મણિપુર સરકારની ઉતાવળે ફરી હિંસાની આગ સળગાવી
- ઇમ્ફાલના અડધોઅડધ જીલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ
- પ્રસંગપટ
- 2023માં મણિપુર જ્યારે હિંસાચારની આગમાં લપેટાયું હતું ત્યારે 260 જેટલા લોકોના જીવ હોમાયા હતા
મણિપુરમાં સ્થપાયેલી શાંતિ નરી ભ્રમણા સાબિત થઈ રહી છે. જેવી સરકારે શાંતિના ઢગલા પર ફૂંક મારી કે તે સાથે જ હિંસાની જ્વાળાઓ પ્રગટી ઉઠી હતી. મણિપુરની સરકાર ગુનેગારો સામે કામ ચલાવે તે આવકાર્ય છે, પરંતુ તે માટે યોગ્ય સમયની રાહ પણ જોવી જરૂરી છે. મણિપુરનો વર્તમાન હિંસાચાર જોઇને ૨૦૨૩ની યાદ આવે છે. તે વખતે મણિપુર સરકાર માટે માથાનો દુખાવો બની ગયું હતું.
૨૦૨૩માં મણિપુર હિંસાચારની આગમાં લપેટાયું ત્યારે ૨૬૦ જેટલા લોકોના જીવ હોમાયા હતા. કેન્દ્ર સરકાર માટે ફરી મણિપુર ચિંતાનો વિષય બની ગયું હતું. એમ લાગે છે કે સરકારના એકાદ ઉતાવળા પગલાની તોફાનીઓ રાહ જોઇને બેઠા હતા અને આ તત્ત્વો અરાજકાતા ફેલાવવાનું બહાનું જ શોધતાં હતાં.
મણિપુરમાં વારંવાર સામસામે બાંયો ચઢાવતાં મૈતેઇ અને કુકી જૂથ વારંવારની મંત્રણા પછી સમાધાનના પંથે આવ્યાં હતાં. અંદરોઅંદરના હિંસાચાર કર્યા પછી તેઓ સલામતી દળો સામે પણ ટકરાયા હતા. મણિપુરનો હિંસાચાર હવે નવો વળાંક લઇ રહ્યો છે. કેટલાક લોકો તેમના નેતાની ધરપકડના વિરોધમાં આત્મવિલોપન કરવા જઈ રહ્યા હોય તેવા વીડિયો જોવા મળ્યા છે.
તોફાનોની અફવાના પગલે ઇમ્ફાલના અડધોઅડધ જીલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યુંં હતું. છતાંય સાચી હકીકતોને બદલે અફવાઓ ફેલાતી ગઈ અને ઉશ્કેરાટ વધતો ગયો. મૈતેઇ નેતાની ધરપકડ બાદ તેમના સમર્થકો રોડ પર આવી ગયા છે અને તોફાન કરી રહ્યા છે. મૈતેઇ નેતા અરંબઇ તેંગલોંગ અને તેમના કેટલાક સાથીઓની ધરપકડ કરાયા બાદ ફાટી નીકળેલાં તોફાનો અને રાજ્યના વિવિધ ભાગોમાં ભભૂકી ઉઠેલી આગે સત્તાવાળાઓને દોડતા કરી દીધા હતા. અમુક વ્યક્તિઓએ કરેલો આત્મદાહનો પ્રયાસ ખરેખર બહુ ગંભીર ગણાવો જોઈએ. પોલીસે કડક વલણ બતાવીને ફરી ભૂલ ફરી રહી છું.
૨૦૨૩માં મણિપુર હિંસાચાર દરમ્યાન વિવિધ ગુન્હામાં સંડોવાયેલો અરંબઇ તેંગલોંગઅને તેમના સાથીઓની પોલીસે ધરપકડ કર્યા પછી આ તોફાનો ફાટી નીકળ્યાં હતાં. તેને ગુવાહાટી લઇ જઇને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાના હોવાથી તેની ધરકપડ કરવામાં આવી હતી. પોતાના નેતાને મણિપુરની બહાર નહીં જવા દેવાના આશય સાથે સમર્થકો એરપોર્ટ પર રસ્તો રોકીને સુઇ ગયા હતા. મણિપુરના તોફાનીઓએ એરપોર્ટ રોડ વગેરે જેવા મહત્ત્વનાં પોઇન્ટ્સ પર કબજો જમાવી દીધો હતો. સલામતી દળોએ તોફાનીઓને વિખેરવા માટે લાઠીચાર્જ સહિતનો બળપ્રયોગ સુધ્ધાં કર્યો હતો.
તોફાનીઓની સ્પષ્ટ માંગ હતી; અમારા નેતાને કોઇ પણ પ્રકારની પૂછપરછ માટે મણિપુરની બહાર નહીં લઈ જવાનો. વિધાનસભ્યોનું એક પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળ્યું હતું. કેટલાક નેતાઓ સલામતી અધિકારીઓને ઠપકો આપી રહ્યા હતા કે અમે મણિપુરમાં માંડ શાંતિ સ્થપાય તેવાં પગલાં ભરીએ છીએ ત્યાં તમે મહેરબાની કરીને ફરી હિંસાચાર ફેલાય તેવી હરકત ન કરો. અહેવાલો અનુસાર મૈતેઇ ગુ્રપે ફરી આંદોલન સક્રિય કરવા ૧૦ દિવસનું શટડાઉન જાહેર કર્યું હતું. રાજ્યપાલ સાથે પણ આ જૂથે ચર્ચા કરી હતી અને પોતાની પાસે રહેલાં કેટલાક શસ્ત્રો પણ પરત કર્યા હતા.
૨૦૨૩માં ગુનાખોરીમાં સંડોવાયેલા કાનન સિંહની ધરપકડ મણિપુરમાંથી થઇ ત્યારે હિંસાચાર જોવા મળ્યો હતો. તે વખતે મણિપુર સળગ્યું ત્યારે હજારો લોકો બેઘર થયા હતા. તે વખતે મુખ્યપ્રધાન એન. બિરેનસિંહે રાજીનામું આપતાં ફેબુ્રઆરીમાં રાષ્ટ્પતિ શાસન લદાયું હતું. ગયા શનિવારે પ્રતિબંધિત જૂથના ત્રણ ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની પાસેથી વિસ્ફોટક પદાર્થો પકડાયા હતા.
સરકાર બળવાખોર નેતાની જાહેરમાં ધરપકડ કરીને તેની સામે કામ ચલાવે છે ત્યારેે તેના સમર્થકો હિંસાનો માર્ગ અપનાવે છે. નવેસરથી ફાટી નીકળેલાં તોફાનો સરકાર માટે ચિંતાનો વિષય છે. ૨૦૨૩ની હિંસાચાર ફાટી નીકળ્યો હતો ત્યારે પરિસ્થિતિને થાળે પાડતાં સરકારને આંખે પાણી આવી ગયા હતા. રાજભવનથી માત્ર ૨૦૦ મીટરના અંતરે આંદોલન કરનારાઓ આગચંપી કરે ત્યારે તોફાનીઓનું પ્રી-પ્લાનિંગ નજરે પડે છે.મણિપુરનો મુદ્દો બહુ સંવેદનશીલ છે. મૈતેઇ અને કુકી નામનાં બે જૂથોએ મણિપુરની શાંતિ ડહોળી નાખી છે.