- દેશમાં ડોગને પ્રેમ કરનારા અને ધિક્કારનારા એમ બે વર્ગ છે
- પ્રસંગપટ
- બિજનોરના ડોગને જોવા લોકો ઉમટયાઃ મા દુર્ગા અને હનુમાનજીની મૂર્તિની ત્રણ દિવસથી પ્રદક્ષિણા કરતો હતો
દેશમાં ડોગને પ્રેમ કરનારા અને ધિક્કારનારા એમ બે વર્ગ છે. ડોગ લવર્સ પ્રેમાળ અને સેવાભાવી લોકો છે જ્યારે ડોગનેે ધિક્કારનારા તેને પતાવી દેવા લાકડી લઇને નીકળી પડે છે. ડોગને ધિક્કરાનારા લોકો બહુ બોલકા અને નાની વાતને મોટું સ્વરૂપ આપનારા હોય છે. ડોગ વિનામૂલ્યે ઘરની ચોકી કરે ત્યાં સુધી તે વહાલો અને વફાદાર લાગે છે પરંતુ રાત્રે તે ઉંઘ બગાડે કે નજીકના કોઇને કરડે ત્યારે તેની તરફ નફરતમાં વધારો થાય છે.
જે લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે તેમના ફેમિલીની સાથે રહેતા ડોગ ઘરના નાનામોટા દરેકનું ધ્યાન રાખે છે. ઘરની મહિલાઓ સાથે ખેતરમાં જવું તેમનું રક્ષણ જંગલી જાનવરોથી કરવું વગેરે તેમની ફરજમાં આવે છે. ટાઉન લેવલે પણ ડોગની સરભરા કરાય છે પરંતુ શહેર લેવલે બિચારાને બે ટંક ખવાના ફાંફા હોય છે કેમકે અહીં ગાય કૂતરાનું જમવાનું અલગ કાઢવાનો કોઇ રીવાજ નથી હોતો. શહેરોમાં ડોગ લવર્સ તેને પાળે છે અને તેની સારવાર માટે અલગ માણસ પણ રાખે છે પરંતુ દરેકને આજ્ઞાાન્કિત ડોગ ગમે છે.
ડોગ કરડવાના વધતા બનાવોના પગલે દેશના તમામ ડોગનું જીવન જોખમમાં મુકાતું જાય છે. સુપ્રિમ કોર્ટે ડોગને ક્યાં ખવડાવવું જેવી આચાર સંહિતા નક્કી કરી છે. ડોગ કરડે તો અસરગ્રસ્તને તગડું વળતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ડોગને ચારેબાજુથી ઘેરી લઇને લાકડાના ફટકા મારીને મારી નાથવાનો પિશાચી આનંદ લૂંટનારા છે તે ડોગ માટે હોસ્પિટલ ઉભી કરીવે તેમને સારવાર આપનારા પણ છે.
અહીં ડોગને ધિક્કાર અને ડોગના ચમત્કારની બે વાત આપી છે. બંને વિરોધાભાસી ઘેટના છે. તાજેતરમાં કેરળના કામારેડ્ડી જીલ્લાના ગામોમાં ૫૦૦ જેટલા ડોગને ઝેર ખવડાવીને મારી નખાયા હતા. સવારે ગામના લોકોે જોયું કે ચારેબાજુ મરેલા કૂતરા પડયા છે. પડદા પાછળની વાત એવી છે કે ગામની ચૂંટણીમાં ઉભી રહેલી ઉમેદવારની એક પેનલે એવી જાહેરાત કરી હતી કે અમે ચૂંટાઇ શું તો ગામમાંથી કૂતરાનો સફાયો કરી નાખીશું.
આ લોકોએ બહારથી એક વ્યક્તિને બોલાવીને તેને કૂતરાનો સફાયો કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ વ્યક્તિએ કૂતરા માટે ખાવાના લાડુ બનાવીને તેમાં ઝેર મિશ્રિત કરીને દરેક કૂતરાને ખવડાવ્યા હતા. લાડુ પ્રેમી કૂતરાઓ લાડુ ખાવા તૂટી પડયા હતા અને મોતને ભેટયા હતા.
૫૦૦ જેટલા કૂતરાની ઠંડે કલેજે હત્યા કરતો આ કિસ્સો બહુ ચગ્યો હતો. સત્તાવાળાઓને ખબર પડતાંજ તપાસ શરૂ કરી હતી અને પાંચેક લોકોની ધરપકડ કરી હતી. જેમ જેમ લોકોને ખબર પડવા લાગી એમ એમ તેમના દિલમાં દયાનો રામ જાગ્યો હતો.
કૂતરાનો એક કિસ્સો એવો છેકે જેમાં લોકો ડોગનું વર્તન જોઇને તેના દર્શન કરવા પહોંચી ગયા હતા. આ કિસ્સો બિજનોરનો છે જ્યાં એક ચમત્કારીક ડોગને જોવા લોકો ઉમટયા હતા. આ ડોગે સ્થાનિક મંદિરમાં રહેલી મા દુર્ગા અને હનુમાનજીની મૂર્તિની ફરતે પ્રદક્ષિણા શરૂ કરી હતી. શરૂઆતમાં કોઇનું ધ્યાન નહોતું ગયું પણ બીજા દિવસે તેને જોવા લોકો ટોળે વળ્યા હતા.
ત્રીજા દિવસે પણ ડોગે પ્રદક્ષિણા ચાલુ રાખતા લોકો તેના દર્શન કરવા તૂટી પડયા હતા. ત્યાં એેટલી ભીડ થઇ હતીકે પોલીસને બોલાવવી પડી હતી. લોકો કહેતા હતા કે ભૈરવનાથ હનુમાનજીની પ્રદક્ષિણા કરવા આવ્યા છે.
ડોગની હત્યા કરવાના બદલે તેનું ખસીકરણ કરી શકાયું હોત. પરંતુ માનવજાત એમ માને છેકે પૃથ્વી પર રહેવાનો અધિકાર માત્ર માનવજાતને રહેવા માટેજ છે.


