ગંધારાની શુગર ફેકટરીના ઝાંપે બાકી નાણાં મેળવવા ખેડૂતોના ધરણાં
-પાંચ દિવસના કાર્યક્રમના ત્રીજા દિવસે સામસામી આક્ષેપબાજી
કરજણ તા.5 ડિસેમ્બર 2019 ગુરૂવાર
ગંધારાની શુગર ફેકટરીમાં ખેડૂતોએ આપેલી શેરડીના બાકી નાણાની વસુલાત માટે ખેડૂતો જંગે ચડયા છે. ફેકટરીના ઝાંપે પાંચ દિવસના ધરણા રાખ્યાના ત્રીજા દિવસે બંને પક્ષે આક્ષેપબાજી થઇ રહી હતી.
હાલ ધરણા પર 11 ખેડૂત બેઠા છે અને તેમના સમર્થનમાં 25 થી 30 ખેડૂતો હાજરી પુરાવી જતા રહે છે. આંદોલનકારીઓ પૂર્વ ચેરમેનના અણઘટ વહીવટ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે તો સામે પક્ષે કેટલાક તત્વો ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી જણાવી રહ્યા છે. ખેડુતોનીરૂ.23 કરોડ ચૂકવાય તે માટે સરકારમાં થતા પ્રયાસોનું પરિણામ હવે હાથવેંતમાં છે. ઉત્પન્નની વધારાની રકમ બેન્કમાં જમા છે, પણ બેન્કમાંથી પગાર કરવા પણ નાણા છુટા કરાયા નથી.
સરકારમાંથી નાણા લાવવાની વાતનો છેદ ઉડાવતા આંદોલનકારી જણાવી રહ્યા છે કે, તો નર્મદા શુગરને વહીવટ સોંપવાની વાત ક્યાંથી આવી ? બે લાખ ટન પીલાણ સામે ખાંડ ઉત્પાદન, બગાસ, મોલાસીસ વિગેરેની રકમ ક્યા ગઇ?
તેમણે વધુમાં ઉત્પાદકો અને બિનઉત્પાદકોના ભાગલા પાડી રાજકારણ ખેલવાનું બંધ કરવા માગણી કરી છે. જ્યારે પૂર્વ ચેરમેનનું કહેવું છે કે દિવસે દિવસે વાવેતર ઘટતુ જતુ હતુ. ચાલુ વર્ષે વાવેતર નહી હોવાને કારણે શુગર ચાલી શકે તેમ ન હતી . વળી નર્મદા શુગર પાસે પુરવઠો શેરડીનો હોઇ તેઓ આ ફેકટરીમાં પિલાણ કરી શકે તેવી ક્ષમતા હોઇ શુગરને બચાવવા અને ચાલુ રાખવા ટેકઓવર કરવાની ફરજ પડી છે.
કરજણ મામલતદારે આંદોલનકારીઓની મુલાકાત લીધી હતી અને શાંતી જાળવવા તેમજ કાયદે વ્યવસ્થા જળવાઇ રહે તેનુ ધ્યાન રાખવા અપીલ કરી હતી.