પાટણ જિલ્લામાં 15 એપ્રિલ પછી બહારથી આવેલા લોકો સામે કાર્યવાહી કરાશે
- જાહેરનામાના ભંગ બદલ જવાબદાર સામે પણ પગલા લેવાશે, કલેકટર
પાલનપુર, તા. 18 એપ્રિલ 2020, શનિવાર
લોકડાઉનના સમયમાં કોઈપણ અધિકૃત અધિકારી પરવાનગી વગર પાટણ જિલ્લામાં પ્રવેશેલા લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તા. ૧૫ એપ્રિલ બાદ જિલ્લામાં અનધિકૃત રીતે પ્રવેશનાર તથા જાહેરનામાનો ભંગ કરનાર તમામ લોકો સામે કાયદેસરની કાર્વાહી કરવા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસ સંક્રમણને નિયંત્રણમાં રાખવા સમગ્ર દેશમં અમલી લોકડાઉનના સુચારુ અમલ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સમયાંતરે જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. જેમાં કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વગર જિલ્લાની સરહદ ઓળંગવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરી સુરતના વિવિધ વિસ્તારોમાંથી સિધ્ધપુર તાલુકામાં પ્રવેશેલા સાત શખસો વિરુધ્ધ સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જિલ્લામાં પ્રવેશ બાદ કોઈ પણ જાતનું હેલ્થ ચેકઅપ ન કરાવી ચેપ ફેલાવાની શક્યતાઓ સાથે લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકવાની બેદરકારી દાખવનાર સુરતથી આવેલા સિધ્ધપુરના ૧ તથા બિલિયા ગામના ૬ લોકો સામે સીઆરપીસીની કલમ ૧૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.