- 48 એર પ્રવાસીઓને નો ફ્લાય લીસ્ટમાં મૂકાયા
- પ્રસંગપટ
- ભારત આવતી ફ્લાઇટમાં એક પીધેલા પ્રવાસીએ 70 વર્ષના મહિલા પ્રવાસી પર યુરીન કર્યું હતું
વિમાન પ્રવાસ દરમ્યાન કેટલાક મુસાફરો નાની વાતમાં ઉશ્કેરાઇ જાય છે અને પછી વાત મારા મારી સુધી પહોંચી જાય છે. વિમાન પ્રવાસ કરનારા સામાન્ય રીતે શાંત અને સૌમ્ય પ્રકૃતિ વાળા હોવાનું મનાય છે પરંતુ જ્યારે તે ઉશ્કેરાય છે ત્યારે પોતે વિમાનમાં પ્રવાસ કરે છે તે ભૂલી જાય છે અને લોકલ બસમાં પ્રવાસ કરતો હોય એવું વર્તન કરવા લાગે છે. વિમાનમાં પ્રવાસીઓના ઝગડામાં વિમાનના ક્રૂ મેમ્બરો પડતા નથી પરંતુ જ્યારે ઝગડો ઉગ્ર બને છે ત્યારે બધા વચ્ચે પડે છે અનેે મામલો થાળે પાડે છે. ઉશ્કેરાતા પ્રવાસીએા અનેક વાર ક્રૂ મેમ્બરને પણ ફટકારતા હોય છે. આવા પ્રવાસીઓને નો ફ્લાય લીસ્ટમાં મુકવામાં આવે છે.
જ્યારે એરપોર્ટની સિક્યોરીટી આવા તોફાની લોકોને પકડીને ઓફિસમાં ખેંચી જાય છે ત્યારે તે નરમ ગેંશ જેવા થઇ જાય છે અને સોરી-સોરીનું રટણ શરૂ કરીદે છે. તેમને રજૂઆત કરવાની તક અપાય છે પરંતુ કડકાઇથી તેની સામે કેસ ચલાવાય છે અને નો ફ્લાઇંગ લીસ્ટમાં મુકી દેવાય છે. એટલે કે તે વિમાન પ્રવાસ કરી શકે નહીં.
ચાલુ વિમાને જ્યારે પ્રવાસીઓ મારામારી પર આવી જાય છે ત્યારે ક્રૂ મેમ્બર નથી તો તેમને છોડાવવા પ્રયાસ કરતાં કે નથી તો તેમના પર તાત્કાલીક કોઇ પગલાં લેતા. એકલ દોકલ પ્રવાસીને ગૃપમાં બેઠેલા પ્રવાસીઓ ધોલ ધપાટ કરતાં અનેક કિસ્સાઓ છે. વાત સામાન્ય હોય છે પરંતુ ક્રૂ મેમ્બરો તેનો ઉકેલ લાવી શકતા નથી.
ઉગ્ર બોલાચાલી જેવી ઘટનાઓ વિમાન પ્રવાસ દરમ્યાન સામાન્ય બનતી જાય છે. આવી ઘટનાઓ વખતે કેવી રીતે કામ કરવું તે બાબતે ક્રૂ મેમ્બરોને કોઇ તાલિમ નથી આપી હોતી. આ વર્ષે ૩૦ જુલાઇ સુધીમાં ભારતે ૪૮ એર પ્રવાસીઓને નો ફ્લાય લીસ્ટમાં મુક્યા છે. ૨૦૨૦થી ૨૦૨૪ દરમ્યાન ૩૦૦ પ્રવાસીઓને નો ફ્લાય લીસ્ટમાં સમાવાયા છે. જે લોકોને નોફ્લાય લીસ્ટમાં મૂકવામાં આવ્યા છે તે લોકો ૬૦ દિવસમાં અપીલ કરી શકે છે. આવી કોઇ વ્યક્તિ એરપોર્ટમાં પ્રવેશે છે પણ તે બોર્ડીંગ પાસ મેળવી શકતી નથી.
