Get The App

કોપ-13 : સ્થળાંતર કરતાં સજીવો પ્રકૃત્તિનું જતન કરે છે

- ગાંધીનગરમાં રાષ્ટ્રસંઘની માઈગ્રેટરી સ્પિશિઝ ઓફ વાઈલ્ડ એનિમલની બેઠક યોજાઈ ગઈ

- સજીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરીત થાય છે, તેના કારણે જ ધરતી નંદનવન જેવી લાગે છે, બાકી બંધિયાર સ્થિતમાં તો પાણી પણ ગુણવત્તા ગુમાવી દે!

Updated: Feb 23rd, 2020

GS TEAM

Google News
Google News
કોપ-13 : સ્થળાંતર કરતાં સજીવો પ્રકૃત્તિનું જતન કરે છે 1 - image


ઘર છોડીને બહાર જવું કોઈને ગમતું નથી. પરંતુ કામ-ધંધા માટે, નોકરી કરવા બહાર જવું પડે. માત્ર શહેર કે રાજ્ય બહાર નહીં, દેશ બહાર પણ જવું પડે. મનુષ્યોમાં જેમ આ રીતે માઈગ્રેટ (સ્થળાંતરીત) થવુું એ મજબૂરી છે એમ પશુ-પક્ષી-સજીવોમાં પણ માઈગ્રેટ થવું એ મજબૂરી છે. રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણની વિવિધ સભા-બેઠક યોજાતી રહે છે. આ વખતે 'કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઈગ્રેટરી સ્પિશિઝ ઓફ વાઈલ્ડ એનિમલ (સીએમએસ)' નામની 'કોન્ફરન્સ ઑફ પાર્ટી (સીઓપી-કોપ)' ગાંધીનગર ખાતે ૧૭થી ૨૨મી ફેબુ્રઆરી દરમિયાન યોજાઈ ગઈ. આ બેઠકની થીમ માઈગ્રેટરી સ્પિશિઝ હતી. એટલે બેઠકમાં શું ચર્ચા-નિર્ણયો થયા એ વાત કરતાં પહેલા સ્થળાંતરીત થતાં સજીવોનું મહત્ત્વ સમજી લઈએ.

પૃથ્વીના વિવિધ ભાગોમાં રહેતા સજીવો ટકી રહેવા માટે એક છેડાથી બીજા છેડા સુધીની હજારો કિલોમીટર લાંબી સફર કરે છે. કેટલાય સજીવો તો એવા છે, જેમની જિંદગીનો અડધાથી વધારે ભાગ પ્રવાસમાં જ પસાર થાય છે. જેમ કે આર્કટિક ટર્ન એટલે કે ગુજરાતીમાં વાબગલી (વા-બગલી) નામે ઓળખાતુ પક્ષી દર વર્ષે ૭૦,૦૦૦ કિલોમીટરનું અંતર કાપે છે! સવા ફીટની લંબાઈ અને પાંખો પહોળી કરે ત્યારે અઢી ફીટની પહોળાઈ ધરાવતુ આ પક્ષી દેખાવે નાનું છે, પરંતુ સૌથી મોટા માઈગ્રન્ટ તરીકેનો વિક્રમ તેના નામે છે. 

આર્કટિક ટર્ન જેવા જ લગભગ ચાર હજાર પક્ષી દર વર્ષે શિયાળો શરૂ થતાંની સાથે જ દક્ષિણ તરફ દોટ મુકે છે. જ્યારથી જીવ-જગત છે ત્યારથી આ સ્થળાંતર થતું આવે છે, માટે સ્થળાંતર નવું નથી, પરંતુ તેનો અભ્યાસ મનુષ્ય માટે નવો છે. બાકી તો ૩ હજાર વર્ષ પહેલાં પુરાતન ગ્રીસના વિદ્વાનો હોમર અને એરિસ્ટોટલે પણ પોતાના લખાણોમાં પક્ષીઓના સ્થળાંતરની વાતો નોંધી છે. વર્તમાન સમયની વાત કરીએ તો પક્ષીઓના સ્થળાંતરની આધુનિક યુગની નોંધ ૧૭૪૯થી શરૂ થઈ છે.

