કોણ જાણી શકે કાળને રે, કાલ સવાર કેવું થાશે...અનિશ્ચિત જીંદગીથી ચેતો
- આગામી ક્ષણે શું થવાનું છે તે કોઇ જાણી શકતું નથી
- પ્રસંગપટ
- અનિશ્ચિતતાના ડરને હળવો બનાવવા માટે જ લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખે છે ને ઇષ્ટદેવને પૂજે છે
અણધારી બની જતી ઘટનાઓ આપણને જીંદગી કેટલી અનિશ્ચિત છે તેનો સંકેત આપતી જાય છે. હનીમૂન પર ગયેલા રાજા રઘુવંશીને પોતાની નવીનવેલી દુલ્હન સોનમે ખાઈમાં ધકેલી દીધો. રાજા સ્વાભાવિક રીતે જ ફુલગુલાબી મૂડમાં રાચતો હતો, પણ એની પત્ની ખુદ કાળ બનીને આવી. કોણે એવી કલ્પના કરી હોય કે આનંદ-ઉલ્લાસની પળોમાં અપમૃત્યુ આ રીતે ત્રાટકી શકે છે. અચાનક આવતું મૃત્યુ હંમેશા કલ્પનાથી પર છે. તે શાંત પણ હોઇ શકે છે અને ભયાનક પણ હોઇ શકે છે.
ગઇકાલે ગુરૂવારે બપોરે અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના મોટા ભાગના પ્રવાસીઓને મોત તરફ ખેંચી ગયું હતું. પ્રવાસીઓ લંડન પહોંચવાના મૂડમાં હતા, પણ કોઈને કશું સમજાય તે પહેલાં તો એમાંના કેટલાય મરણને શરણ થઈ ગયા. પાઇલોટ અનુભવી હતો, એર ઇન્ડિયા પર લોકોને ભરોસો હતો છતાં પણ કાળ ભરખી ગયો હતો.
આનાથીય મોટી ક્રૂરતા તો વિમાન જ્યાં ખાબક્યું તે મેડિકલ હોસ્ટેલમાં રહેતા ભાવિ ડોક્ટરો સાથે થઇ. તેઓ નહોતા તો લંડન જવાના કે નહોતી એમને એર ઇન્ડિયા સાથે કશી નિસબત. છતાંય મોત તેમને ખેંચી ગયું.
આખો મામલો જ અનિશ્ચિતતાનો છે. બે-ચાર-દસ વર્ષ પછી શું થવાનું છે એ ભૂલી જ જાઓ, આગામી ક્ષણે શું થવાનું છે તે સુધ્ધાં કોઈ જાણી શકતું નથી. દુનિયાભરના ફિલોસોફરો અને ચિંતકો એટલે જ આજમાં, આ ક્ષણમાં ભરપૂર જીવી લેવાનું અને વર્તમાન સ્થિતિનો પૂરેપૂરો આનંદ લૂંટવાનું કહેતા આવ્યા છે.
આપણે છેલ્લા થોડા સમય દરમિયાન સોશિયલ નેટવર્ક એવા કેટલાય વીડિયો વાઇરલ થતાં જોયા છે, જેમાં સંગીતસંધ્યા દરમિયાન મંચ પર નાચી રહેલી યુવતી કે પોતાની દુકાનમાં કેશ કાઉન્ટર પર બેઠેલો યુવાન અથવા તો જિમમાં કસરત કરી રહેલો આદમી અચાનક જ, કશા જ પૂર્વસંકેત વગર ઢળી પડે છે ને એમનાં પ્રાણપંખેલું ઉડી જાય છે.
૨૦૨૨ના ભારતમાં રોડ અકસ્માતોમાં ૧,૬૮,૦૦૦ લોકોનાં મોત થયા, ૨૦૨૩માં આ આંકડો ૧,૭૨,૦૦૦ને સ્પર્શી ગયો. હજુ તાજેતરમાં જ મંુબઇની લોકલ ટ્રેનમાં લટકીને પ્રવાસ કરનારા મુસાફરો અચાનક ચાલુ ટ્રેને પડી ગયા, જેમાંથી સાત લોકોનાં મોત થઈ ગયાં. તેમાંના કેટલાકે ઘરે જાણ કરી હશે કે હું ટ્રેનમાં છું ને થોડી વારમાં ઘેર પહોંચું છું. એમના બદલે એમના મૃતદેહ લઇને ઘેર પહોંચ્યા હતા.
મોતની અનિશ્ચિતતા લોકોને ડરાવી રહી છે. એટલે જ કહે છેને કે કાલ કોણે દીઠી છે? જીવનની અનિશ્ચિતતા માટે તો જ્યોતિષીઓ પણ માથું ખજવાળતા રહી જાય છે. ગઇ કાલની વિમાન દુર્ઘટનામાં મોતના મુખમાં ખેંચાઇ ગયેલા દરેકના ગ્રહો તો ખરાબ નહીં હોયને? જીંદગીની અનિશ્ચિતતાનો ડર હળવો કરવા જ લોકો ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે અને પોતપોતાના ઇષ્ટદેવને પૂજે છે.
આપણે ત્યાં કથામંડપોમાં કાળ અથવા તો યમરાજનેે ધ્યાનમાં રાખીને એક બહુ તલસ્પર્શી ભજન ગવાય છે. ખાસ કરીને જીજ્ઞોશદાદા તરીકે ઓળખાતા કથાકાર તે બહુ સુંદર રીતે ગાય છે.
કોણ જાણી શકે કાળને રે,
કાલ સવાર કેવું થાશે
આ કાયામાંથી હંસલો રે
અચાનક ઉડી જાશે..
તારા મોટા બંગલા ને મોટર,
ગાડી વાડી બધી માયા મૂડી મેલીને
ખાલી હાથે જાવું પડશે...
તારો દેહ રૂપાળો રે ,
નહીં રાખે ઘરમાં ધડી
તારા સગાં ને સબંધી રે
થોડા દિ'માં ભૂલી જાશે...
તારી સાચી ખોટી વાણી રે
જગમાં સાંભળશે નહીં
તારા પંખીડાનો માળો
પળવારમાં વિખરાઇ જાશે...
તને મળ્યો છે રૂડો મનખો રે
બાંધી લે ભવનું ભાથું
તું થા ને સાચેા કૃષ્ણભક્ત રે,
ફેરો તારો સફળ થાશે...
કોણ જાણી શકે કાળને રે...
કાલ સવાર કેવું થાશે...
આ સત્ય લોકો સમજે છે છતાં તેઓ પૂરપાટ જીંદગી જીવે છે, ખોટું કરે છે અને આખરે યમરાજા ટકરાય છે ત્યારે બધું રફેદફે થઇ જાય છે. જીવન અનિશ્ચિત છે તેથી જ પરિવારની સુખાકારી માટે લોકો પોતાનો વિમો ઉતરાવતા હોય છે.