Get The App

માહિતી ખાતાંને મન કીર્તિ મંદિર ગાંધીજીનું જન્મ સ્થળ ને બળેજનું ભાષાંતર 'બાલેજ'

- આમાં સાચી માહિતી ક્યાંથી મળે! મોંઘાદાટ પુસ્તકમાં બહૂમૂલી માહિતી જ ગુમ

- સ્થાપત્ય કલાનું પુસ્તક ગેરમાહિતીનો ભંડાર

Updated: Jul 12th, 2020

GS TEAM


Google News
Google News
માહિતી ખાતાંને મન કીર્તિ મંદિર ગાંધીજીનું જન્મ સ્થળ ને બળેજનું ભાષાંતર 'બાલેજ' 1 - image


પોરબંદર, તા. ૧૨ જુલાઈ, 2020, રવિવાર

ગુજરાતની સ્થાપત્યકલાના અમુલ્ય ઐતિહાસિક વારસાની લોકોને જાણકારી મળે તે માટે રાજ્ય સરકારના માહિતી ખાતાએ 'ગુજરાતની સ્થાપત્ય કલા' નામની ૧૬૪ પેઇજની ફોર કલર બુક બહાર પાડી છે, જેમાં મુખ્યમંત્રીથી માંડીને સૌ કોઇના શુભેચ્છા સંદેશાઓ પણ છે પરંતુ આ બુકમાં પ્રાચિન સ્મારકોની જાણકારીમાં અસંખ્ય છબરડાઓ ઉડીને આંખે વળગે તેવા છે. પોરબંદર જિલ્લાના કલેક્ટર રહી ચૂકેલા અધિકારી રાજ્યના માહિતી નિયામક છે અને તેમના માર્ગદર્શન નીચે પ્રકાશિત થયેલી બુકમાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના સ્મારકોમા જિલ્લા ફેર કરીને અસંખ્ય ગોટાળા કરવામાં આવ્યા હોવાનું બહાર આવતા લોકો જ નહીં, ઇતિહાસવિદો પણ ચોંકી ઉઠયા છે. 

રાજ્યના માહિતી નિયામક અને પોરબંદરના પૂર્વ કલેકટર અશોક કાલરીયાના નેતૃત્વમાં માહિતી ખાતાએ ખૂબ જ ખર્ચ કરીને છપાવેલી આ બુકમાં પ્રકાશકે (માહિતી નિયામકે) આ પુસ્તક વિદ્યાર્થીઓ, પુરાત્વવિદો અને નાગરીકોને ઉપયોગી નિવડશે તેમ જણાવ્યું છે પરંતુ  આ પુસ્તકમાં જ અઢળક છબરડાઓ ઉડીને આંખે વળગે તેવા છે. 

પુસ્તકમાં 'જામનગર જિલ્લાની અસ્મિતા' તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્મારકોને દર્શાવવામાં આવ્યા છે. ભાણવડ નજીકની ઐતિહાસિક ઘુમલીનગરીમાં ગણેશ મંદિર, નવલખો મંદિર (મહેલ) વગેરે આવેલા છે. પરંતુ આ પુસ્તકમાં ઘુમલીને જામનગર જિલ્લામાં દર્શાવાયું છે. તસ્વીરોમાં ઐતિહાસિક મોડપરના કિલ્લાને પણ જામનગર જિલ્લામાં બતાવી દેવામાં આવ્યો છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ હાથલાના શનિ મંદિર (પનોતી મંદિર)નો પણ જામનગર જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. દ્વારકા નજીક ધ્રાસણવેલમાં આવેલ કાલિકા માતાજી મંદિરને પણ જામનગર જિલ્લામાં દર્શાવાયું છે. આ પ્રકારના તસવીરો સાથેના છબરડાથી વિદ્યાર્થીઓ અને નાગરીકો સહિત પ્રવાસીઓ ગેરમાર્ગે દોરાય તે સ્વભાવિક છે. 

