For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બરડા ડુંગરમાં સિંહણ સગર્ભા હોવાનું કહીને વનતંત્રની પીછેહટ

Updated: Apr 21st, 2023


ગત ડિસેમ્બરમાં જાહેર કરનાર વન અધિકારી ગાયબ : સિંહણની આરોગ્ય ચકાસણી સહિતની સંભાળ લેવાઈ, પણ નિયત 110 દિવસમાં બચ્ચાની ડણક સંભળાઈ નહીં!

પોરબંદર, : પોરબંદર વનવિભાગના એક અધિકારીએ ડિસેમ્બર મહિનામાં અમુક સમૂહ માધ્યમો મારફતે એવી જાહેરાત ઉતાવળે ઉતાવળે કરી નાખી હતી કે એશિયાટીક સિંહોના બીજા ઘર એવા બરડા ડુંગરના સાત વિરડા નેશ ખાતે એનકલોઝરમાં રહેતી એક સિંહણ સફળતાપૂર્વક સગર્ભા થઈ ગઈ છે અને 110 દિવસ પછી બચ્ચાઓની ડણક સંભળાશે. પરંતુ હવે એવી માહિતી અપાઈ છે કે એ સિંહણ ગર્ભવતી થઈ નહોતી અને કોઈ બચ્ચાઓને જન્મ આપ્યોન થી.

પોરબંદરના વનવિભાગના એક અધિકારી કે જેમણે રાણાવાવ રેન્જની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે ગત 20 ડિસેમ્બર 2022નાં રોજ કેટલાક સમક્ષ એવું જાહેર કર્યું હતું કે, બરડા ડુંગરમાં સિંહના પુનર્વસવાટ પ્રોજેકટ હેઠળ બનાવાયેલ લાયન જીનપુલ સેન્ટરમાં એક સિંહણને સારા દિવસો જાય છે. અને તેને એક માસનો ગર્ભ છે અને 110  દિવસ બાદ સિંહણ તેના બચ્ચાને જન્મ આપશે. ગર્ભવતી સિંહણને નિયમિત હેલ્થ ચેકઅપ સહિત તમામ સંભાળ જંગલખાતા દ્વારા કરવામાં આવી રહી છે, તેમ પણ જણાવ્યું હતું.

જો કે આ અંગે 120 દિવસ બાદ તેઓને સિંહણના બચ્ચા અંગે પૂછતા તેઓએ એવું જણાવ્યું કે સિંહણ ગર્ભવતી હોવાનું તે સમયે જણાતું હતું. પરંતુ હકીકતમાં ગર્ભવતી ન હોવાથી કોઈ બચ્ચા આવ્યા નથી. જેના પગલે વનવિભાગે તે સમયે ઉતાવળે સિંહણને ગર્ભવતી જાહેર કરી લાપસીના આંધણ મુકાવ્યા બાદ હવે તે ગર્ભવતી ન હોવાનું જાહેર કરતા અનેક ચર્ચાઓ જાગી છે. અને જેમની સિંહના જતન સંવર્ધનની ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવી હોય તેવા અધિકારી પણ સિંહણ ગર્ભવતી છે કે કેમ? તે અંગેની પ્રાથમિક દ્રષ્ટિએ પણ સાચી જાણકારી ધરાવતા ન હોય ત્યારે તે મુદ્દો ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે.

Gujarat