું માસિક ભાડું પુરૃં કરવા હેલિકોપ્ટર ચલાવતી કંપનીઓ વધુ ફેરા મારે છે. તેમનો મૂળ આશય સેવા નહીં પણ કમાણીનો હોય છે.
આવી કંપનીઓ એપરેટીંગ માટેના કોન્ટ્રાક્ટ આપે છે. સરકાર તેમના પર વોચ રાખતી નથી અને મેન્ટેનન્સ પર પણ ધ્યાન નથી આપતી. મૂળ વાત એ છે કે સરકાર ધાર્મિક સ્થળો પર લોકો વધુ જાય તે માટે ધાર્મિક પ્રવાસો વગેરેનું આયોજન કરીને તેને પ્રોત્સાહન આપે છે પરંતુ ધાર્મિક સ્થળ પર શ્રધ્ધાળુઓ માટે સવલતોના ધાંધિયા જોવા મળે છે.