ચાણસ્મામાં તિજોરી કબાટનો ઉદ્યોગ પડી ભાગતા કારીગરો બેકાર
- અગાઉ 300 જેટલા કારખાના ધમધમતા હતા
- મંદીનુ ગ્રહણ લાગતાં ક્રમશઃ 250થી વધુ તિજોરી કબાટના કારખાના બંધ થઈ ગયા
ચાણસ્મા,તા.24 નવેમ્બર 2019, રવિવાર
ચાણસ્મા તાલુકા મથકે અગાઉ વર્ષોથી ચાલતો તિજોરી કબાટનો ઉદ્યોગ ચામસ્માની આગવી ઓળક હતી. તેમજ અહીંનુ રેલવે સ્ટેશન ધમધમતું હોવાથી સવારથી જ ચાણસ્માના બજારમાં લોકોની હકેઠઠ ભીડ જામતી હતી. પરંતુ આજે તિજોરી-કબાટ અને રેલવે સ્ટેશન સહિતના મૃત અવસ્થામાં હોઈ બપોરે કરફ્યું જેવો માહોલ સર્જાયો છે.
ચાણસ્મા શહેરમાં આજથી ૧૦ વર્ષ પહેલા તિજોરી કબાટના આશરે ૩૦૦ કરતા પણ વધુ કારખાના ધમધમતા હતા અને વર્ષે-દહાડે આ વિસ્તારના ગામડામાંથી ૨૦૦૦ કરતા પણ વધારે કારીગરો રોજગારી મેળવતા હતા. અહીના તિજોરી-કબાટ, તાળા, ખુરશી-ટેબલ કે લોખંડનુ તમામ પ્રકારનુ ફર્નીચર ચાણસ્મામાં જ તૈયાર થતું હતું અને આ વિસ્તાર સહિત રાજ્યમાં અને છેક પરદેશ સુધી તેની નિકાસ થતી હતી. જે ચાણસ્માની આગવી ઓળખ હતી.
ચાણસ્મા અગાઉનું ગંજબજાર અને રેલવે સ્ટેશન બંને નજીકમાં હતા. વહેલી સવારે અમદાવાદથી ચાણસ્મા તરફ જતી આવતી રેલવેમાં લોકો માલ વેચવા તેમજ ખરીદી માટે આવતા હતા. જેના કારણે ઓખા દિવસ ચાણસ્માના બજારમાં ભારે ભીડ રહેતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીના તિજોરી-કબાટના ઉદ્યોગને મંદિનુ ગ્રહણ નડતાં આજે માંડ ૫૦ કરતા પણ ઓછા કારખાના થઈ ગયા છે. કારીગરોની રોજગારી છીનવાઈ છે.
રેલવે સ્ટેશન હાલમાં તો સ્મશાન જેવું ભાસી રહ્યું છે. ચાણસ્મા તાલુકાના મથકે સરકારી કચેરીઓ કાર્યરત ન હોય તો બપોરના સમયે ૧૨ થી ૩ના સમયગાળા દરમિયાન બજાર બંધ રહેતા કરફ્યું જેવો માહોલ સર્જાય છે. અગાઉના ચાણસ્માની સારી ઓળખ દિવસે દિવસે ભુલાતી જતી હોય તેમ જણાય છે. તેની ચિંતા આ શહેરના વેપારીઓ સહિત પંથકની જનતા કરી રહી છે.