FOLLOW US

80 વીઘામાં મગફળીને બદલે આંબાનું વાવેતર કરી ચાર ગણી કમાણી કરી

Updated: May 24th, 2023


પોરબંદરનાં હનુમાનગઢના પ્રગતિશિલ ખેડૂતને કેરી ફળી  : ટપક સિંંચાઇ માટે સબસીડી મળતાં કર્યું હતું આંબાનું વાવેતર, હાર્ટએટેક બાદ બિઝનેસ છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

પોરબંદર, : સામાન્ય રીતે ખેડૂતો મગફળીના પાક તરફ વધુ વળતા હોય છે પરંતુ પોરબંદરના ધરતીપુત્રો હવે અન્ય પાકમાં પણ સારું એવું વાવેતર કરીને કમાણી કરી રહ્યા છે ત્યારે રાણાવાવ તાલુકાનાં હનુમાનગઢના એક ખેડૂતે મગફળીના બદલે કેરી પર પસંદગી ઉતાર્યા બાદ એવું તારણ કાઢયું છે કે તેમને 80 વીઘા જમીનમાં મગફળીથી થતી કમાણી કરતાં ચાર ગણી વધુ કમાણી કેરી આપે છે.

પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ગામના આ ખેડૂત આગવી સૂઝથી નજીવા ખર્ચે પ્રાકૃતિક ખેતી દ્વારા મબલક કેરીનું ઉત્પાદન કરી લાખોની કમાણી કરી રહ્યા છે. આંબાના રોપાના વાવેતર માટે રાજ્ય સરકાર દ્વારા લાભાર્થી માલદેભાઇ મોઢવાડીયાને અંદાજે રૂ. 3 લાખની સબસીડી આપવાની સાથે ટપક સિંચાઇ પધ્ધતિ માટે પણ સબસીડી મળતા ખેડૂતનો સમય, ખર્ચ અને પાણીનો બચાવ તો થયો જ છે, સાથે સાથે ઓર્ગેનિક ઉત્પાદન હોવાથી પાકની સારી એવી કિંમત પણ મળી રહી છે. હાર્ટ એટેક આવ્યા બાદ બિઝનેસ છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા માલદેભાઇ પ્રકૃતિના સાંનિધ્યમાં રહીને કેરીના સ્વદરસિકોનું આરોગ્ય જળવાઇ રહે તેની દરકાર પણ રાખે છે.

આ તકે પ્રગતિશીલ ખેડૂત માલદેભાઇએ કહ્યું કે, ખેતી પાકમાં રાસાયણિક દવાના છંટકાવથી શરૂ શરૂમાં લાભ મળી શકે પણ લાંબા ગાળે તે જમીન અને લોકોના આરોગ્ય માટે પણ નુકસાનકારક બની શકે છે. હું પહેલા બિઝનેસ સાથે જોડાયેલો હતો પણ હાર્ટએટેક આવ્યા બાદ બિઝનેસ છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું. અગાઉ મારી 80  વીઘા જમીનમાં મગફળી પાકનુ વાવેતર કરાતું પણ છેલ્લા બે વર્ષથી કેરીનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં મગફળ પાક કરતા ત્રણથી ચાર ગણો વધુ નફો મળે છે.

Gujarat
IPL-2023
Magazines