- ડાયથિલિન ગ્લાયકોલ ખતરનાક બન્યું
- પ્રસંગપટ
- કોઈપણ પ્રકારની કફ સિરપ બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપતા પહેલાં વિચારવું જોઇએ
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ બાદ, 'કોલ્ડ્રિફ' કફ સિરપ વિવાદમાં છે. તમિલનાડુ સ્થિત શ્રીસન ફાર્મા કંપની દ્વારા બનાવવામાં આવતી આ સીરપમાં ખતરનાક કેમિકલ ડાયથિલિન ગ્લાયકોલ (ઘઈય્) મળી આવ્યું છે. તમિલનાડુ, મધ્યપ્રદેશ અને કેરળમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ૧૧ બાળકોના મૃત્યુ બાદ, કફ સિરપ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તમિલનાડુ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (ખજીઘછ) એ કાંચીપુરમ સ્થિત શ્રીસન ફાર્મા કંપની દ્વારા બનાવવામાં આવતી 'કોલ્ડ્રિફ' કફ સિરપના નમૂના લીધા હતા. તેમાં ખતરનાક કેમિકલ ડાયથિલિન ગ્લાયકોલ (ઘઈય્) મળી આવ્યું હતું. આ એ જ કફ સિરપ છે જેના કારણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ થયા હતા.
આ ખતરનાક કેમિકલની હાજરી બાદ તમિલનાડુ, મધ્ય પ્રદેશ અને કેરળની સરકારોએ કોલ્ડ્રિફ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો છે. વધુમાં, ઘણા રાજ્યોએ તપાસના આદેશ આપ્યા છે.
દરમિયાન, રાજસ્થાનમાં અન્ય એક કફ સિરપ અને તેની કંપની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કફ સિરપની તપાસ માટે ઉત્તરાખંડમાં પણ દરોડા પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર કફ સિરપ પીધા પછી ૭ સપ્ટેમ્બરથી ૧૪ બાળકોના મોત થયા હતા.
તપાસમાં જાણવા મળ્યું કે કોલ્ડ્રિફ કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલનું ઉચ્ચ સ્તર હતું. અધિકારીઓએ જણાવ્યું કે સીરપમાં ૪૮.૬ ટકા ડાયથિલિન ગ્લાયકોલ હતું, જે એક અત્યંત ખતરનાક રસાયણ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યંત સાવધાની સાથે બાળકો માટે કફ સિરપનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
મંત્રાલયે તેની સલાહમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે 'કોઈપણ પ્રકારની કફ સિરપ બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપતા પહેલાં વિચારવું જોઇએ.'
સત્તાવાળાઓએ એમ પણ જણાવ્યું છે કે 'આ દવાઓ સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભલામણ કરવામાં આવતી નથી.' નિષ્ણાતો માને છે કે મોટાભાગના બાળકોની ઉધરસ દવા વિના દૂર થાય છે. તેથી, બાળકોને દવા આપતા પહેલા પાણી, આરામ અને અન્ય સહાયક સારવાર પૂરી પાડવાને પ્રાથમિકતા આપવી જોઈએ.
દિલ્હી સરકારનો આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રાલય હવે સંપૂર્ણ સતર્ક છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન ડૉ. પંકજ સિંહે જણાવ્યું હતું કે આ મામલો ખૂબ જ ગંભીર છે. તેથી, કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી સલાહને દિલ્હીમાં પણ સંપૂર્ણપણે લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ કફ સિરપ હવે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવશે નહીં. વધુમાં, ચોક્કસ કંપની પાસેથી કફ સિરપ ખરીદવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બાળકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે.
આવા જોખમી કફ સિરપ બનાવનારાઓ સામે સરકારે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.


