કુતિયાણા નજીક રેશનના ચોખા ભરેલો ટ્રક સગેવગે કરાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી
રૂા. 6.72 લાખની કિંમતના ચોખાના 422 કટ્ટા કબજે : ટ્રક ડ્રાઇવર સહિત 10 શખ્સો સામે ગુન્હો દર્જ : ગાંધીધામની ચોખાની મિલમાં જથ્થો મોકલવાનો હોવાનું ખુલ્યું
પોરબંદર, : પોરબંદરના કુતિયાણા નજીક પોલીસે સસ્તા અનાજની દુકાનમાંથી રાશનકાર્ડ ધારકોને આપવાનો ચારસો બાવીસ બાચકા ચોખાનો જથ્થો કે જેની કિંમત 6,72,000 થાય છે જે પોલીસે કબ્જે કરીને 10 શખ્સો સામે ગુન્હો નોંધી દીધો છે.
પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉદયભાઈ કેશુભાઈ વરૂ દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમના જવાનો કુતિયાણા પોલીસ સ્ટેશનની હદમાં રાત્રે પેટ્રોલિંગ કરતા હતા ત્યારે બાતમી મળી હતી કે કુતિયાણા નજીક આવેલ દેવાંગી હોટલ પાસેના દેવાંગી વે બ્રીજ ખાતે એક ટ્રક ગેરકાયદેસર ચોખા ભરીને આવવાનો છે અને વજન કરાવવા માટેની કામગીરી થવાની છે. આથી પોલીસ કાફલો તાત્કાલિક ત્યાં ત્રાટક્યો હતો અને સ્થળ પર પહોંચતા કુતિયાણાના પંચેશ્વર ચોકમાં ખોજા ખાનાવાળી ગલીમાં રહેતો ધુ્રવીકગીરી જોગેશગીરી અપારનાથી નામનો 21 વર્ષિય યુવાન ટ્રક લઇને આવી પહોંચ્યો હતો અને ટ્રકમાંથી અલગ અલગ માર્કાના પ્લાસ્ટિકના બાચકાના રેશનીૅંગના ચોખા ભરેલા 422 કટ્ટા (બાચકા) કુલ વજન 24 ટન એટલે કે 240 ક્વિન્ટલ ચોખા મળી આવતા કુલ રૂા. 6,72,00 નો શંકાસ્પદ જથ્થો મળી આવેલ હતો. જે ચોખા ગાંધીધામ ખાતે મુન્દ્રા ફલાય ઓવર બ્રીજ નીચે બાલાજી વે બ્રીજ પાસે આવેલ માં આશાપુરા ચોખાની મીલની મોકલવાના હોય તેવી કબૂલાત કરી હતી.
આ અંગે તપાસ કરી લાગતા વળગતા સાહેદોના નિવેદનો લેતા તેઓએ જણાવેલ કે, સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાંથી રાશનકાર્ડ ધારકોને આપવામાં આવતા ચોખા અલગ અલગ છકડો રિક્ષાવાળા ફેરીયાઓ પાસેથી મેળવી પોતાની વખારમાં લાવી પ્લાસ્ટિકના અલગ અલગ માર્કાવાળા બાચકાઓમાં પેક કરી ભાડાની ટ્રકના ડ્રાઇવર ધુ્રવિકગીરી યોગેશગીરી અપારનાથી રહે. ગાંધીધામ ખાતે મુન્દ્રા ફલાય ઓવરબ્રીજ નીચે બાલાજી વે બ્રીજ પાસે આવેલ માં આશાપુરા ચોખાની મીલમાં મોકલી આપતા અને આ ચોખા ગેરકાયદેસર રીતે મેળવેલ હોવાથી પોતાની પાસે આ અંગે રજીસ્ટર કે કોઇ હિસાબ નહીં હોવાની કબૂલાત આપેલ છે.
જેથી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાંથી રાશનકાર્ડ ધારકોને આપવામાં આવતા ચોખા પ્લાસ્ટિકના 422 કટ્ટામાં ભરેલ ચોખાનો મુદ્દામાલના ચોખા અલગ અલગ છકડો રિક્ષાવાળા ફેરીયાઓ આરોપી કિશોરભાઈ ભરતભાઈ વાડોલીયા, મંગાભાઈ ઉર્ફે બાપુ ગોસ્વામી તથા અનિલ મંગાભાઇ ગસ્વામી, અજય ઉર્ફે અજો મોહનભાઈ ચૌહાણ, નાગાજણ લખમણભાઇ ઓડેદરા, હિતેષભાઈ વાઢેર સહિત 10 સામે ફરિયાદ નોંધાવાઇ છે.