રાધનપુર પંથકમાં ખાતરની અછત મહિલાઓ પણ ખાતર લેવા લાઈનમાં
- પંથકના કેન્દ્રો પર ખાતર સમયસર આવતું ના હોવાની રાવ
- વહેલી સવારે ખાતર લેવા લાઈનમાં ઉભેલા ખેડૂતને ચક્કર આવતા પટકાતા ઈજાઓ થઈ
રાધનપુર, તા. 06 જાન્યુઆરી 2019, સોમવાર
રાધનપુર તાલુકામાં રવી પાકોના પોષણ માટે પાણી આપતા પહેલા ખાતરની તાતી જરૃરીયાત ઉભી થવા પામી છે ત્યારે અહીં યુરીયા ખાતરની અછત વર્તાઈ રહી છે. ખાતર લેવા ખેડૂતોની મોટી લાઈનો વહેલી સવારથી જ ખાતર કેન્દ્રો પર લાગેલી હતી. તેમાં એક ખેડૂતને ચક્કર આવતા નીચે પટકાતા હાથે ઈજાઓ થઈ હતી.
રાધનપુર પંથકમાં આવેલ ખાતર કેન્દ્રો પર સમયસર ખાતર આવતું ના હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ખાતરની ગાડીઓ બારોબાર ઉતારવામાં આવતી હોવાની ખેડૂતો દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી છે ત્યારે રાધનપુર ભાભર રોડ પર રાવેલ કિસાન સુવિધા કેન્દ્ર પર આજે વહેલી સવારથી જ યુરીયા ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઈન લાગેલી હતી. આ લાઈનમાં ખાતર લેવા મહિલાઓ પણ સવારથી આવીને ઉભેલી હતી. ખાતર ભરીને ટ્રક આવતા ખાતરનું વિતરણ શરૃ કરવામાં આવ્યુ ંહતું. જેમાં ખાતર લેવા લાઈનમાં ઉભેલા રાધનપુર તાલુકાના સુરકા ગામના ખેડૂત સોમાભાઈ દેવાભાઈને અચાનક ચક્કર આવતા નીચે ભોંય પર પટકાયા હતા. જેમાં તેમના જમણો હાથ નીચે આવી જતા હાથમાં ઈજાઓ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે ખાતર મળતું નથી એટલે આજે પરોઢીયે ચારેક વાગ્યે આવીને લાઈનમાં ઉભો હતો અને ખાતર લેવા ધક્કામુક્કી તથા મને ચક્કર આવતા નીચે પડી જતા હાથે લોહી નીકળ્યું હોવાનું જણાવ્યું હતું. આ બાબતે ખાતર લેવા લાઈનમાં ઉભેલા ગઢવી શીવદાનભાઈએ જણાવ્યુ ંહતું કે આજે તમામ બાબતે ખેડૂતોને જ કેમ તકલીફો ભોગવવી પડી રહી છે. આજે યુરીયા ખાતર ેવા ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવું પડે છે. પાક નિષ્ફળ જાય ત્યારે પણ ફોર્મ ભરવા ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવું પડે છે. આજે ખાતરની ખુબજ તંગી છે અને ખેડૂતો પોતાનું ખેતીકામ મુકીને વહેલી સવારથી જ ખાતર માટે લાઈનમાં ઉભા રહેવા છતાં કેટલાક ખેડૂતોને ખાતર મળતું નથી. ચાર પાંચ દિવસથી ખેડૂતો ખાતર લેવા કેન્દ્ર પર ધક્કા ખાઈ રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ખાતર મળે તો ઘેર જઈને ભુખ્યા છોકરાને ખવડાવું, મહિલા
ખેતરમાં ઉભેલા પાક માટે યુરીયા ખાતરની બહુ જ જરૃર છે. પરંતુ ખાતર મળતું નથી. આજે સવારના છ વાગ્યે ખાતર લેવા લાઈનમાં ઉભેલા છીએ અને ખાતર મળે તો ઘેર જઈને રોટલા કરીને ભુખ્યા બાળકોને ખવડાવી શું તેવું નવા અમીરપુરાના લવીગાબેને જણાવ્યું હતું.