For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પંજાબઃ જીતના જડબામાંથી હારને ખેંચી લાવવાનો કોંગ્રેેસનો પ્રયાસ

Updated: Jul 20th, 2021

Article Content Image

- સૌથી મોટી આડઅસર કિસાન આંદોલનને થવાની છે

- પ્રસંગપટ

- બળવાખોર સાથે કેવી રીતે ડીલીંગ કરવું તે પણ રાજકીય મુત્સુદ્દીગીરીનો એક ભાગ છેઃ કેપ્ટન સામે સિધ્ધુ..

પંજાબની  રાજકીય ઉથલપાથલની સૌથી મોટી આડઅસર કિસાન આંદોલનને થવાની છે.  કોંગ્રેસે પંજાબના તેના હર્યા ભર્યા શાસનમાં સામે ચાલીને શૂળ ઉભી કરી છે. કિસાન આંદોલનના નેતાઓ પણ હવે નાધણિયાત બની ગયા છે. જે પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહનો તેમને ફુલ ટેકો હતો તે તેમની ખુરશી બચાવવામા મથી રહ્યા છે. કિસાન નેતાઓ પણ હવે જાણી ગયા છે કે પંજાબ સરકારના ટેકા વિનાનું આંદોલન ઢીલું પડી જવાનું છે.

હવે જ્યારે પંજાબના મુખ્ય પ્રધાન કિસાન આંદોલનને ટેકો આપશે ત્યારે સિધ્ધુ તેનો વિરોધ કરશે. કેમકે અમરિંદર તેને ટેકો આપી રહ્યા છે. કિસાન આંદોલનના પગલે વોટ બેંક મજબૂત બનાવવાના બદલે તે તૂટે આવા પ્રયાસ કરાયા છે. 

પંજાબમાં નવજોત સિદ્ધુ જેવા બળવાખોરને પ્રોત્સાહન આપીને કોંગ્રેસે વફાદારને પણ ગર્ભિત સંકેત આપી દીધો છે કે ગાંધી પરિવારજ સર્વસ્વ છે. મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના વિરોધ વચ્ચે રાહુલગાંધીએ નવજોત સિંહને પંજાબ પ્રદેશના પ્રમુખ બનાવી દીધા છે. સિધ્ધુ પાસે એકજ મુદ્દાનું કામ  છે કે અમરિંદર સિંહને બદનામ કરીને કેવી રીતે મુખ્ય પ્રધાન બનવું. જો કે આમ કરવાથી આખી કોંગ્રેસ બદનામ થઇ શકે છે. 

પંજાબના પ્રદેશ પ્રમુખ તરીકે સિધ્ધુને મુકીને કોંગ્રેસે પોતાના પગ પર જ કુહાડો માર્યો છે. પંજાબમાં વિધાનસભામાં જે આસાન જીત કોંગ્રેસ માટે હતી તેને ગુંચવી મારી છે. પંજાબમાં કોગ્રેસને એક તરફા વોટ મળતા હતા હવે તે અન્ય પ્રાદેશિક પક્ષો અને ભાજપમાં વહેંચાઇ જવાના છે. 

બળવાખોરને ખાસ કરીને વારંવાર રાજકીય રંગ બદલતા સિધ્ધુને પંજાબ સોંપવાનો કોંગ્રેસનો વિચાર પ્રથમ નજરેજ આ બેલ મુજે માર જેવો છે. પંજાબની કેંાગી ઉથલ પાથલમાં ભાજપનો હાથ ક્યાંય નથી. ભાજપ કશું કરી શકે એમ નથી કેમકે પંજાબના બીજા પ્રાદેશિક પક્ષ સાથે ભાજપનો છેડો ફાટી ચૂક્યો છે. કોંગ્રેસના બળવાખોરો પણ ભાજપ સાથે જોડાવવાના બદલે અકાલીદળ વધુ પસંદ કરે છે.

પંજાબ કોંગ્રેસનો ગઢ બની ગયેલું સમૃધ્ધ રાજ્ય છે. કહે છે કે અમરિંદર સિંહને સિધ્ધુ નામના બેટથી રાજકીય ફટકા મારવાનો આઇડયા પ્રશાંત કિશેારે આપ્યો છે. પ્રશાંત કિશોર અને રાહુલ-પ્રિયંકા વચ્ચેની બેઠકો વધતી જાય છે. આગામી વર્ષ ચૂંટણીનું વર્ષ છે. ત્યારપછી ૨૦૨૪માં લોકસભાનો જંગ આવશે. કોંગ્રેસ કહે છે કે તેણે અત્યારથીજ વિવાદોની સાફસૂફી શરૂ કરી દીઘી છે. 

હકીકત એ હતી કે કોંગ્રેસે સિધ્ધુને વધુ પડતું મહત્વ આપી દીધું હતું અને પક્ષને વફાદાર એવા અમરિંદર સિંહને તેમના હાલ પર છોડી દીધા હતા. 

કહે છે કે ચૂટંણી વ્યૂહરચનાના જાણકાર પ્રશાંત કિશોર ફરી કોંગ્રેસને કેન્દ્રીય સત્તા મેળવવાની લોલીપોપ બતાવી રહ્યા છે. પ.બંગાળમાં મમતાની જીત પ્રશાંત કિશેારની વ્યૂહ રચનાના કારણે થઇ છે એવી ભ્રમણા મમતા બેનરજીએ ફેલાવી હતી. હકીકતે તો આ જીત લઘુમતી કોમની આળપંપાળના કારણે મેળવેલા વોટના કારણે હતી.

અનેક રાજકીય ઉથલપાથલો વચ્ચે જ્યારે એનસીપીના નેતા શરદપવાર વડાપ્રધાનને મળે ત્યારે વિવિધ રાજકીય અટકળો ઉભી થાય તે સ્વભાવિક બની જાય છે. 

જેમ કોંગ્રેસ માટે પંજાબ માથાના દુખાવા રુપ છે એમ ભાજપ માટે કર્ણાટક છે. ભાજપ થીંગડા મારીને યેદુઆરપ્પાને મુખ્ય પ્રધાન તરીકે ચલાવે રાખે છે. કર્ણાટક કોંગ્રેસમાં ભાજપ સરકારના વિધાનસભ્યો તોડીને સરકાર ઉથલાવવાનું જોર નથી. કર્ણાટક ભાજપમાં યેદુઆરપ્પાએ પોતાના પુત્રને સત્તા પર લાવવા માંગે છે. યેદુઆરપ્પાની ખાસ ગણાતા શોભનાને નવા પ્રધાનમંડળમાં સમાવાયા છે. યેદુઆરપ્પા ત્યારેજ ગાદી છોેડશે કે જ્યારે તેમના પુત્રને કેન્દ્રમાં સમાવાશે.

બળવાખોર સાથે કેવી રીતે ડીલીંગ કરવું તે પણ રાજકીય મુત્સુદ્દીગીરીનો એક ભાગ છે. રાજકીય પક્ષ વફાદારોના જોરે ચાલતો હોય છે. પંજાબમાં કોંગ્રેસ થાપ ખાઇ રહ્યું છે. પંજાબની ઉથલ પાથલ એટલે જીતના જડબામાંથી હારને ખેંચી લાવવાનો પ્રયાસ. પરંતુ કોંગ્રેસે પોતાના પક્ષમાંજ ગાંધી પરિવાર સામે પ્રમુખ પદ માટે સહી ઝુંબેશ ચલાવનારાઓને પણ સંકેત આપી દીધો છે કે ધાર્યું ધણીનું (ગાંધી પરિવાર) થાય ..

Gujarat