ભારતમાં આશરો લેનાર શેખ હસીનાને ફાંસી આપવા બાંગ્લાદેશમાં માંચડો તૈયાર
- 1400 જેટલા બાંગ્લાદેશીઓનાં મોત માટે જવાબદાર
- પ્રસંગપટ
- વિરોધીઓનો ખાત્મેા બોલાવવા માટે શેખ હસીનાએ ખાસ ટ્રિબ્યુનલની રચના કરી હતી
- શેખ હસીના
બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનનાં પહેલાં પૂતળાં તોડી પાડવામાં આવ્યાં અને હવે ચલણી નોટોમાંથી તેમની તસવીર ગાયબ કરવામાં આવી રહી છે. ભારતમાં શરણ લેનારાં તેમની ૭૭ વર્ષની પુત્રી અને બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના માટે ફાંસીનો માંચડો તૈયાર થઈ રહ્યો હોય તેવો માહોલ ઊભો થયો છે. બાંગ્લાદેશમાં વસતી હિંદુ લઘુમતીને નિશાન બનાવીને તેમના પર હિંસક અત્યાચાર થઈ રહ્યા છે.
શેખ હસીના સામે કોર્ટમાં કેસ શરૂ થયો છે અને બાંગ્લાદેશના વર્તમાન કેરટેકર મોહમ્મદ યુનુસ આ કાનૂની કેસ ચલાવવા માટે દેખીતી રીતે જ ઉતાવળ કરી રહ્યા છે. બીજી બાજુ, મોહમ્મદ યુનુસ સામે નારાજગી વધતી જાય છે અને બાંગ્લાદેશમાં લોકશાહી ઢબે ચૂંટણી થઈ શકે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.
આક્ષેપ એવો છે કે ૨૦૨૪માં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર સત્તાધારીઓ હિંસક બનીને તૂટી પડયા હતા ત્યારે શેખ હસીના એમનો જીવ બચાવી શક્યાં નહોતાં.
વિદ્યાર્થી આંદોલન સમયે સરકારે લીધેલા કડક પગલાંના કારણે અનેક વિદ્યાર્થીઓ મોતને ભેટયા હતા. શેખ હસીના વિરુદ્ધ કરાયેલી તપાસના અહેવાલ પ્રમાણે, શેખ હસીનાએ જ સુરક્ષા દળોને વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાના સીધા આદેશ આપ્યા હતા.
તાજેતરમાં બાંગ્લાદેશના ડોેમેસ્ટિક ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ ખાતે ચીફ પ્રોસિક્યુટર મોહમ્મદ તેજુલ ઇસ્લામે કાર્ટમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓની હત્યા માટે આગોતરું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. પોતાની વાતની સાબિતી માટે તેમણે વિવિધ એજન્સીઓના વીડિયો રજૂ કર્યા હતા.
કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે શેખ હસીનાએ જ સુરક્ષા દળોને તેમજ તેમના પક્ષના સશસ્ત્ર કાર્યકરોને આંદોલનને કચડી નાખવા મોકલ્યા હતાં. વકીલે તેમની દલીલમાં કહ્યું હતું કે આંદોલન ચાલતું હતું ત્યારે સલામતી દળોનો કમાન્ડ શખ હસીનાના હાથમાં હતો. શેખ હસીનાની સાથે ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને ભૂતપૂર્વ પોલીસવડા પણ હતા. તે બંનેનાં નામો મુખ્ય આરોપી શેખ હસીના સાથે જોડવામાં આવ્યાં છે.
વિદ્યાર્થીઓના મોત બાદ તેમની સામે વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંધના અહેવાલ અનુસાર, જુલાઇ અને ઓગસ્ટ ૨૦૨૪ દરમ્યાન આંદોલન કરનારા પર તૂટી પડેલા સુરક્ષા દળોના કારણે ૧૪૦૦ જેટલા બાંગ્લાદેશીઓનાં મોત થયાં હતાં.
વિદ્યાર્થી આંદોલનને કડક હાથે દેવામાં આવ્યું તે પછી શેખ હસીનાનું રાજીનામું માગવાનું આંદોલન શરૂ થયું હતું. પાંચમી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ શેખ હસીના રાજીનામું આપીને ભારત ભાગી આવ્યાં હતાં.
કેરટેકર મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશનો હવાલો સંભાળ્યો તેના કેટલાક અઠવાડિયાં પછી શેખ હસીના વિરુદ્ધ આરોપ મુકાયા હતા. શેખ હસીનાના રાજકીય પક્ષ અવામી લીગની પ્રવૃત્તિઓ પર પણ એન્ટિ-ટેરરિસ્ટ એક્ટ હેઠળ પ્રતિબંધ મુકી દેવાયો હતો. હવે જોકે આ પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે.
ગયા ઓક્ટોબરમાં ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલે હસીના સામે વોરંટ ઇશ્યુ કર્યું અને તેમને ભારતથી પરત લાવવાની સૂચના આપી. ૧૯૭૧માં બાગ્લાદેશ આઝાદ થયો તે સમયે પાકિસ્તાની લશ્કરે કરેલા અત્યાચારની તપાસ માટે શેખ હસીનાએ ૨૦૦૯માં ટ્રિબ્યુનલની રચના કરી હતી. શેખ હસીના પર એવો આક્ષેપ છે કે આ ટ્રિબ્યુનલનો ઉપયોગ તેમણે પોતાના વિરોધીઓનો ખાત્મેા બોલાવવા માટે કર્યો હતો.
બાંગ્લાદેશ પર ચીન અને અમેરિકાની નજર છે. બાંગ્લાદેશમાં વેપાર વ્યવસાય ભાંગી રહ્યા છે. પાકિસ્તાનની જેમ અહીં પણ રોટી રમખાણ જેવી સ્થિતિ છે.
ભારતે શેખ હસીનાને આશરો આપ્યો છે, અને બાંગ્લાદેશ તેમને પરત બોલાવી કોર્ટમા તેમના વિરુદ્ધ મુકદમો ચલાવવા માગે છે. આ કેવી રીતે શક્ય બનશે તે જાવાનું રહ્યું. એમ લાગે છે કે શેખ હસીનાને આશરો આપીને ભારતે સામે ચાલીને શૂળ ઊભી કર્યું છે.