Get The App

પતિનું કાસળ કાઢી નાખવા જેટલી હિંમત પિતાને લગ્ન માટે ના કહેવા માટે નહોતી

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
પતિનું કાસળ કાઢી નાખવા જેટલી હિંમત પિતાને લગ્ન માટે ના કહેવા માટે નહોતી 1 - image


- મા-બાપની ભૂમિકા સાયલન્ટ કિલર સમાન સાબિત થઇ

- પ્રસંગપટ

- બહુચર્ચિત સોનમ રઘુવંશીએ પતિની હત્યા કરાવીને પોતાના જ હાથે ખુદનું સિંદૂર ભૂંસી નાખ્યું   

- સોનમ અને રાજા રઘુવંશી

ઓપરેશન સિંદૂરની ચર્ચાની હરીફાઈ કરે એટલો વાદવિવાદ હાલ સોનમ રઘુવંશી નામની યુવતીનો થઈ રહ્યો છે. બહુચર્ચિત સોનમે પોતાના હાથે જ પોતાની સેંથીમાંથી સિંદૂર ભૂંસી કાઢ્યું છે ને તે પણ ઘાતકી રીતે, પતિની હત્યા કરાવીને,  એને ઊંડી ખાઇમાં ધકેલી દઈને. ઘેર ઘેર સોનમની ચર્ચા થઇ રહી છે.

 કહે છે કે સોનમે મા-બાપના સખત આગ્રહના પગલે રાજા રધુવંશી સાથે લગ્ન કર્યાં હતાં. સોનમ લફરાબાજ હતી તેની ખબર તેની માતાને હતી, પરંતુ મા-બેટીએ પિતાથી પોતાના કરતૂત છૂપાવીને ચૂપચાપ લગ્ન કરી લીધાં હતાં.  

સોનમે પતિનું કાસળ કાઢી નાખવા જેટલી હિંમત બતાવી હતી તેનાથી અડધી હિંમત પણ પોતાના પિતાને લગ્ન માટે ના પાડવાની બતાવી હોત તો આજે બે બહેનોનો ભાઈ એવો રાજા રધુવંશી જીવતો હોેત. સોનમ પ્રત્યે આજે અમુક ફેક ફેમિનિસ્ટો સિવાય ક્યંાય સહાનુભૂતિ જોવા મળતી નથી. સોનમે પોતાનાં  પિયરિયા અને સાસરિયા ઉપરાંત ધામધૂમથી કરાયેલાં લગ્નમાં આવેલા તમામ આમંત્રિતોને પણ છેતર્યા છે. 

હનીમૂનના સ્વર્ગમાં વિચરનાર પતિ રાજા રઘુવંશીને ખબર નહોતી કે તે એક કિલર સાથે સમય વીતાવી રહ્યો છે. આખો કેસ ધીરે ધીરે સ્પષ્ટ થઇ રહ્યો છે. સોનમનાં મા-બાપની ભૂમિકા સાયલન્ટ કિલર સમાન સાબિત થઇ છે. 

આપણા વડવાઓએ લગ્નપ્રથા બહુ સમજીવિચારીને બનાવી છે. જ્યારે શિક્ષણની માત્રા ઓછી હતી ત્યારે મા-બાપ કે કુટુંબ યોગ્ય પાત્ર જોઇને દીકરા- દીકરીને પરણાવી દેતાં હતાં. પતિ-પત્ની સીધાં લગ્ન સમજે જ એકબીજાનું મોઢું જોઇ શકતાં. બાળલગ્નોનો કાળ પણ આપણે ઇતિહાસમાં વાંચ્યો છે. શિક્ષણનો વ્યાપ વધતાં પસંદગીના રિવાજમાં સુધારો થતો ગયો. અરેજન્ડ્ મેરેજમાં છોકરો-છોકરી એકબીજાને મળ્યા બાદ જો હા પાડે તો જ કુટુંબીઓ આગળ વધતા. બંનેના પરિવારો પોતપોતાના સંતાનની જવાબદારી લેતા. અરેન્જ્ડ મેરેજની પ્રથામાં હજુ પણ આ જ સ્થિતિ છે, અને હવે તો બંને પાત્રોને લગ્ન પહેલાં એકબીજાને ઓળખી લેવાનો પૂરો અવકાશ મળી રહે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે માતા-પિતાની આજ્ઞાાથી થતાં લગ્નો મજબૂત પૂરવાર થતાં હતાં અને અત્યારે વિવાહ-લગ્ન વચ્ચે લાંબો ગાળો રહેતો હોવા છતાં અને છોકરો-છોકરી એકમેકને આસાનીથી મળી શકતાં હોવા છતાં લગ્નો વધારે તૂટે છે.