અમેેરિકામાં ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના ત્રાસવાદી હુમલા પછી નો ફલાય લીસ્ટમાં ૪૦૦ લોકોને તાત્કાલીક રીતે સમાવાયા હતા. આ લોકો બેંાબ બ્લાસ્ટ કરી શકે એમ હતા. ૨૦૦૫માં તો અમેેરિકાએ યાદી ૭૦,૦૦૦ લોકોની કરી નાખી હતી. ત્યારે વિમાન ફૂંકી મારવાની ધમકીમાં દશ ગણો વધારો થયો હતો. ૨૦૦૪માં તો અમેરિકાના સાંસદ એડવર્ડ કેનેડીને પણ એરપોર્ટ પર અટકાવાયા હતા. જોકે પછી એવો ખુલાસો થયો હતો કે તેમનુ નામ અને નો ફ્લાય લીસ્ટમાનું નામ મળતું આવતું હતું.
આજકાલ છેલ્લા કેટલાક અઠવાડિયામાં વિવિધ એરલાઇન્સને ૧૭૦ જેટલી બોંબની ધમકી મળી છે. જેના કારણે પ્રવાસીઓમાં એક પ્રકારનો ડર પણ જોવા મળી રહ્યો છે. સરકારે નો ફ્લાય લીસ્ટમાં ઉમેરો કરીને કોઇ તોફાની બોમ્બ કે શસ્ત્રો સાથે પ્રવેશી ના શકે એવી સુરક્ષા ઉભી કરી છે.
કેટલાક એર પ્રવાસીઓ બહુ માથાભારે જોવા મળ્યા છે. બે વર્ષ અગાઉ ન્યૂર્યાર્કથી ભારત આવતી ફ્લાઇટમાં એક પીધેલા પ્રવાસીએ બાજુમાં બેઠેલાં ૭૦ વર્ષના મહિલા પ્રવાસી પર યુરીન કર્યું હતું. મહિલાના કપડાં ભીના થઇ ગયા હતા. થોડીવાર સુધી પીધેલો પ્રવાસી મહિલાની પાસે જ ઉભો રહ્યો હતો. વિમાનના ક્રૂ મેમ્બરોએ અસરગ્રસ્ત મહિલાને બદલવાના પાયજામો અને સ્લીપર વગેરે આપીને મામલો દબાવી દેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પેલા પીધેલા પ્રવાસીને કોઇએ ખખડાવ્યો નહોતો.
એરપોર્ટ પર પણ તે વિના રોકટોક બહાર જતો રહ્યો હતો. ટૂંકમાં ક્રૂ મેમ્બરોએ મામલો દબાવી દેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ જે ૭૦ વર્ર્ષના પ્રવાસી મહિલા મામલો ઉપર સુધી લઇ ગયા હતા. તેમના પર યુરીન કરીને તેમને પરેશાન કરનારને ક્રૂ મેમ્બરોએ જવા દીધો તેથી રોષે ભરાયેલા મહિલાએ ટાટા ગૃપના ચેરમેન એન ચન્દ્રશેખરનને સમગ્ર ઘટના લેખીતમાં મોકલી હતી. આવી ગંભીર બાબત છુપાવનાર ક્રૂ મેમ્બરો સામે પગલાં લેવાની સાથે ચેરમેને આ મુદ્દે એક તપાસ સમિતિની રચના કરી હતી. મહિલા પર યુરીન કરનારનું નામ શ્યામ નવલ મિશ્રા હતું. તેના પર એફઆઇઆર થતાં તેની અમેેરિકાની નોકરી જતી રહી હતી. તેનું નામ ૩૦ દિવસના નો ફ્લાય લીસ્ટમાં આવી ગયું હતું.
ઉડ્ડયન ક્ષેત્રે ભારત વિશ્વમાં ત્રીજા નંબરનું માર્કેટ છે. એરપોર્ટ પરની સલામતી અને વિમાન પ્રવાસીઓની સલામતી માટેના વધુ કડક પગલાં લેવાની જરૂર છે.


