Gujarat

પાટણમાં આરોગ્ય કર્મીઓ સાથે ગેરવર્તન કરનાર બે વ્યક્તિ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ

By GS Team
7 May 20202 mins read
This article was originally published on 7 May 2020
પાટણમાં આરોગ્ય કર્મીઓ સાથે ગેરવર્તન કરનાર બે વ્યક્તિ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ

પાલનપુર, તા.06 મે 2020, બુધવાર

કોરોના વાઈરસ મહામારી સામે ફરજ પર રહેલા આરોગ્ય કર્મીઓ સાથે ગેરવર્તન કરવા બદલ બે વ્યક્તિઓ વિરુધ્ધ પાટણના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હોમ ક્વોરોન્ટાઈનનો ભંગ કરનાર વ્યક્તિને સમજાવવા ગયેલી આરોગ્ય વિભાગની ટીમને અપશબ્દો બોલી હુમલો કરવાના પ્રયાસ બદલ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પાટણ શહેરના જોગીવાડા વિસ્તારમાં આવેલા પરબીયા વાસમાં વિસનગરથી આવેલા ગીતાબેન પ્રજાપતિ નામની મહિલા હોમ ક્વોરોન્ટાઈનનું પાલન ન કરતા હોવાની ફરિયાદ તાલુકા હેલ્થ કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૃમમાં મળી હતી. ફરજ પરના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર હિતેશભાઈ પરમાર તથા અન્ય આરોગ્ય કર્મીઓની ટીમ દ્વારા સ્થળ પર જઈ ગીતાબેનને હોમ ક્વોરોન્ટાઈનના નિયમો પાળવા સમજાવવામાં આવી રહ્યા હતા. તે સમયે આ મહિલાના નણંદ જયશ્રીબેન પ્રજાપતિ તથા જેઠ જયંતિભાઈ પ્રજાપતિ દ્વારા આરોગ્યની ટીમના સભ્યો પર ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગ્યા હતા.

તા. ૪ એપ્રિલના રોજ રાત્રે ૧૧ વાગ્યે તાલુકા હેલ્થ કચેરીના કંટ્રોલ રૃમમાં બહારથી આવેલ વ્યક્તિ અંગે આસપાસના કોઈ વ્યક્તિએ જાણ કરી હતી. કોણ તેમને ફોન કરીને જાણ કરી તેમ કહી આરોગ્ય કર્મીઓ પર ઉશ્કેરાઈ જઈ ગેરવર્તન કરનાર બે શખસો વિરુધ્ધ ક્વોરોન્ટાઈનના નીતિ નિયમોના સરકારી આદેશના અનાદર તથા કર્મચારીની ફરજમાં અવરોધ ઉભા કરવા બદ આઈપીસી એપીડેમિક ડીસિઝ એક્ટ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.