ક્રિકેટ સેલિબ્રિટીને જોવાની ઝંખના 11ને મોતના મુખમાં ખેંચી ગઇ
- સન્મુખ દર્શનનો ક્રેઝ બહુ તીવ્ર હોય છે
- પ્રસંગપટ
- જાડી ચામડીના રાજનેતાઓના ખુલાસા અને હાથ અધ્ધર કરી દેવાની નીતિ રોષ પેદા કરી રહી છે
બોલિવુડ સેલિબ્રિટી, ક્રિકેટ સેલિબ્રિટી, રણછોડરાય ભગવાનના મંગળાના દર્શન... આ બધાનો ક્રેઝ સતત વઘતો જ જાય છે. 'પુષ્પા' ફેઇમ અલ્લુ અર્જુનને જોવા ઉમટેલી મેદનીમાં થયેલી ધક્કામુક્કીમાં અપમૃત્યુ થઈ ગયું હતું તે દુર્ઘટના હજુ ખાસ જૂની થઈ નથી ત્યાં તો વિજેતા ક્રિક્ટ ટીમના સન્માન કાર્યક્રમે તાજેતરમાં ૧૧ માણસોનો ભોગ લઈ લીધો. અલ્લુ અર્જનના કેસમાં ધક્કામુક્કીના કારણે એક મહિલાનું મૃત્યુ થયું હતું ને અભિનેતાને જેલની હવા પણ ખાવી પડી હતી. તે વખતે અલ્લુ અર્જુનના જેલવાસની તરફેણ કરનારા રાજકારણીઓ આ વખતે બેંગલુરુના સ્ટેડિયમની બહાર ધક્કામુક્કીથી થયેલાં ૧૧ કમોત અંગે ચૂપ છે.
ક્રિકેટનો ક્રેઝ આખા દેશમાં જોવા મળે છે. વિજેતા ક્રિકેટ ટીમનું સન્માન કરવું સારી વાત છે, પરંતુ આ વખતે તે ઇવેન્ટનું મેનેજમેન્ટ કરનારા નિષ્ફળ ગયા. જ્યાં ૩૫,૦૦૦ લોકોને સમાવવાની ક્ષમતા હોય ત્યાં બેથી ત્રણ લાખ લોકો આવી ચડે એટલે ધક્કામુક્કી થવાની હતી તે નક્કી હતું. વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું સન્માન સગી આંખે થતું જોવા લોકો ઉન્માદ સાથે પહોંચે તે પણ સ્વાભાવિક છે. ૧૧ માણસોના મૃત્યુ પછી જાડી ચામડીના રાજનેતાઓના ખુલાસા અને હાથ અધ્ધર કરી દેવાની નીતિ પણ લોકોમાં રોષ ઊભો કરી રહી છે.
આઇપીએલના ક્રિકેટ જંગે રસિકોમાં એટલો મોટા પાયે ઉત્સાહ સર્જ્યો હતો કે ફાઇનલમાં કોણ જીતશે તેના પર બહુ મોટો સટ્ટો પણ રમાયો હતો. કમનસીબે ૧૧ માણસોના જીવનનો સટ્ટો પણ બેદરકારી નામના રાક્ષસે રમી નાખ્યો.
ભીડમાં લોકો જ્યાં ધક્કામુક્કી કરતા હતા તેની નીચે ગટર હતી. તેની ઉપર ટેમ્પરરી સિમેન્ટનો એક સ્લેબ ગોઠવેલો હતો. સ્લેબને સિમેન્ટથી ચુસ્ત રીતે ફિટ કરવામાં નહોતો આવ્યો. લોકો તેના પર ઊભા હોવાથી તે હાલકડોલક થવા લાગતા લોકો ચીસો પાડીને ભાગ્યા હતા. કહે છે કે સ્લેબ અંતે તૂટી પડયો હતો અને તેેના ઉપર ઊભેલા અડધોઅડધ લોકો નીચે ગટરમાં પડી ગયા હતા. ઘક્કામુક્કીમાં ગબડી પડયા બાદ કચડાઈ ગયેલા લોકોનાં શરીર લગભગ છૂંદાઇ ગયા હતા. ભાગદોડમાં કોઇ કોઈને સાંભળવા તૈયાર નહોતું.
