જ્યારે ન્યુજર્સીના એડીસનમાં કર્ણપ્રિય વૈષ્ણવ જન તો.. ગાજી ઊઠયું..
- ગુજરાતી શાયર ઝવેરચંદ મેઘાણીના રાષ્ટ્રીય ગીતોનો રસપ્રદ કાર્યક્રમ
- ગુજરાતી લિટરરી એકેડેમીના ઉપક્રમે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ પ્રસંગે કાર્યક્રમ
ન્યુજર્સી, તા. 10 જૂન 2019, સોમવાર
ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે ઊV Asia ના સૌજન્યથી રવિવાર તા. ૨ જૂન ૨૦૧૯ના રોs TV Asia, ઓડિટોરિયમ, એડીસન, ન્યુજર્સી ખાતે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મ જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીને ગમતા રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીના વિપુલ વિવિધ પ્રકારના ગીતો, લોકગીતો, બાળગીતો, ભજનવાણી આદિને ગૌરવપ્રદ રીતે પ્રસ્તુત કરાયા હતા. ગુજરાતના ખ્યાતનામ ગાયક શ્રી નીતિન દેવકાને તબલા પર લોકપ્રિય તબલાનવાઝ શ્રી રમેશ બાપોદરાએ સંગત કરી હતી.
સ્વ. ઝવેરચંદના પુત્ર અશોક મેઘાણી અને પૌત્રી મંજરી મેઘાણી - બાપોદરાએ આ સમગ્ર કાર્યક્રમને રસપ્રદ માહિતી સાથે તેના સુપેરે સંચાલનથી ચાર ચાંદ લગાવી દીધા હતા. જ્યારે ૩ કલાકથી પણ વધુ સમયના આ લાજવાબ કાર્યક્રમના પ્રારંભે ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખશ્રી રામ ગઢવીએ સહુને મીઠો આવકાર આપ્યો હતો અને ગાંધી બાપુની પૂણ્ય સ્મૃતિમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીનો સમન્વય એ ગુજરાતની ૨૦મી સદીની સાહિત્ય પરાકાષ્ઠા ગણાવી હતી. TV Asia ના પદ્મશ્રી H.R. Shah ના ઉદાત્ત સહકારને બીરદાવ્યો હતો. TV Asia ના CEO અને ચેરમેન શ્રી એચ.આર. શાહે સ્વ. મેઘાણીના ૫૦ વર્ષના જીવનકાળમાં લોક સાહિત્ય, ગીતો, ભજનો અને માનવતાવાદી સર્જનની વિગતમાં માહિતી આપી હતી.
જાણીતા ENT સર્જન, ડો. નવીન સી. મહેતાએ તેમની લાક્ષણિક છટામાં સ્વ. મેઘાણીએ જે વિપુલ સર્જન કર્યું છે.
કાર્યક્રમનો પ્રારંભ ગાંધીજીના પ્રિય નરસિંહ મહેતાના વિશ્વ વિખ્યાત ભજન ''વૈષ્ણવ જન તો તેને કહીએ''થી શ્રી નીતિન દેવકાએ તેમના મધુર અષાઢી કંઠમાં ગાઇને કર્યો હતો. ગાંધી બાપુ લોકોના અત્યંત આગ્રહ અને દબાણને તાબે થઇ ગોળમેજી પરિષદ લંડનમાં ભાગ લેવા બોટમાં બેસતા હતા ત્યારે રાષ્ટ્રીય ખુમારી ધરાવતા શાયર ઝવેરચંદ મેઘાણીની ''છેલ્લો કટોરો પ્રેમનો પી લેજો બાપુ'' કાવ્ય જોઇ પ્રસન્નતા સાથે કવિહૃદયની ભાવનાઓ સાથે સહમતિ દર્શાવી હતી. શ્રી દેવકાએ તેની સુંદર પ્રસ્તુતિ કરી હતી.
ત્યારબાદ ''સો સો રે સલામો મારા ભાડુંદાને કહેજો રે'' ગાઇ સ્વ. મેઘાણીની અપ્રતિમ સર્જનાત્મક ભાવનાને અભિવ્યક્ત કરી હતી. પોતાના રાષ્ટ્રીય પ્રેમને ''ઝંડા અજર અમર રહે જે, વધ વધ આકાશે જાજે'' ગીતમાં સ્વ. મેઘાણીએ રાષ્ટ્રને સંદેશો આપ્યો.
ગુજરાતી સાહિત્યનું શહીદીને શ્રધ્ધાંજલિ અર્પતું મહાકાવ્ય સમું ગીત 'રક્ત ટપકતી સો સો ઝોળી, સમરાંગણથી આવે' જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોકપ્રિય અંગ્રેજી કાવ્ય '‘Some body's Darling પર આધારિત છે તે જ્યારે શ્રી દેવકાએ ગાયું ત્યારે સમગ્ર હોલ તેમાં જોડાયો હતો.
સ્વ. મેઘાણીએ તેમના બાળગીતો ''કિલ્લોલ'' (૧૯૨૯) પુસ્તકરૂપે ગ્રંથસ્થ કર્યા જેમાં ''શિવાજીનું હાલરડું'' - ''આભમાં ઉગેલ ચાંદલો અને જીજીબાઇને આવ્યા બાળ'' એ આજે પણ સાહિત્યની ઉત્તમ કૃતિમાં સ્થાન પામે છે.
૧૯૨૮માં ''ભેટે ઝુલે છે તલવાર, વિરાજ કેરી ભેટે ઝુલે છે'' એ બાળગીત ત્યારે પ્રજામાં ગુંજતું હતું.
સ્વ. મેઘાણીએ તેમના જીવનકાળમાં આશરે ૩૦૦ જેટલા ભજનોનો પણ સંગ્રહ કરેલો અને ભજનવીણામાં તે સંચિત કરેલો. નીતિન દેવકાએ આ જૂના ભજનો ''વાગે ભડાકા ભારી ભજનના''થી ગાન દ્વારા સહુને ભક્તિસાગરમાં તરબોળ કરી દીધા હતા.
કાર્યક્રમને અંતે ગીની માલવિયાએ આભારદર્શન કર્યું હતું. સહુએ આ કલાકારોને સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું.