MSC સેમ-4ના 200 થી વધુ ઉત્તરવહીઓ પર ડબલ વાર સ્ટીકર માર્યાઃ કૌભાંડની આશંકા
- હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી રિએસેસમેન્ટ કૌભાંડ બાદ એસેસમેન્ટમાં પણ ગેરરીતિની આશંકા
- રિએસેસમેન્ટમાં પણ એમએસસીના ત્રણ છાત્રોને પાસ કરાયા હતાઃ હવે એસેસમેન્ટમાં પણ એમએસસી સેમ-૪ની ઉત્તરવહીઓ પર સ્ટીકરો બાબતે સવાલો ઉઠયા
પાલનપુર તા.19 જુલાઈ 2019, શુક્રવાર
ઉત્તર ગુજરાતનું શૈક્ષણિક ધામ સમાન પાટણ યુનિવર્સીટીમાં હજુ રિએસેમેન્ટ કૌભાંડની તપાસની જવાબદારી વ્યક્તિઓના નામ બહાર આવે તે પહેલા વધુ એક પરીક્ષાના એસેસમેન્ટ દરમયાન ઉત્તરવહીઓ પર સ્ટીકર ઉખાડી ફરી વાર સ્ટીકર મારેલી હાલતમાં ધ્યાને આવતા કૌભાંડની આશંકા સેવાતા પરીક્ષા વિભાગે ઉત્તરવહીઓ પરત લઇ તપાસ હાથધરી છે. ત્યારે હાલ ઉત્તરવહીઓની ચકાસણીમાં વિલંભ થતાં વિદ્યાર્થીઓના પરિણામ ખોરંભે ચડયા છે.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં રિએસેસમેન્ટમાં એમએસસીના ત્રણ વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવાનું કૌભાંડ બહાર આવતા સમગ્ર શિક્ષણ ક્ષેત્રે ખળભળાટ મચી છે. ત્યારે હાલમાં કુલપતિ દ્વારા તેની તપાસ સમિતિ નીમી તપાસ શરૃ કરે તે પહેલા રાજીનામુ ધરી દેતા જવાબદાર ઇસમોના નામ બહાર આવ્યા નથી ત્યારે હવે યુનિવર્સીટી દ્વારા ૧ એપ્રિલ ૨૦૧૯ ના રોજ લેવાયેલ એમએસસી સેમિસ્ટર -૪ની પરીક્ષાના એસેસમેન્ટ દરમ્યાન ૨૦૦ જેટલી ઉત્તરવહીઓ પર ડબલ વાર સ્ટીકર માર્યા હોવાની અધ્યાપક દ્વારા પરીક્ષા વિભાગને લેખિતમાં રજુઆત કરતા પરીક્ષા વિભાગે તાત્કાલિક ઉત્તરવહીઓ સેન્ટર માંથી પરત મંગાવી ઉત્તરવહીઓના સ્ટીકર મામલે તપાસ હાથધરી હોવાનું પરીક્ષા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. ત્યારે રિએસેસમેન્ટ બાદ એસેસમેન્ટમાં પણ વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવામાં માટે સ્ટીકરો ઉખાડી ફરી ચોટાડવામાં આવ્યા હોવાની આશંકાને લઇ પરીક્ષા વિભાગ ધોચમાં મુકાયું છે. અને પરીક્ષાની પારદશિતા પર સવાલ ઉડતા યુનિવર્સીટી આ બાબતે ગંભીર થઇ પગલાં ભરે તેવી અધ્યાપકો અને વિદ્યાર્થી સંગઠનોની માંગ ઉઠવા પામી છે.
200 વિદ્યોર્થીઓના પરીક્ષામાં ખોરંભે ચડયા
એમએસસી સેમ-૪ ના ૨૦૦ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ પર સ્ટીકર ડબલ વાર માર્યા હોવાની આશંકાને લઇ તમામ ઉત્તરવહીઓનું એસેસમેન્ટ હાલમાં શરૃ કરાયું ના હોય મુલ્યાંકન બાકી રહેતા વિદ્યાર્થીઓના પરીણામ જાહેર થવા પામ્યા નથી જેને લઇ અન્ય અભ્યાસક્રમો કરતા ૨૦ દિવસ લેટ છે. ત્યાં હજુ દસ દિવસ લાગે એમ હોય વિદ્યાર્થીઓ અન્ય અભ્યાસક્રમને એડમિશન માટે મુશ્કેલીમાં મુકાયા છે.