પોરબંદર જિલ્લાની અસ્મિતા અને ગરીમાને સિધ્ધ કરતા લેખમાં ગાંધી જન્મ સ્થળ તરીકે કીર્તિ મંદિરની તસવીર મુકી દેવામાં આવી છે! હકીકતે ગાંધીજીના મૃત્યુ પછી આ કીર્તિ મંદિરનું નિર્માણ થયું હતું અને સ્થળ પુરાતત્વ ખાતા હસ્તકનું નહીં હોવા છતાં તેનો ફોટો દર્શાવાયો છે તે ઉપરાંત પોરબંદર નજીક આવેલા 'બળેજ' ગામ વિશે પણ ગતાગમ કે જાણકારી હોય નહીં તેમ સાઇટ ઉપરથી બળેજ ને અંગ્રેજીમાં 'બાલેજ' લખાતું હોવાથી પુસ્તકમાં બળેજને બદલે અનેક જગ્યાએ 'બાલેજ' તેવું નામ દર્શાવાયું છે. બળેજ નજીક ભાણેસરાના મંદિરે 'ભણસારા' મંદિર તરીકે લખી નાખવામાં આવ્યું છે. પુરાતત્વ ખાતું મોટાભાગની આ ઇમારતોની જાળવણીમાં તો ઉણુ ઉતર્યું જ છે, ઉપરાંત તેની ઉપરછલ્લી અને આછેરી માહિતી જ આ પુસ્તકમાં દર્શાવાઇ છે. 

સુપ્રસિધ્ધ યાત્રાધામ માધવપુરમાં પુરાતત્વ ખાતા હસ્તકના અને ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીની યાદના અનેક પ્રાચીન મંદિરો આવેલા છે પરંતુ માધવપુર ગામના  નામનો પણ ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પોરબંદર શહેરનું નામ જેના ઉપરથી પડયું તે પોરાવ માતાજી મંદિર વિશેની પણ કોઇ જ માહિતી આ પુસ્તકમાં સમાવાઇ નથી. પોરબંદર નજીકના વિસાવાડા ગામે પણ પુરાતત્વ ખાતા હસ્તકના મંદિરો આવેલા છે. પરંતુ આવા મહત્વના યાત્રાધામો અને સ્મારકોને ભૂલીને ગણ્યા ગાંઠયા મંદિરો વિશેની જ થોડી ઘણી માહિતી આ પુસ્તકમાં દર્શાવાઇ છે. પુસ્તકમાં દ્વારકા શહેર અને તેની આજુબાજુના વિસ્તારની જ માહિતીઓ આપેલી છે, હકીકતે દેવભુમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીક આવેલ ઘુમલી ગામની જેતાવાવ, ઐતિહાસિક મોડપરનો કિલ્લો, બરડા ડુંગરમાં આવેલ સોનકંસારીના ડેરા, ભૃગુકુંડ, ભવનેશ્વર નજીકના વિકીયાવાવ તથા પાસ્તર અને પાસ્તરડીના પ્રાચિન સૂર્ય મંદિરો વગેરે અનેક માહતી ખૂબ ઉપયોગી હોવા છતાં તેના વિશેનો એક શબ્દ પણ પ્રગટ કરવામાં આવ્યો નથી. 

આ પુસ્તકમાં મુખ્યમંત્રીએ પણ શુભેચ્છા સંદેશો આપીને જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, આ પુસ્તિકા ગુજરાતના ભવ્ય ઐતિહાસિક સ્થાપત્ય, કલા વારસાના ચાહકો, સંશોધકો અને ગુજરાતના પ્રવાસીઓ માટે ઉપયોગી નીવડશે! 

પુરાતત્વીય સ્મારકોના બુકમાં વખાણ, વાસ્તવમાં અનદેખી

બરડા ડુંગર અને આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ ખાતા હસ્તકની મોટાભાગની ઇમારતો અને વાવ - કુવાઓ અત્યંત જર્જરીત થઇ ગયા છે. મોડપરનો કિલ્લો ગમે ત્યારે પડીને પાદર થઇ જાય તેવો છે તો ઘુમલીના નવલખા મંદિર ઉપર  ઘુમટ બનાવાયું નથી. ત્યાંની જેતાવાવ જર્જરીત છે તો વિકીયાવાવના પણ અનેક માળ પડી ગયા છે. સોનકંસારીના ડેરા ખંડેર હાલતમાં ધૂળધાણી થઇ રહ્યા છે. રાજ્ય સરકારનું પુરાતત્વ ખાતું આવા સ્મારકો બહાર માત્ર રક્ષિતના બોર્ડ મુકી દે છે પરંતુ એ ઇમારતોની વર્તમાન સ્થિતિ શું છે? તે પણ જોવાની દરકાર લેતું નથી તેથી રાજ્ય સરકારે આવા પુસ્તકો બહાર પાડવાની સાથોસાથ પુરાતત્વ ખાતાને ઢંઢોળવું જરૂરી બની જાય છે. 

Tags :