Get The App

ટ્રમ્પના એક નિવેદનથી શેરબજાર ગેલમાં દરેક ક્ષેત્રનો પોઝિટીવ દ્રષ્ટિકોણ

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પના એક નિવેદનથી શેરબજાર ગેલમાં દરેક ક્ષેત્રનો પોઝિટીવ દ્રષ્ટિકોણ 1 - image


- ટ્રમ્પે કહ્યું કે ઇરાન સાથે હજુ મંત્રણાનાં દ્વાર ખુલ્લાં છે

- પ્રસંગપટ

- ઇરાન-ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ રશિયા-યુક્રેનની માફક લાંબું ચાલે એવી શક્યતા જોવાઇ રહી છે

ઇરાન સાથે હજુ મંત્રણાના દ્વાર ખુલ્લા છે એવું નિવેદન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરતાં જ શુક્રવારે ભારતનું શેરબજાર ઉછળ્યું હતું. સેન્સેક્સ ૧૦૪૬ના ઉછાળા સાથે બપોરે બજાર બંધ થયું હતું.  

અમેરિકા ઇરાન પર હુમલો કરશે તેની ઘડીઓ ગણાતી હતી ત્યારે શેરબજાર સ્થિર રહ્યું હતું. અમેરિકા ઇરાન પર હુમલો કરે તો શેરબજાર તેમજ ઓઇલના સપ્લાય પર સીધી અસર થઈ શકે એમ હતું.

ભારતનું અર્થતંત્ર જોકે નસીબનું બળીયું સાબિત થયું છે. ઇરાન-ઇઝરાયલ વચ્ચેના ભીષણ યુદ્ધમાં ઇઝરાયલની તરફેણ કરનારું અમેરિકા જો જંગમાં કૂદે તો ઇરાનનો ઘડો-લાડવો થવો નિશ્ચિત મનાતો હતો. ઇરાનના વડાએ અમેરિકાની ધમકીથી ડરવાના બદલે વળતી ધમકી આપતાં અમેરિકા ભૂરાંટુ થયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમે ઇઝરાયલ સાથે મળીને ઇરાન પર હુમલો કરીશું.

ટ્રમ્પની ચેતવણીની સીધી અસર ભારતના શેરબજાર પર થવાની શક્યતા હતી. ગુરૂવારના બજારોમાં કોઇ ખાસ ચડઉતર જોવા નહોતી મળી, પરંતુ જેવું ટ્રમ્પનું ઇરાન સાથે મંત્રણાવાળું લેટેસ્ટ નિવેદન આવ્યું કે તે સાથે જ શેરબજારનો ઉછાળો ૧૦૦૦ પોઇન્ટની નજીક પહોંચી ગયો હતો. 

ચિત્ર એવું ઊપસ્યું હતું કે ઇરાન પર હુમલાની તૈયારીઓ થઇ ચૂકી છે અને માત્ર ટ્રમ્પના ઓર્ડરની જ રાહ જોવાઈ રહી છે. આવી સ્થિતિમાં ટ્રમ્પે કહ્યું કે ઇરાન સાથે મંત્રણાના દરવાજા હજુ ખુલ્લા છે અને ઇઝરાયલ સાથે મળીને હુમલા અંગે બે અઠવાડિયાં પછી વિચારીશું. બે અઠવાડિયાનો સમયગાળો કોઇ પણ યુદ્ધને તેજાબી બનતું અટકાવી શકે છે.

એમ લાગે છેકે ભારતના અર્થતંત્ર પર સીધી - અને માઠી - અસર થવાની શક્યતા હોય છે ત્યારે ટ્રમ્પ યુ- ટર્ન લઈ લે છે. જેમ કે, ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડયો ત્યારે ભારતના આયાત-નિકાસ પર ગંભીર ફટકો પડે એમ હતો, પરંતુ ટેરિફનો અમલ થવાનો હતો તેના થોડા દિવસ અગાઉ ટ્રમ્પે ભારત પર ટેરિફનું શસ્ત્ર ઉગામવાની તારીખ બદલી નાખી હતી.

ઇઝરાઇલ- ઇરાન યુદ્ધમાં કોણ જીતશે કે કેટલા માનવજીવોનો કચ્ચરઘાણ નીકળી જશે તેની દુનિયાને એટલી ચિંતા નહોતી, જેટલી ચિંતા ઇરાનના ઓઇલના કૂવા પર હુમલા થશે તો વિશ્વમાં તેના સપ્લાયનું શું થશે તે બાબતે હતી. ક્રૂડ ઓઇલના ભાવો વધે તો તેના પગલે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધે ને સરવાળે મોંઘવારી વધે.  

આપણે ત્યાં ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ વધીને છેક ૧૫૦ ડોલર સુધી પહોંચી શકે તેવો ભય ફેલાયો ત્યારે ચિંતા એ વાતની હતી દુનિયામાં સૌથી ઝડપે વિકસી રહેલા ભારતના અર્થતંત્રની ગતિ પર બ્રેક લાગી જશે. માંડ માંડ સ્થિર થયેલું અર્થતંત્ર ફરી પાછું નેગેટીવ બની શકે તેમ હતું. ભારતના કોર્પોરેટ સર્કલે નાણાપ્રધાનને ચેતવ્યા સુધ્ધાં હતા કે ક્રુડ ઓઇલના બેરલ દીઠ ભાવ ૧૫૦ ડોલર સુધી પહોંચશે તો ભારતનું અર્થતંત્ર પાટા પરથી નીચે ઉતરી જશે. તે વખતે નાણામંત્રાલય સંભવતઃ એમ વિચારતું હતું કે જો ક્રૂડ ઓઇલના ભાવ ૮૦ ડોલર પર પહોંચે તો પેટ્રોલ-ડિઝલના ભાવોમાં પાંચ રૂપિયાનો વધારો કરવો. 

હાલ ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ અંદાજે ૭૭.૩૩ ડોલર છે. ઇરાન- ઇઝરાયલ યુદ્ધ  અગાઉ ભાવ ૬૫ ડોલર હતો. યુદ્ધ પહેલાં તો કેટલાક નિષ્ણાતો ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને ૬૦ ડોલર સુધી નીચે ઉતરી શકે છે એવુંય કહ્યું હતું. 

યુદ્ધની પરિસ્થિતિમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવોએ જો-અને-તો સ્થિતિ પેદા કરીને આર્થિક નિષ્ણાતોને વિચારતા કરી દીધા હતા. આ બધું જ અમેરિકાનાં પગલાં પર એટલે કે ઇરાન-ઇઝરાયલ યુદ્ધમાં તેની એન્ટ્રી પર આધારિત હતું.

રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતે બાજી સંભાળી લેતાં ઓઇલ સપ્લાય પર માઠી અસર પડી નહોતી. હવે અમેરિકાએ ઇરાન પર આક્રમણ બાબતે 'વિચારવા' માટે બે અઠવાડિયાંનો સમય લીધો છે તે સારું જ છે. આટલા સમયમાં ઇરાન-ઇઝરાયલ યુદ્ધની તીવ્રતા ઘટી જશે તે નક્કી છે. આ બંને દેશો વચ્ચેનું યુદ્ધ રશિયા -યુક્રેનની જેમ લાંબું ચાલે એવી શક્યતા જોવાય છે.

યુદ્ધના માહોલમાં ભારતના શેરબજારમાં ૧૦૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળે તે આશ્ચર્યજનક કહી શકાય. ભારતના બજારો પર રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-ઇરાન યુદ્ધની અસર નોંધપાત્ર રીતે પડી નથી તે હકીકત છે.

Tags :