પાટણમાં વારંવાર બહાર નીકળતા લોકો કેમેરામાં ઝડપાશે તો ગુનોઃએસપી
- સીસીટીવીના માધ્યમથી બાજનજર
- શહેરમાં કેટલાક પાસધારકો 130 થી 180 વખત બહાર નીકતા દવા-શાકભાજી સહિતના બહાના બતાવી કેમેરામાં થાય છે કેદ
પાલનપુર તા.15 એપ્રિલ 2020, બુધવાર
પાટણમાં કાર્યરત નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ દ્વારા પાટણ શહેરના જુદા જુદા વિસ્તારો પર એએનપીઆર(ઓટોમેટીક નંબર પ્લેટ રીકોગ્નીશન)કેમેરા દ્વારા ચાંપતી નજક રાખવામાં આવેલ છે. જેમાં જાહેરમાં વાહનો લઇને બિનજરૃરી અને વારંવાર આંટા-ફેરા મારતા અને સક્ષમ અધિકારીની મંજુરી મેળવ્યા વગર જાહેરમાં નીકળી લોકડાઉનનો ભંગ કરતા ઇસમો ઉપર એએનપીઆર કેમેરા દ્વારા વોચ રાખી, આવા ઇસમો અંગે નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ માંથી માહિતી મેળવી તેમની સામે કાયદાકીય જોગવાઇ મુજબ ગુન્હા રજી.કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પાટણ સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઇ ૨૧ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશને સંબોધન કરતા વધુ ૩ મેં સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. અને લોકોને કામ સીવાય ઘરમાંથી બહાર ન નીકળવાની કડક સુચના આપવામાં આવી છે. તેમ છતાં કેટલાક લોકોને જાણે લોકડાઉનને તોડવું એ બહાદુરીનું કામ હોય તેમ પોલીસ તંત્રથી છુપીને કામ વિના વાહનો લઇને બજારમાં લટાર મારવા માટે નીકળી પડે છે. તેમજ કેટલાક વિસ્તારોમાં લોકો કલમ ૧૪૪નો ભંગ કરી ટોળા વળીને ગપ્પા મારતા જોવા મળતા હોય છે. ત્યારે આવા લોકો જો લોકડાઉનનો ભંગ કરે તો પોલીસ તંત્ર દ્વારા તેમના પર તીસરી નજર એટલે કે શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના મદદથી નજર રાખવામાં આવી રહી છે.
જેને લઇ જિલ્લા પોલીસ વડા દ્વારા બહારના બાજો કરીને બહાર નીકળતા લોકો સામે લાલ આંખ કરી છે. જેમાં પાટણમાં ૨૧ દિવસના લોકડાઉનમાં પાટણ શહેરમાં કેટલાક વાહન ચાલકો દવા લેવાના બહાને, શાકભાજી કે દુધ લેવાના બહાને નીકળતા હોય છે. જેઓ પોલીસ દ્વારા લગાવેલ ત્રીજી આંખમાં કેદ થયા છે. પોલીસ દ્વારા એએનપીઆર(ઓટોમેટિક નંબર પ્લેટ રીકોગ્નીશન)સિસ્ટમ લગાવવામાં આવી છે. જેમાં કેટલાક લોકો ૧૩૦ વખત તો કેટલાક ૧૫૦ વધારે વખત તો કેટલાક ૧૮૦ વખત પસાર થયેલા છે. આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે જેમાં પસાર લોકોનો પુછપરછ કરવામાં આવી રહી છે. ક્યાં કારણોસર આટલી વખત બહાર નીકળ્યા છે. જોકે જેની પાસે પાસ હશે અને તે પુછપરછમાં સંતોષકારક જવાબ નહિ આપે તો તેવા લોકો સામે ગુનો નોંધવામાં આવશે.