ખેડૂતોનો અનોખો વિરોધઃ કેનાલમાં અર્ધનગ્ન થઈ રસ્તા ચક્કાજામ કર્યા
- બોતરવાડામાં છેલ્લા 40 દિવસથી પાણી નહી મળતાં
- નાયબ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર, 48 કલાકમાં સમસ્યા નહી ઉકેલાય તો જલદ આંદોલન
પાટણ,તા.8
જાન્યુઆરી, 2019, શુક્રવાર
પાટણ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે અને આઠ જિલ્લામાં દુષ્કાળની
જાહેરાત બાદ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત છતાં પાટણ જિલ્લામાં સિંચાઈની
પાણીની બૂમો પડી હતી અને છાશવારે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે આજે હારીજ તાલુકાના
બોરતવાડાના ખેડૂતોને છેલ્લા 40 દિવસથી પાણી નહી મળતાં આજે તેમણે ટ્રીપલ કાર્યક્રમ આપ્યો
હતો. જેમાં કેનાલમાં અર્ધનગ્ન થઈ સૂત્રોચ્ચારો કર્યા તો યુવાનોએ કબડ્ડી રમ્યા હતા અને
વૃધ્ધોએ રસ્તા પર ચક્કાજામ કરતા અફરા-તફરી મચી હતી.
આ અંગે ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગતો અનુસાર હારીજના બોરતવાડા
ગામના ખેડૂતો અને ગ્રામજનોએ કેનાલમાં પાણી છોડવાના મુદ્દે તંત્રને વારંવાર રજૂઆત કરી
હતી. અહીં નર્મદા કેનાલની જમણપુર પેટા કેનાલ બોરતવાડાને બ્રાન્ચ કેનાલ અપાઈ છે પણ અહીં
પાણી કેનાલમાં નહી છોડતા છેલ્લા 40 દિવસથી ખેડૂતો રાહ જોતા હતા પણ આજે તેમની ધીરજ ખૂટતા
સવારમાં સરકાર વિરુદ્ધ કાર્યક્રમ આપ્યો હતો. જેમાં કેનાલમાં અર્ધનગ્ન થઈ સરકાર અને
ડેપ્યુટી સી.એમ. વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તો કેટલાક યુવાનોએ કબડ્ડી જેવો આશ્વર્યજનક
કાર્યક્રમ આપ્યો હતો અને ગામના આગેવાન વૃધ્ધોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો. લગભગ
30 થી 40 મિનિટ સુધી આ ધરણા થતા ટ્રાફિકજામ થયો હતો અને શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ
અટવાયા હતા તો બસો રોકી રાખતા પેસેન્જરો પણ સલવાયા હતા. આ વખતે ભાજપના મહામંત્રી અહી
પાટણ કાર્યક્રમમાં આવવા નીકળેલ તે વખતે તેઓએ ખેડૂતોને ખાતરી આપી હતી કે 2 દિવસમાં પાણી
કેનાલમાં આપીશુ ત્યારે ખેડૂતોએ ખાતરી મળતાં 48 કલાક સુધી કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.
જો 48 કલાક બાદ સમસ્યાનો ઉકેલ નહી આવે તો વધુ જલદ આંદોલનની ચિમકી
ઉચ્ચારી છે. ખેડૂતોનુ એવુ કહેવું છે કે પાણી પુરવઠાવાળા ભેદભાવ રાખે છે. નજીકમાં જમણપુરમાં
તળાવ ભરવા માટે પાણી ત્યાં આપે છે જ્યારે અહીં બોરતવાડાને તરસ્યા રાખે છે. આમ બોરતવાડાના
ખેડૂતોએ પોતાની તાકાતનો પરિચય તંત્રને કરાવ્યો હતો.