કૃષિ વેપારમાં બદલાવઃ કોર્પોરેટ ખરીદી હવે ડાયરેકટ ખેડૂતો પાસેથી કરાશે
- પ્રસંગપટ
- માર્કેટ યાર્ડો વધુ સ્પર્ધાત્મક બનશે એવી ગણતરી
- ફાર્મર્સ પ્રોડયુસર્સ ઓર્ગેનાઈઝેશનોના સીધા સંપર્કમાં આવી રહેલા કોર્પોરેટ ગૃહોઃ લોકલ તથા નિકાસ ખરીદીમાં વૃદ્ધિ
દેશમાં વિવિધ કૃષી ચીજોના વેપારમાં બદલાવ આવી રહ્યાના સંકેતો મળ્યા છે. ખેડૂતોની આવક વધારવાની દિશામાં આવા બદલાવો આવી રહ્યા છે. કોર્પોરેટ ક્ષેત્રના સૂત્રોમાંથી વહેતા થયેલા નિર્દેશો મુજબ હવે ફાર્મર્સ પ્રોડયુસર્સ ઓર્ગેનાઈઝેશનો એફપીઓઝ પાસેથી વિવિધ કૃષી માલોની ડાયરેકટ ખરીદી કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આવા એફપીઓઝ સાથે વિવિધ મોટી કંપનીઓની સાપ્તાહિક ધોરણે વેબીનાર મિટિંગોનું આયોજન સરકાર દ્વારા કરાતું થયું છે અને તેના પગલે મોટા કોર્પોરેટ ગૃહો હવે ખેડૂતોની વધુ નજીક આવી રહ્યા છે તથા બન્ને હવે એકબીજાને ઓળખવા તથા સમજવા લાગ્યા છે. આ પૂર્વે ઘણાં એફપીઓઝને એવી ખબર ન હતી કે પોતાના કૃષી માલો ડોયરેકટ કંપનીઓને વેંચી શકાય તેમ છે! આવી કોઈ શક્યતા છે એ વિશે આ પૂર્વે ઘણા ખરા એફપીઓઝને કોઈ વિશેષ જાણકારી ન હતી. જો કે હવે આ દિશામાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે તથા કૃષી વેપાર વિષયક સમીકરણોમાં બદલાવ આવી રહ્યાના સંકેતો વહેતા થયા છે આને પગલે એ ક-બે વર્ષમાં ઘણા બધાં પોઝીટીવ પરિણામો જોવા મળશે એવી આશા જાણકારો બતાવી રહ્યા છે. તાજેતરમાં ઘઉંના વેપારની બાબતમાં આવો બદલાવ જોવા મળ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. તાજેતરમાં પૂરી થયેલી ઘઉંની મોસમમાં ઘણા એફપીઓઝ દ્વારા કંપનીઓને ઘઉંનું ડાયરેકટ વેંચાણ કરવામાં આવ્યું હતું તથા તેના પગલે ઘઉં ઉગાડતા ખેડૂતોને સારા ભાવ પણ ઉપજ્યા હતા. કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોની સરકારોન આવા એફપીઓઝ માટે મંડી ટેક્સ દૂર કરવા પણ હાકલ કરી છે. આના પગલે માર્કેટ યાર્ડો વધુ સ્પર્ધાત્મક બનશે એવી ગણતરી કૃષી જાણકારો બતાવી રહ્યા હતા. તાજેતરમાં ઉત્તર-પ્રદેશ તથા બિહાર ખાતેથી મળેલા સમાચાર મુજબ વિવિધ એફીઓઝ પાસેથી ઓલામ ઈન્ડિયા દ્વારા આશરે ૮૦૦ ટન મકાઈ તથા આશરે ૩૦૦૦ ટન ઘઉં ખરીદવામાં આવ્યા હતા. કૃષી બજારોમાં ચર્ચાતી વાતો મુજબ બ્રિટાનીયા, મધર ડેરી, હિન્દુસ્તાન લીવર સહિતના વિવિધ મોટા કોર્પોરેટ ગૃહો આ દિશામાં સક્રિય બની રહ્યા છે.કૃષી મંત્રાલય દ્વારા આવા વેબીનાર્સનું આયોજન થવા માંડયું છે તથા ખાસ કરીને છેલ્લા બે મહિનાથી આ ક્ષેત્રે ચહલ પહલ ખાસ્સી વધતી જોવા મળી છે.