માઈગ્રેટરી બર્ડ અને અન્ય સ્પિશિઝના અભ્યાસ દરમિયાન વિજ્ઞાાનીઓને સરપ્રાઈઝ કરી દેતી માહિતી મળી છે. જેમ કે આલ્પાઈન સ્વિફ્ટ નામના નાનકડા પક્ષીના નામે સતત ૨૦૦ દિવસ ઉડતા રહેવાનો વિક્રમ છે! સ્વિત્ઝરલેન્ડના બર્ન ખાતે આવેલી ઓર્નિથોલોજી ઈન્સ્ટિટયુ (પક્ષીશાસ્ત્રનો અભ્યાસ કરતી સંસ્થા)ના વિજ્ઞાાનીઓ થોડા વર્ષો પહેલાં ૬ સ્વિફ્ટના શરીરમાં ચીપ લગાડીને તેના ઉડ્ડયનનો અભ્યાસ કર્યો હતો. એ ચીપને ખોલીને જોયું તો ખબર પડી કે સહારાનું રણ પસાર કરતી વખતે સતત ૨૦૦ દિવસ સ્વિફ્ટે હવામાં ગુજાર્યા હતાં. હવામાં ઉડતા જીવડાં એ જ આ પક્ષીનો ખોરાક હોવાથી જ્યારે પેટ ખાલી થયું ત્યારે તેણે મોઢુ ખોલીને હવામાં ઉડતાં જીવ-જંતુનું જ ભોજન કર્યું હતું. 

બાર ટેઈલ્ડ ગોડવિટ્ટ નામે ઓળખાતા ભુખરા કલરના પક્ષીના નામે ફાસ્ટેસ્ટ ઉડાનનો વિક્રમ છે. એ પક્ષીએ સાતેક હજાર કિલોમીટરનું અંતર કલાકના સરેરાશ ૧૧૦ કિલોમીટરની અસાધારણ ઝડપે કાપ્યુ હતું. ઉપરાંત તેના નામે દિવસો સુુધી ખોરાક વગર ઉડતાં રહેવાનો પણ વિક્રમ છે.

માઈગ્રેટરી સ્પિશિઝમાં માત્ર પક્ષીનો જ સમાવેશ થતો નથી. પરંતુ માઈગ્રેશન કરતાં સજીવોમાં સૌથી વધુ જાણીતા આવા પક્ષીઓ છે. બાકી તો ભરવાડ સવારે ઘેટાં-બકરાં લઈને જંગલમાં દૂર જાય એ પણ એક પ્રકારનું માઈગ્રેશન છે. જોકે ધરતી પર ગ્રેટ માઈગ્રેશન કહી શકાય એવી સંઘયાત્રા આફ્રિકાની ભૂમિ પર નોંધાઈ છે. એ માઈગ્રેશન વિલ્ડબિસ્ટ નામે ઓળખાતી આફ્રિકાની એક પ્રકારની જંગલી ભેંસનું છે. એ માઈગ્રેશન આમ તો આફ્રિકાના દેશ ટાન્ઝાનિયા અને કેન્યા વચ્ચે આખુ વર્ષ ચાલતું રહે છે. 

આ માઈગ્રેશન જોવા દુનિયાભરના પ્રવાસીઓ ત્યાં આવે અને સંશોધકો અભ્યાસ કરવા આવે છે. કેમ કે માઈગ્રેશન વખતે ટોળામાં ઝેબ્રા-વિલ્ડબિસ્ટની સંખ્યા ૧૫ લાખથી વધુ હોય છે અને કુલ મળીને ૮૦૦ કિલોમીટરની એ સફર કરે છે. બાર મહિના ચાલતા માઈગ્રેશનની શરૂઆત ટાન્ઝાનિયાના સેરેંગટી નેશનલ પાર્કથી જાન્યુારીમાં થાય છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી આ વિલ્ડબિસ્ટ-ઝેબ્રાનું ટોળું ફરતું ફરતું અર્ધગોળાકાર ચક્કર કાપીને ઉત્તર સરહદે પહોંચે છે. ત્યાં મારા નદી આવેલી છે. એ નદી કેન્યા અને ટાન્ઝાનિયાને અલગ પાડે છે. જાન્યુઆરીમાં સફર શરૂ કર્યા પછી ત્રણેક મહિના બાદ રસ્તામાં જ માદા વિલ્ડબિસ્ટે કેટલાંક બચ્ચાંને જન્મ આપ્યો હોય છે. 

ટાન્ઝાનિયાના વન વિભાગે આપેલા આંકડા મુજબ માર્ચ સુધીમાં ૫ લાખ બચ્ચાં જન્મી ચૂક્યા હોય છે. ઘણા દિવસ એવા પસાર થાય જ્યારે સેરેંગટીમાં રોજના ૮ હજાર વિલ્ડબિસ્ટના બાળ જન્મતાં હોય છે! એ પણ ચાલુ સફર દરમિયાન.

દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભારતમાં ખોરાકની શોધમાં સફર કરતાં હાથી, અમેરિકાથી ઉડીને દક્ષિણ અમેરિકાના ખંડના મેક્સિકોમાં જતાં મોનાર્ક પતંગિયાં, નોર્થ અમેરિકાના કદાવર શિંગડા ધરાવતા હરણ અથવા કેરિબુ, સામા પાણીએ તરતી સામન માછલી, ક્રિસમસ ટાપુ પર થતાં લાલ કરચલાં, બચ્ચાંને જન્મ આપવાં સમુદ્ર ખૂંદી વળતી ભૂરી વહેલ, હમ્પબેક વહેલ.. અને એવા તો બીજા અનેક સજીવો જે ખરા અર્થમાં તો ધરતીના એમ્બેસેડર છે. એક સ્થળેથી બીજા સ્થળે એ આમ તો પોતાના માટે સફર કરે છે, પરંતુ છેવટે તેનો લાભ પ્રકૃત્તિને અને પ્રકૃત્તિનો લાભ પ્રકૃત્તિમાં રહેનારા મનુષ્ય સહિતના સૌ કોઈ સજીવોને થાય છે.

સ્થળાંતર કરતાં સજીવો પોતાની સાથે વૃક્ષોનું બિયારણ લઈ જાય છે, છોડ-વેલાને પરાગ નયનમાં મદદ કરે અને તેના કારણે જંગલો જંગલ જેવા તથાં છોડ-વેલા તેના કુદરતી સ્વરૂપમાં જળવાઈ રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી માઈગ્રેટરી સજીવોને મુશ્કેલી પડી રહી છે. કારણ એ જ છે, જે આખા જગતને નડે છે, ગ્લોબલ વૉર્મિંગ. જેમ કે સાઈબિરિયન ક્રેન નામે ઓળખાતું પક્ષી સદીઓથી શિયાળે ભારત યાત્રાએ રશિયાના સાઈબિરિયા પ્રાંતથી આવતું હતું.

રાજસ્થાનમાં આવેલું ભરતપુર અભ્યારણય એ પક્ષીનો કાયમી ઉતારો હતું. હવે છેલ્લા કેટલાક વર્ષોથી નથી આવતું. કેમ કે પાકિસ્તાન-અફઘાનિસ્તાનના આકાશમાંથી એ નીકળે ત્યારે તેનો બેફામ શિકાર થતો હતો. એટલે સંખ્યા તળિયે ગઈ. સામે પક્ષે આ સજીવોની જાળવણી પણ જરૂરી છે. માટે જ ગાંધીનગરમાં તેની લાંબી મેરેથોન બેઠકો ચાલી, જગતભરમાંથી વન્યજીવ નિષ્ણાતો આવ્યા, પોતાના મંતવ્યો રજૂ કર્યા.

પ્રતિકૂળ સંજોગો સર્જાતા જાય એટલે સજીવો પોતાની જાતને સંકોરી રહ્યાં છે. પહેલા આફ્રિકાના અનેક દેશોમાં જોવા મળતાં હાથીનો વિસ્તાર અને વસતી બન્ને ઘટયાં છે. સિંહો પણ એશિયાના ઘણા દેશોમાં જોવા મળતાં હતા, જે માત્ર સોરઠ પુરતાં મર્યાદિત થયા છે. એવા સજીવોના સંરક્ષણ વિશે ચર્ચા થઈ અને તેમાં ભારતના ૩ સજીવોને વિશેષ મહત્ત્વ અપાયું જેમાં એશિયાઈ હાથી, ગ્રેટ ઈન્ડિયન બસ્ટડ અને બેંગાલ ફ્લોરિકન નામના પક્ષીનો સમાવેશ થાય છે. કેમ કે તેમના અસ્તિત્વ પર સતત ખતરો છે.

માઈગ્રેટ થતા સજીવો પર હવા પ્રદૂષણ, ખોરાકની અછત, તેમનો આડેધડ થતો શિકાર, લાઈટ એટલે કે પ્રકાશનું પ્રદૂષણ, પ્લાસ્ટિક પ્રદૂષણ વગેરે અનેક ખતરા ઉભા જ છે. એ પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો પછી આવા સજીવોની વસતી સતત ઘટતી જશે અને એક સમયે મનુષ્ય પોતે પણ પાંગળો બની જશે.

Tags :