Gujarat

રાધનપુર પુરવઠા ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ઓછો ફાળવાતો હોવાની બુમરાડ

By GS Team
12 Dec 20182 mins read
This article was originally published on 12 Dec 2018
રાધનપુર પુરવઠા ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ઓછો ફાળવાતો હોવાની બુમરાડ

રાધનપુર, તા.11 ડિસેમ્બર, 2018, મંગળવાર

રાધનપુર પુરવઠા ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ઓછો આપવામાં આવતો હોવાની સસ્તા અનાજની દુકાન સંચાલકોમાં રાડ ઉઠી છે. સસ્તા અનાજની દુકાન સંચાલકોને આપવામાં આવતા અનાજના જથ્થામાં ત્રણ થી પાંચ કીલો અનાજ ઓછુ મળતુ હોવાની બુમરાડો ઉઠવા પામી છે.

રાધનપુર ખાતે આવેલી સરકારી પુરવઠા ગોડાઉન મેનેજર દ્વારા તાલુકાના સસ્તા અનાજ સંચાલકોને સરકાર દ્વારા ફળાવવામાં આવેલ જથ્થામાંથી ઓછુ અનાજ આપવામાં આવતુ હોવાની બાબતે દુકાનધારકોમાં રોષ વ્યાપ્યો છે. સસ્તા અનાજની દુકાન સંચાલકના જણાવ્યાનુસાર  ફાળવવામાં આવેલા પરમીટ પ્રમાણે ઘઉ અને ચોખામાં મોટી ઘટ્ટ આવે છે.

જેમાં ઘઉનુ વજન બારદાન સાથે પ૦,૬પ૦ થવુ જોઈએ તેની જગ્યાએ ગોડાઉનમાંથી આપવામાં આવતા ઘઉના કટ્ટામાં ત્રણથી પાંચ કીલો વજન ઓછુ હોય છે. જયારે ચોખામાં  પણ પ૦,પપ૦ કીલો કટ્ટાનુ વજન હોવુ જોઈએ તેની જગ્યાએ તેમાં પણ વજન ઓછુ હોય છે. જયારે ખાંડની બોરીમાંથી ગોડાઉનમાં કાઢી લેવામાં આવતી હોવાની સંચાલકે જણાવ્યુ હતુ.

ગોડાઉન પર માલ ઉપાડવા જતા સંચાલકે જણાવ્યુ હતુ કે ગોડાઉનમાં મેનેજર પોતાની મરજી મુજબ આવે છે અને ગોડાઉનમાં  માલ આપવાની જગ્યાએ બહારથી માલ લઈને આવેલા ગાડી પહેલા મજુરો જોડે ખાલી કરાવતા હોવાને કારણે  સવારથી સાંજ સુધી માલ લેવા ગોડાઉનમાં બેસી રહેવુ પડે છે.

જયારે અનાજનો  જથ્થાનું વજન કરવાની માંગ કરવામાં આવે તો ગોડાઉન મેનેજર જથ્થો આટલો જ મળશે. વજન કરી આપવામાં નહી આવે તેવો ઉડાઉ જવાબ આપતા હોવાનુ સંચાલકે જણાવ્યુ હતુ.

સંચાલકોને પરમીટમાં ફાળવવામાં આવેલા  અનાજના જથ્થામાંથી ગોડાઉન મેનેજર દ્વારા અનાજ ઓછુ આપી આ જથ્થો બારોબાર વાહનોમાં ભરી રાધનપુર માર્કેટયાર્ડમાં આવેલ એક ચોકકસ દુકાનમાં વેચી મારવામાં આવતો હોવાનુ સંચાલકે જણાવ્યુ હતુ.  રજુઆત બાદ પણ આજદીન સુધી સંચાલકોને ઓછુ અનાજ આપવામાં આવતુ હોવા બાબતે કોઈ જ અધિકારીએ તપાસ કરી નથી.

જયારે અનાજનો જથ્થો ઓછો મળતો હોવા બાબતે સંચાલકો દ્વારા વારંવાર અધિકારીઓને મૌખિક રજુઆતો કરવા છતાં આજે પણ ફાળવણી સમયે અનાજ ઓછુ આપવામાં આવતુ હોવાની સંચાલકો જાહેરમાં રાડો પાડી રહ્યા હતા.