આ દુર્ઘટના કર્ણાટકમાં કોંગ્રેસ શાસન પર કાળી ટીલી સમાન છે. વિપક્ષ ભાજપ લાભ ઉઠાવવા મેદાનમાં ઉતરી આવ્યો છે. ભાજપશાસિત રાજ્યમાં આવી ધક્કામુક્કીની દુર્ઘટના બને ત્યારે વિપક્ષ લાભ લઇ જ જાય છે. ઉદાહરણ તરીકે, કુંભમેળા જઈ રહેલા કેટલાય શ્રદ્ધાળુઓ દિલ્હી રેલેવે સ્ટેશને ધક્કામુક્કીમાં ચગદાઈ મર્યા હતા ત્યારે કોંગ્રેસે સરકારની ટીકા કરવામાં કશું બાકી રાખ્યું નહોતું.
આવી ટીકાઓ ભલે થતી રહે પણ નિર્દોષ લોકો વગર કારણે જાન ગુમાવે છે તે નીંદનીય છે. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ ૧૧ લોકોના મોતને બહુ હળવાશથી લીધાં હોય એમ લાગે છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ૧૧ લોકોના મોત એ બહુ દુખદ ઘટના છે, પરંતુ ધક્કામુક્કી ક્યાં નથી થતી? તેમણે યાદ કરાવ્યું કે કુંભમેળામાં પણ આવું જ થયું હતું.
રાજકારણીઓને શિંગડાથી પકડો તો તેઓ લાત મારે છે અને પગેથી પકડો તો શિંગડા મારે છે. તેઓ ક્યારેય ભૂલ સ્વીકારતા નથી. તેથી જ લોકોએ સ્વયં સુધરવાની જરૂર છે. એમણે આ પ્રકારના ઉન્માદભર્યા જાહેર પ્રોગ્રામોથી દૂર રહેવું જોઇએ. કુટુંબના ટીનેજર્સ અને જુવાનિયાઓને આ પ્રકારની ભીડથી દૂર રહેવાની સલાહ આપવી જોઇએ.
સન્મુખ દર્શનનો ક્રેઝ એટલો તીવ્ર હોય છે કે લોકો કશી દરકાર કર્યા વગર ભીડમાં ઘુસી જાય છે. કેટલાય લોકો પોતાના નાની ઉમરના સંતાનોને પણ સાથેે રાખે છે અને અંતે કરૂણ પરિણામો ભોગવવા પડે છે. આવી ધક્કામુક્કીમાં ટીનેજર અને યંગસ્ટર્સ વધુ ભોગ બને છે. ભીડમાં ધક્કા મારનારાઓ અને ચીસો પાડનારાઓ એક પ્રકારનો વિકૃત આનંદ લૂંટતા હોય છે. ગમે તેટલી મોટી જનમેદની શાંતિથી પસાર થઇ શકે છે, જો તેમાં ધક્કામુક્કી કરનારા અરાજક તત્વો ન હોય તો. પોલીસ કેટલીય વાર તાલીમવિહોણી નજરે પડે છે. તે ભીડને કાબુમાં કરવા દંડાનો ઉપયોગ કરે છે અને બાજી બગાડે છે.
દાયકાઓ પહેલાં આજ જેવી મનોરંજક ઇવેન્ટ્સ નહોતી થતી ત્યારે રાજકીય નેતાઓના ભાષણ સાંભળવા પ્રચંડ જનમેદની ઉમટી પડતી. હવે હાઇ પ્રોફાઇલ મનોરંજક ઇવેન્ટ્સનું સામાન્યપણે લાઇવ ટેલિકાસ્ટ થતું હોય છે, પણ લોકોને સ્થળ પર હાજર રહીને માહોલ એન્જોય કરવાની ઘેલછા હોય છે. આ ઘેલછા જ ક્યારેક એમનો જીવ લઈ લે છે.