માત્ર ડેટિંગ સાઇટ જ નહીં, ઓનલાઇન મેટ્રિમોનિયલ સાઇટ્સ પણ ક્યારેક ખલનાયક પૂરવાર થાય છે.  મેટ્રિમોનિયલ  સાઇટ્સ પર છોકરા કે છોકરીનાં માતાપિતા પોતાના સંતાન  દુર્ગુણો છુપાવીને આદર્શ ચિત્ર પેશ કરી બદમાશી આચરી શકે છે. વિદેશથી લગ્ન કરવા આવતા એનઆરઆઇ ઘણી વાર છેતરપીંડીની દુકાન સમાન હોય છે. કન્યા એનઆરઆઈ પરણીને વિદેશ જાય ત્યારે એનાં કરતૂતો, એની કહેવાતી સમૃદ્ધિનાં ખોટાં ચિત્રોનો ભાંડો ફૂટે છે.

આવી યુવતીઓનું પછી શોષણ થાય ને અંતે મામલો છૂટાછેડામાં પરિણમે છે. એમ તો માત્ર વિદેશ જવાના ઉદ્દેશતી એનઆરઆઈ મૂરતિયાઓને પકડીને પછી ડિવોર્સ આવી દેતી યુવતીઓની પણ ક્યાં નવાઈ છે? પોતાના દીકરા કે દીકરીની એબ છૂપાવવાને હોશિયારી ગણતાં માબાપ જાણતાં નથી કે તેમના સંતાનનું લગ્નજીવન તૂટવા પાછળ તેમનાં જૂઠ્ઠાણા જ જવાબદાર બનતા હોય છે.

આજે એવી અનેક સ્ત્રીઓ છે, જે પોતાના પતિની ઐયાશીને સહન કરીને જીવતી હોય. સામાન્ય રીતે પતિદેવો લહેરથી વ્યભિચાર કરતા હોય છે અને પત્નીને ભાગે સહન કરવાનું આવતું હોય છે... પણ લાગે છે કે ક્રમશઃ આ પરિસ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે. 

આ કિસ્સામાં તો સોનમે તેના પતિને મારી નાખવા માટે રીતસર સોપારી આપી હતી. સોનમની માતા સંભવતઃ પોતાની પુત્રીના દુર્ગુણો જાણતી હતી અને પતિને અંધારામાં રાખી  સબ સલામતનું સિગ્નલ આપતી રહી. આ જુઠ્ઠાણાનો પરપોટો સોનમે પોતે જ ફોડી નાખ્યો હતો. ભલે થોડા સમય માટે તો થોડા સમય માટે, પણ સોનમના સાસરિયાઓએ એને પૂત્રવધૂ તરીકે પૂરતું સન્માન આપ્યું હતું. 

સોનમનો કેસ સમાજને એટલું તો જરૂર શીખવે છે કે લગ્ન પહેલાં છોકરા-છોકરી કે તેનાં માતા-પિતાની વાતો પર ભરોસો મૂકી દેવાના બદલે છોકરા-છોકરીનાં વર્તન-વ્યવહાર અને ચારિત્ર્યની પાક્કી તપાસ કરવી જોઈએ. 

Tags :