- પ્રસંગપટ
- ભવિષ્યમાં માગ-પુરવઠાની દૃષ્ટિએ આશા અને જોખમ બંને છે
- ભારત, થાઇલેન્ડ, વિયેતનામ અને પાકિસ્તાન મુખ્ય નિકાસકાર છે. આ દેશોના ઉત્પાદન અને નીતિઓ વૈશ્વિક બજારને સીધા અસર કરે છે
ભારત વિશ્વના મુખ્ય ચોખા ઉત્પાદકો અને નિકાસકારોમાંનું એક છે. છેલ્લાં ત્રણથી પાંચ વર્ષમાં ઉત્પાદનમાં અને નિકાસમાં ઘણાં પરિવર્તનો આવ્યાં છે. દેશમાં આ ક્ષેત્રે વધુ પ્રમાણમાં ટેક્નોલોજી અપનાવવામાં આવી છે, સરકારી સહાય વધી છે અને ઉત્પાદનની ગુણવત્તા ટકાવી રાખવા અસરકારક પ્રયત્ન થયા છે. જો કે, હજી પણ હવામાન અને વૈશ્વિક બજારની પરિસ્થિતિઓના પડકારો ઉભા થયા છે.
રાજ્યવાર દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓરિસા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુ મુખ્ય ઉત્પાદન કેન્દ્ર છે. ઉત્તર પ્રદેશમાં વિસ્તાર વધતાં મશીનરી અને ખેતીમાં સુધરેલી પદ્ધતિઓ દ્વારા ઊંચા વોલ્યુમ મળવા લાગ્યું છે.
પંજાબમાં સિંચાઈની સુવિધા અને ઉચ્ચ ઉપજવાળા બીજની મદદથી ગુણવત્તાવાળો પાક થાય છે, પરંતુ ભૂગર્ભ જળની સપાટી ઘટતી જઈ રહી છે. પશ્ચિમ બંગાળ અને ઓરિસામાં દાયકાઓથી વરસાદ આધારિત ખેતી થાય છે, જ્યારે દક્ષિણનાં રાજ્યો પ્રીમિયમ મિડગ્રેન જાતો માટે ઓળખાય છે.
સરકારી આંકડા પ્રમાણે, ૨૦૨૨-૨૩માં ભારતે આશરે ૧૩૫ મિલિયન ટન ચોખાનું ઉત્પાદન કર્યું, જે અગાઉના વર્ષની તુલનામાં થોડું વધારે હતું. પરંતુ ૨૦૨૩-૨૪માં એલ નીનોના પ્રભાવથી ચોમાસું નબળું રહેતાં કેટલાક વિસ્તારોમાં ઉત્પાદન ઘટયું હતું.
ભારત ચોખાની નિકાસમાં વિશ્વનું નેતૃત્વ ધરાવે છે. બાસમતી અને નોન-બાસમતી બંને પ્રકારના ચોખા ભારતમાંથી વિશ્વના ૧૫૦થી વધુ દેશોમાં નિકાસ થાય છે. પશ્ચિમ એશિયા, આફ્રિકા અને યુરોપ ભારતના મુખ્ય ખરીદદારો છે. ૨૦૨૨-૨૩માં ભારતે ૨૨ મિલિયન ટનથી વધુ ચોખાની નિકાસ કરી, જે ઐતિહાસિક રેકોર્ડ ગણાય છે. માત્ર બાસમતી ચોખાની નિકાસ જ ૪.૫ મિલિયન ટનથી વધુ રહી.
પંજાબ અને હરિયાણાનો બાસમતી વૈશ્વિક બજારમાં વિશેષ માગ ધરાવે છે. જ્યારે પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને ઓરિસાના નોન-બાસમતી ચોખા આફ્રિકન દેશો અને દક્ષિણ-પૂર્વ એશિયામાં મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે. તમિલનાડુમાં ઉત્પાદિત સુગંધિત ચોખા પણ વૈશ્વિક બજારમાં ઉંચી માગ ધરાવે છે.
ભારત સરકાર ચોખા ઉદ્યોગને ટેકો આપવા માટે મિનિમમ સપોર્ટ પ્રાઈસ, કૃષિ લોન, સિંચાઈ યોજનાઓ અને સબસિડી આપતી આવી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના તથા સબ મિશન ઓન સીડીંગ જેવી યોજનાઓ ખેડૂતોને ઉત્પાદન વધારવા માટે સહાય કરે છે.
નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર ક્યારેક નિકાસ પર સબસિડી આપે છે, તો ક્યારેક આંતરિક મોંઘવારી કાબૂમાં રાખવા માટે નિકાસ મર્યાદાઓ લાદે છે. ઉદાહરણ તરીકે, ૨૦૨૩માં સરકારે નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેથી આંતરિક બજારમાં ભાવ સ્થિર રહે.
અમેરિકાએ ચોખા સહિત અનેક કૃષિ પેદાશો પર ટેરિફ્સ લાગુ કરી છે, જેના કારણે વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા વધી છે. જો કે, ભારતની અમેરિકામાં ચોખાની નિકાસનું પ્રમાણ ઓછું છે. આમ છતાં વૈશ્વિક વેપારમાં આવતી અનિશ્ચિતતાની પરોક્ષ અસર ભારતના નિકાસકારો પર થાય છે.
વિશ્વમાં ચોખાના પુરવઠાનો મોટો હિસ્સો એશિયન દેશોમાંથી આવે છે. ભારત, થાઇલેન્ડ, વિયેતનામ અને પાકિસ્તાન મુખ્ય નિકાસકાર છે. આ દેશોનાં ઉત્પાદન અને નીતિઓ વૈશ્વિક બજારને સીધા અસર કરે છે.
ભારતના ચોખા ઉદ્યોગ સામે અનેક પડકારો છે. ભૂગર્ભ જળના અતિશય ઉપયોગને કારણે પંજાબ અને હરિયાણામાં પર્યાવરણની ચિંતા વધી રહી છે. સિંચાઈ માટેનો વધારે પાણીનો ઉપયોગ જમીનનો ક્ષય અને પાણીની અછત સર્જી રહ્યો છે.
તે સિવાય હવામાન પરિવર્તન પણ મોટો પડકાર છે. અનિયમિત મોન્સૂન, ગરમીની લહેરો અને પૂર જેવી કુદરતી આફતો ઉત્પાદન પર સીધી અસર કરે છે. વધુમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા વધતી હોવાથી ભારતે તેની ગુણવત્તા જાળવી રાખવી જરૂરી છે.
વિશ્લેષકો માને છે કે આગામી વર્ષોમાં ભારતમાં ચોખાનું ઉત્પાદન ટેક્નોલોજી, ઉચ્ચ ઉપજવાળી જાતો અને સિંચાઈ સુવિધાઓને કારણે વધશે. નિકાસની માગ પણ ખાસ કરીને મઘ્ય પૂર્વ અને આફ્રિકા તરફથી મજબૂત રહેશે. જોકે આંતરિક બજારમાં મોંઘવારીના દબાણને કારણે ક્યારેક નિકાસ મર્યાદાઓ લાગવાની સંભાવના રહે છે.