ખેડૂતો પોતાના ઉત્પાદનોનું બ્રાન્ડીંગ કરીને ત્યાર બાદ તેનું વેચાણ ઓપન નેટવર્ક ફોર ડિજીટલ કોમર્સ ઓએનડીસી પ્લેટફોર્મ મારફત કરશે તો વધુ સારા ભાવ મેળવી શકશે એવું પણ કૃષી મંત્રાલયના સૂત્રોએ તાજેતરમાં ખેડૂતોને હાકલ કરતા જણાવ્યું હતું. દરમિયાન, દેશમાં હવે મોનસૂનની મોસમ શરૂ થઈ છે ત્યારે કૃષી જગતની નજર વરસાદની પ્રગતિ પર રહી છે. આ વ ર્ષે દેશમાં મોનસૂનનું આગમન વહેલું થયું છે તથા દેશના અમુક વિસ્તારોમાં વાવેતરનો આરંભ પણ થઈ ગયો છે. આવા માહોલમાં તાજેતરમાં ફર્ટીલાઈઝર્સ (ખાતર) તથા પેસ્ટીસાઈડસ (જંતુનાશક દવાઓ)ની બજાર તથા ઉદ્યોગમાં પણ ચહલ પહલ વધ્યાના વાવડ મળ્યા હતા. આ વર્ષે વરસાદ પૂર્વે એપ્રિલ મહિનામાં દેશમાં યુરીયા, ડાઈ-એમોનિયમ ફોસ્ફેટ, મ્યુરીએટ ઓફ પોટાશ એન્ડ કોમ્પ્લેક્સ વિ.વિવિધ ખાતરોનો વપરાશ ૧૭થી ૧૮ ટકા વધી ૧૯ લાખ ટન નજીક પહોંચી ગયો હતો જે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ૧૬ લાખ ટનથી સહેજ વધુ થયો હતો. દેશમાં એપ્રિલ મહિનામાં આશરે ૮ લાખ ટન જેટલા ખાતરોની આયાત પણ નોંધાઈ હતી. યુરિયાની આયાત ૪૭થી ૪૮ ટકા ઘટી આ ગાળામાં ૧ લાખ ૫૫થી ૬૦ હજાર ટન આસપાસ નોંધાઈ છે. એમપીઓની આયાત ૬૬થી ૬૭ ટકા ઘટી છે. જ્યારે ડીએપીની આયાત આ ગાળામાં ૩થી ૪ ટકા વધી છે ઉપરાંત કોમ્પ્લેક્સ ખાતરોની આયાતમાં પણ આ ગાળામાં ખાસ્સી વૃદ્ધી થયાનું જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, ઓરિસ્સામાંથી મળેલા સમાચાર મુજબ રાજ્યના વિવિધ એફપીઓઝ દ્વારા બ્રિટન, દુબઈ તથા યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) ખાતે કેરીના ત્રણ કન્સાઈમેન્ટોની નિકાસ કરવામાં આવી છે. લંડન ખાતે બે ટન કેરી મોકલવામાં આવી છે. એફપીઓઝને ઘરઆંગણે કૃષી માલો વેંચવા ઉપરાંત દરિયાપાર નિકાસ કરવા માટે પણ પ્રોત્સાહન તથા પ્રશિક્ષણ અપાતું થયું છે. ઓરિસ્સા પછી દેશના અન્ય રાજ્યોમાં પણ આવો ટ્રેન્ડ વેગ પકડશે એવી શક્યતા કૃષી જગતમાં ચર્ચાતી થઈ છે.