બરડા ડુંગર મધ્યે ઐતિહાસિક સોનકંસારીના ડેરાની અવદશા
- પુરાતત્વ ખાતા દ્વારા જાળવણીમાં લાપરવાહી
- 'આરક્ષિત સ્મારક'ના માત્ર બોર્ડ મુકીને સરકારી તંત્રએ સંતોષ માની લેતાં પ્રવાસીઓમાં પ્રસરેલો આક્રોશ
પોરબંદરથી ૪૫ કિ.મી. દૂર બરડા ડુંગરની ગોદમાં આવેલ ઐતિહાસિક ઘુમલી નગરીના ઉપરના ભાગે આશાપુરા મંદિરથી અંતરિયાળ વિસ્તારમાં આવેલા ડુંગરો વચ્ચેના ઐતિહાસિક સોનકંસારીના ડેરા તરીકે ઓળખાતા મંદિરોના સમૂહની જાળવણીમાં પુરાતત્વખાતું અને રાજ્ય સરકાર ઉણા ઉતરતા ૧૩ મંદિરોમાંથી માંડ ૬ મંદિર બચ્યા છે અને તેની દીવાલો પણ જર્જરીત છે તો તમામ મંદિરોની આજુબાજુમાં તથા અંદર ઝાડી-ઝાખરાનું જંગલ ઉગી નીકળ્યું હોય અહીંયા આવતા પ્રવાસીઓ પણ સરકારની નીતિ સામે આશ્ચર્ય સાથે રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.
સોનકંસારીના આ ડેરાનો ભવ્ય ઈતિહાસ છે. ગુજરાતના મંદિર સ્થાપત્યોના ગૂ્રપમાં આ સોનકંસારીના ડેરાનો મંદિર સમુહ અનન્ય છે અને તેની કોતરણી દુર્લભ છે. ૯મી સદીથી ૧૪મી સદી વચ્ચે બંધાયેલા આ મંદિરો સાથે સોનકંસારી નામની યુવતી સતિ થઈ ગઈ તેની થા પણ મોજુદ છે. સોનકંસારી મંદિર સમુહમાં પ્રાચીન ગણાતું એક નંબરનું મંદિર શક્તિ મંદિર મનાય છે. આ મંદિરોના સમુહની વિશિષ્ટતા એ છે કે, તેમાં અલગ-અલગ શૈલીની કોતરણીના નમૂના છે. સૌથી જૂનું મનાતું ૯મી સદીનું વિષ્ણુ મંદિર પણ અહીંયા જોવા મળે છે. 'સોનકંસારી ટેમ્પલ ગૂ્રપ'તરીકે પુરાતત્ત્વ ખાતું ઓળખે છે તેવા નાના-મોટા ૧૩ મંદિરોમાંથી અત્યારે હવે માંડ છ મંદિરો સાજા રહ્યા છે અને તેમાં પણ દીવાલોમાં તિરાડો જોવા મળી રહી છે.
રાજ્ય સરકાર આવા પ્રાચીન સ્મારકોની જાળવણી કરવા માટે ક્યારેય ગંભીર બની નથી. પ્રવાસીઓ એવું પણ અહીંયા આવીને જણાવે છે કે આ પ્રકારના મંદિર સમુહો સૌરાષ્ટ્રમાં ડુંગર મધ્યે હોય તો એકમાત્ર અહીંયા જ છે તેથી આવા સ્મારકોની જાળવણી અને વિકાસ માટે પણ સરકારે ગંભીર બનવું જોઈએ. આમ, પોરબંદર નજીકના ઘુમલી ગામે પર્વત મધ્યે આવેલ સોનકંસારીના ડેરાના પ્રાકૃતિક સૌંદર્યની ફાટફાટ થતી જગ્યાની આજુબાજુ અને સ્મારકની જાળવણીમાં તંત્ર ઉણું ઉતર્યું હોવાથી રાજ્ય સરકારે આ મુદ્દે ગંભીર બનવું જરૂરી બન્યું છે.
વળી, બરડા ડુંગર મધ્યે આવેલ ૧૩ મંદિરોના સમુહ સોનકંસારીના ડેરાની જાળવણી સરકાર કરતી નથી, પરંતુ ત્યાં ચોકીદારની પણ નિમણૂંક નહીં હોવાના કારણે અહીંયા આવતા પ્રવાસીઓ સ્મારક ઉપર ચડી જાય છે. સ્મારકમાં જાતજાતના ચિત્રો દોરે છે અને અમુક એકાંતપ્રેમી પ્રવાસીઓ તો અણછાજતા કૃત્યો પણ કરતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે તેમ છતા તંત્રને કોઈ જ દરકાર નથી તે પણ હકીકત છે.
પ્રાકૃતિક સોંદર્ય ફાટફાટ... પણ પુરાતત્વ ખાતાની બેદરકારી
પોરબંદરના બરડા ડુંગર મધ્ય ઘૂમલી નજીક આવેલ સોનકંસારીના ડેરા તથા તેની આજુબાજુનો વિસ્તાર અત્યંત રમણીય અને પ્રાકૃતિક સોંદર્ય ફાટફાટ થતું જોવા મળે છે પરંતુ ડેરાની જાળવણી જેના ઉપર જવાબદારી છે તે પુરાતત્વ ખાતુ સ્થળની જાળવણીમાં ઘોર બેદરકારી દાખવતું હોય તેવું અનુભવાઈ રહ્યું છે. અહીંયા આવતા પ્રવાસીઓ સોનકંસારીના ડેરાની ખંડેર જેવી હાલત જોઈને તંત્રને મસમોટી સંભળાવતા નજરે ચડે છે.
બોર્ડ મુકી દેવાથી સ્મારકની જાળવણી થઈ જાય ખરી ?
બરડા ડુંગર મધ્યે આવેલ ૧૩ મંદિરોના નાનામોટા સમુહ પુરાતત્વ ખાતા હસ્તકના છે તે પ્રકારના અલગ-અલગ બોર્ડ જુદા-જુદા ડેરા વર્ષો પહેલાં સરકારે મુકી દીધા છે પરંતુ બોર્ડ મુકી દેવાથી સ્મારકની જાળવણી તઈ જાય ખરી ?! તેવા સવાલો ઉઠાવીને પ્રવાસીઓ વધુમાં જણાવે છે કે આ સ્મારકો ઉપર કદાચ વર્ષોથી પુરાતત્વ ખાતાના અધિકારીઓ આ સ્થળે ગયા હોય તેવું જણાતું તેથી રાજ્ય સરકારે તથા કેન્દ્ર સરકારે પુરાતત્વ ખાતાના અધિકારીઓને અહીંયા જાત તપાસ કરવા દોડાવવા જોઈએ તેવી માગણી પણ પર્યટકો કરી રહ્યા છે.