Updated: Apr 22nd, 2023
વેકેશનમાં બાળકો વાંચનાલય તરફ વળે તે માટે પ્રયત્ન કરાશે : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો માટે આશિર્વાદરૂપ ગ્રંથાલયમાં 47012 પુસ્તકોનો વૈભવ
પોરબંદર, : પોરબંદરની 1423 વર્ષ જુની સ્ટેટ લાયબ્રેરી ખાતે રવિવારે વિશ્વ પુસ્તકદિનની ઉજવણી કરવામાં આવનાર છે. પોરબંદરમાં સમુદ્રકાંઠે આવેલી અને અડધા લાખ પુસ્તકોનો સમૃદ્ધ વૈભવ ધરાવતી સ્ટેટ લાયબ્રેરી વાચકો માટે આકર્ષણનું કેન્દ્રબિન્દુ બની છે. અહીંયા દરરોજ મોટી સંખ્યામાં વાચકો ઉમટી પડે છે.
પોરબંદરના આ ગ્રંથાલયમાં કુલ 47012 જેટલા પુસ્તકોનો વૈભવ ધરાવે છે. પુસ્તકાલયમાં 31069 જેટલા પુસ્તકો ગુજરાતી ભાષાના છે. તેમાં બાળ-વિભાગના ૧૪૮૩ પુસ્તકો સામેલ છે. અંગ્રેજી ભાષાના ૧૦૫૩૯, હિન્દી ભાષાના ૪૭૮૩ મરાઠી ભાષાના ૩૬૪ અને સંસ્કૃત ભાષાના ૨૫૭ પુસ્તકો છે.
પોરબંદરના સ્ટેટ લાયબ્રેરીના પ્રમુખ દિપકભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે, પુસ્તકના મહત્વને ધ્યાનમાં રાખીને યુનેસ્કો તરફથી દર વર્ષે 23 મી એપ્રીલ વર્લ્ડ બુક એન્ડ કોપી રાઈટ ડે તરીકે ઉજવવામાં આવે છે. અને તેના ભાગરૂપે પોરબંદરની રાજાશાહી વખતની છેલ્લા ૧૪૨ વર્ષથી વધારે જુની આ સ્ટેટ લાઈબ્રેરી ખાતે પણ ઉજવણી થશે.
ગ્રંથાલયનો ઉપયોગ અનેક લોકોએ કરેલો છે. જેવા કે સાહિત્યના મેઘધનુષ્ય સમા ગુલાબદાસ બ્રોકર, વિજયગુપ્ત મૌર્ય, જયેન્દ્ર પાઠક, સ્વ. રતિલાલ છાયા, સ્વ. પુષ્પક ચંદરવાકર તથા હાલના સાહિત્યકાર નરોતમ પલાણ વગેરે વ્યકિતઓએ કરેલ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થાય છે ત્યારે તેમાં જોડાવા માંગતા અને સારા માર્કસે પાસ થવા ઇચ્છતા યુવાનો મોટી સંખ્યામાં આ લાયબ્રેરીની મુલાકાત લઇ રહ્યા છે. બહારથી પુસ્તક ખરીદે તો તોતીંગ ખર્ચ થતો હોય છે જયારે અહીંયા નિઃશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો વાંચવા મળે છે તેથી મોટી સંખ્યામાં યુવક-યુવતિઓ અહીંયા પુસ્તકો વાંચવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવે છે. યુવાપેઢીની વાંચનભુખ પણ ઉઘડી હોવાનું સામે આવ્યું છે. વેકેશનમાં બાળકો વાંચનાલાય તરફ વળે તે માટે પ્રયત્ન હાથ ધરાશે.