ગોત્ર અને કુળદેવી બંને મહત્વના શાંડિલ્ય-દત્તાત્રય ગોત્રની ગૂંજ
- ચાલો,નામની પાછળ ગોત્ર લખવાનું શરૂ કરીએ
- પ્રસંગપટ
- બ્રાહ્મણો પોતાના ગોત્રનું મહત્વ ભૂલવા લાગ્યા હતા ત્યારેજ આ તેનો ચૂંટણીમાં શસ્ત્ર તરીકે ઉપયોગ
બ્રાહ્મણ સંગઠનોએ રાહુલ ગાંધી અને મમતા બેનરજીનો એેટલા માટે આભાર માનવો જોઇએ કે બ્રાહ્મણો પોતાના ગોત્રનું મહત્વ ભૂલવા લાગ્યા હતા ત્યારેજ આ રાજકારણીઓએ તેનો ચૂંટણીમાં શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો. રાતો રાત શાંડિલ્ય અને દત્તાત્રય ગોત્ર ગૂંજવા લાગ્યા હતા. જે બ્રાહ્મણો પોતાની જાતને આધુનિક સમાજમાં ખપાવવા માંગતા હતા અને પોતાની દૈવિક પરંપરાને પોતાના રોજીંદા જીવનથી દુર ધકેલતા હતા તે બધાજ પોતાનું ગોત્ર ફંફોસવા બેસી ગયા હતા.
બ્રાહ્મણના કુળમાં અવતારને નસીબવંતો ગણાય છે. ઋષિ પરંપરા સાથે વણાયેલો આ અવતાર કળીયુગની થાપટો ખાઇ ખાઇને આધુનિક બનવાના ટ્રેક પર ચાલવા લાગ્યો હતો. કોઇ લલાટે તિલક કરે, કોઇ માથે અર્ધ ચન્દ્રાકાર ટોપી પહેરે તે સમાજનો એક પહેરવેશ બની ગયો હતો પરંતુ માથે શીખા એ જુનવાણીમાં ગણવા લાગ્યું હતું. માથે શીખા વાળો બ્રાહ્મણ શોધવો મુશ્કેલ બની ગયો હતો. વાંક સમાજનો નહોતો પણ પોતાની પરંપારાગત પ્રથાને ચાલુ રાખવા બાબતે સૂગ ઉભી કરી બ્રાહ્મણોએ પોતેજ પોતાના પગ પર કહાડો માર્યો હતો.
મમતા બેનરજી અને રાહુલ ગાંધીનું મૂળ ગોત્ર રાજકારણ છે. મતદારોને ભરમાવવા આ લોકો ક્યારેક પોતાને જનોઇ ધારી બ્રાહ્મણ કહે છે તો ક્યારેક ગોત્ર કહીને લોકોને ભરમાવે છે. આવો લોકોનું કોઇ ગોત્રના હોઇ શકે. રાહુલ ગાંધીના માતા પિતા અને તેમના માતા પિતા વિશે ગુગલ ધણી સાચી વાતો કહે છે.આવા લોકો મતલક્ષી છે પરંતુ તેમણે ભૂલ એ કરી છે કે બ્રાહ્મણોને તેમનું મહત્વ કેટલું ઉંચું છે તે બતાવ્યું છે. લોકોને જેમ પોતાનું ગોત્ર ખબર નથી હોતું એમ પોતાની કુળદેવી કોણ તે પણ ખબર નથી હોતું. મમતા બેનરજીના સલાહકારોએ તેમના શાંડિલ્ય ગોત્રની યાદ અપાવનારાઓએ તેમના કુળદેવી કાલિમાં છે તે પણ કહેવા જેવું હતું. ગોત્ર અને કુળદેવી વગેરે કૌટુંબિક પરંપરા છે. સમાજ રચના સાથે જોડાયેલા અનુભવીઓ કહે છે કે દરેકે પોતાની કુળદેવીના દર્શને વર્ષમાં એકવાર જવું જોઇએ. આવું દરેક કુટુંબના વડવાઓે તેમના સંતાનોને કહેવું જોઇએ અને સંતાનો તેનો અમલ કરે છે કે નહીં તે પણ જોવું જોઇએ.
મમતા બેનરજીએ મતદારો સમક્ષ ચંડીપાઠના શ્લોકો બોલતા બોલતાં વધુ આવેશમાં આવીને પોતે બ્રાહ્મણ છે અને શાંડિલ્ય ગોત્ર ધરાવે છે એમ કહી દીધું હતું. તેમના દશ વર્ષના શાસન દરમ્યાન તે ક્યારેય શાંડિલ્ય ગોત્ર બોલ્યા નથી. જ્યારે નજર સામે હાર હોય ત્યારે લોકો પોતાના ઇષ્ટદેવને શોધવા લાગે છે. રાજકારણીઓ માટે ઇષ્ટદેવ ેએટલે મતદારો. હિન્દુ મતદારો ખાસ કરીને બ્રાહ્મણ મતદારોના દિલ જીતવા મમતાએ છોડેલું ગોત્રનું તીર તેમના માટે તો બૂમરેંગ સમાન સાબિત થવાનું એવી રજૂઆતો થઇ રહી છે કે દરેક બ્રાહ્મણે પોતાના નામની સાથે ગોત્ર જોડવું જોઇએ તોજ તેનું મહત્વ જળવાઇ રહેશે.
કોઇ શહેરનું નામ બદલવું હોય તો અનકે વિધિમાંથી પસાર થવું પડે છે પણ પોતાના નામની સાથે ગોત્ર જોડવું શક્ય છે. જેમકે કેટલાક લોકો પોતાના નામની પાછળ પિતાના બદલે માતાનું નામ જોડે છે. તે સર્વ સ્વિકૃત છે એવું ગોત્ર જોડવા માટે થઇ શકે.
બેંકોના ખાતા કે આધાર કાર્ડમાં નામ બદલી ના શકાય પણ પોતાના વિઝીટીંગ કાર્ડમાં કે ઘરની નેમ પ્લેટમાં તેનો આસાનીથી ઉલ્લેખ થઇ શકે છે. જરૂર છે કોઇ પહેલ કરનારની. એવીજ રીતે કુળ દેવીનું મહત્વ પણ દરેકને તેમના સમાજે સમજાવવું જોઇએ. કુળદેવી કુળની એટલેકે કુટુંબની રક્ષક છે . તેમનું વારે તહેવારે પૂજન કરવું જરૂરી છે. તમારી કુળદેવી કોણ કે તમારું ગોત્ર ક્યું? તે પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે યુવા પેઢી તેમના વાલીને પૂછવા જાય છે.
ગોત્ર સ્પષ્ટ હોય છે પણ કુળદેવી બાબતે કુટુંબના વડવાઓમાં પણ બે મત હોય છે. કેટલાક પોતાના ગામની દેવીને કુળદેવી રહે છે તો કેટલાક પોતાના ઘરમાં જે માતાજીની પૂજા થતી હોય તેને કુળદેવી કહે છે. ગુંચવાડા અનેક છે પરંતુ તેને નિવારવાની જરૂર છે.