નાગાર્જુન સીસોદીયાએ શૌર્ય અને રાષ્ટ્રપ્રેમનું ઉદાહરણ કર્યું પ્રસ્થાપિત
- મોઢવાડાના વીરને વતનમાં પાઠવાયાં શ્રધ્ધાસુમન
- 1971ના ભારત- પાક. યુધ્ધમાં શહીદ થયેલા સેકન્ડ લેફટનન્ટના 51મા શહીદ વંદના દિવસે શ્રધ્ધાંજલિ અર્પણ
પોરબંદર: પોરબંદર નજીકના મોઢવાડા ગામના વતની એવા સેન્ડ લેફટનન્ટ નાગાર્જુન સીસોદીયાના 51મા શહીદ વંદના દિવસ નિમીતે તેમના વતન મોઢવાડામાં અગ્રણીઓ અને ગ્રામજનોએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાયેલ 1971 યુધ્ધમાં છામ્બના મોરચે માતૃભુમિની રક્ષા કાજે અપ્રતિમ શૌર્ય સાથે દુશ્મનોને લડત આપ્યા બાદ શહીદ થયેલ અમર શહીદ લેફટન્ટ નાગાર્જુન સીસોદીયાએ દાખવેલ અપ્રતિમ સાહસની વરગાથ સમગ્ર દેશમાં ગુજરાતના યુવાનોના શૌર્ય અને રાષ્ટ્રપ્રેમનુ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. શહીદવીર નાગાર્જુ માત્ર 21 વર્ષની ઉંમરે મિલીટરી અકાદમીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ બની થ્રી-ફોર ગુરખા રેજીમેન્ટના સેકડન્ડ લેફટનન્ટની કલાસ વનની પદવી પામ્યા અને ભારતની અખંડિતતા અકબંધ રાખવા પોતાના પ્રાણ અર્પણ કરી ઈતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે નામ અંકિત કરી ગયા.
માતૃભૂમિ કાજે શહીદી વ્હારી ન હોત તો ભારતીય સેનાના સરસેનાપતી બનવા સુધીની ક્ષમતા આપણા પનોતા પુત્રમાં હતી. માત્ર પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાત અને ભારત વર્ષ હમેંશા આ મહાન વિભુતીની ઋણી રહેશે તેમ જણાવીને શબ્દાંજલી અર્પણ કરી હતી. આ તકે અગ્રણીઓ તથા ગ્રામજનોએ પણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યો હતો.