Gujarat

પાટણમાં લારી-ગલ્લા, નાના વેપારીઓએ મૌન રેલી કાઢી : કલેક્ટરને આવેદન

By GS Team
12 Oct 20182 mins read
This article was originally published on 12 Oct 2018
પાટણમાં લારી-ગલ્લા, નાના વેપારીઓએ મૌન રેલી કાઢી : કલેક્ટરને આવેદન

પાટણ, તા. 11 અોકટોમ્બર, 2018, ગુરૃવાર

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી લારી, ગલ્લા હટાવવાનો નગરપાલિકાની સામાન્ય સભામાં થયેલ ઠરાવ બાદ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી લારી, ગલ્લા હટાવવામાં આવ્યા હતા. ત્યારે આજે પાટણના ધારાસભ્યની આગેવાનીમાં શહેરના તમામ લારી, ગલ્લા અને નાના વેપારીઓએ મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

પાટણ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર ઉભી રહેતી લારી અને ગલ્લા અને નાના વેપારીઓને મુખ્ય માર્ગો ઉપર ના ઉભા રહેવાનો નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો.

જે અંતર્ગત નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપરના લારી ગલ્લા હટાવી દેવામાં આવ્યા છે ત્યારે નાના વેપારીઓ અને લારી, ગલ્લાનો ધંધો કરીને પેટીયું રળતા વેપારીઓની આર્થિક પરિસ્થિતિ ગંભીર બની છે તેમજ તહેવારો અને પોતાના બાળકોને શાળાની ફી ભરવામાં પણ ફાંફા પડી રહ્યા છ.

 વેપારીઓ દ્વારા નગરપાલિકામાં ચીફ ઓફિસર અને નગરપાલિકા અનેકવાર રજુઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા યોગ્ય નિર્ણય ના લેવાતા આજરોજ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં શહેરના બગવાડા દરવાજેથી લારી, ગલ્લા અને નાના વેપારીઓને સાથે રાખીને રેલી કાઢવામાં આવી હતી.

તેમજ પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જેમાં પાટણના ધારાસભ્ય દ્વારા આવતીકાલ સુધી લારી, ગલ્લા અને નાના વેપારીઓના પ્રશ્નનો નિકાલ નહીં આવે તો નગરપાલિકામાં નિઃવસ્ત્ર થઈને વિરોધ કરવામાં આવશે. આ રેલીમાં ૫૦૦થી વધુ લારી, ગલ્લાના નાના વેપારીઓ જોડાયા હતા.