Get The App

કોરોના વાઇરસના પ્રકોપથી બેરોજગારીની સમસ્યા વકરશે

- આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને કોરોના વાઇરસના કારણે અઢી કરોડ લોકો બેરોજગાર થવાનો અંદેશો વ્યક્ત કર્યો

Updated: Mar 20th, 2020

GS TEAM

Google News
Google News

- કોરોના વાઇરસના કારણે અર્થવ્યવસ્થાની મંદી તેમજ શેરબજારના ધરાશાયી થવાનો ભય તો ઊભો જ છે પરંતુ જો કોરોના વાઇરસના કારણે લોકડાઉનની સ્થિતિ આવી તોરોજિંદું પેટિયું રળતા લોકો માટે તો જીવનમરણનો પ્રશ્ન ઊભો થઇ જશે

કોરોના વાઇરસના પ્રકોપથી બેરોજગારીની સમસ્યા વકરશે 1 - image

દુનિયાભરમાં કોરોના વાઇરસનું સંકટ ઘેરું બની રહ્યું છે. કોરોના વાઇરસના વધી રહેલા પ્રકોપના કારણે માણસો જ નહીં, દુનિયાના દેશોની અર્થવ્યવસ્થા પણ બીમાર બની રહી છે. હવે સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે કોરોનાની મહામારીના કારણે દુનિયાભરમાં બેરોજગારી ભારે તેજીથી વધશે અને લગભગ અઢી કરોડ લોકો બેરોજગાર બની શકે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને પોતાની રિસર્ચમાં કહ્યું છે કે કોરોના વાઇરસના કારણે ઊભી થયેલા આર્થિક અને શ્રમ સંકટના કારણે આશરે અઢી કરોડ લોકો બેરોજગાર થઇ શકે છે. 

જાણકારોના મતે કોરોના વાઇરસના કારણે દુનિયા ફરી વખત મહામંદીમાં સપડાઇ શકે છે. વિશ્વબેંક પણ કોરોનાના કારણે ગ્લોબલ ગ્રોથ રેટમાં એક ટકાની કપાતનું આશંકા વ્યક્ત કરી ચૂકી છે. કોરોનાના કારણે ચીન અને અમેરિકાના કારોબારમાં સુસ્તી છવાયેલી છે જેની અસર આખી દુનિયા પર પડી શકે છે.

કોરોના વાઇરસના કારણે દુનિયાભરમાં ટુરિઝમને અત્યંત માઠી અસર થઇ છે. ચીનનો પર્યટન ઉદ્યોગ તો સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગયો છે. ચીનમાં વિદેશી વિમાની સેવાઓ બંધ છે અને ક્રૂઝ યાત્રા પણ બંધ થઇ ગઇ છે. ઇટાલીમાં કોરોના વાઇરસ ફેલાવાના કારણે લોકો હવે યુરોપ જવાનું પણ ટાળી રહ્યાં છે જેના કારણે યુરોપના પર્યટન ઉદ્યોગને પણ માર પડયો છે. ઇટાલી બાદ સ્પેન અને ફ્રાન્સમાં પણ પરિસ્થિતિ વકરતા યુરોપે છેવટે લોકડાઉન કર્યું છે. ભારત સરકારે પણ લોકોને વિદેશયાત્રા ટાળવાની તાકીદ કરી છે. 

કોરોના વાઇરસના કારણે અનેક દેશોએ પર્યટકો સહિત બીજા દેશોના નાગરિકોને જારી કરેલા વિઝા રદ્ કરી દીધાં છે. તો દેશની અંદર એટલે કે ડોમેસ્ટિક ફ્લાઇટમાં પણ લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે. પરિણામ એ આવ્યું છે કે દુનિયાભરની એરલાઇન્સે પોતાની ફ્લાઇટમાં કાપ મૂકવાનો વારો આવ્યો છે. જે વિમાનો ઊડી રહ્યાં છે એ મોટે ભાગે ખાલી જાય છે. અનેક એરલાઇન્સે સ્ટાફની છટણી શરૂ કરી દીધી છે. એરલાઇન્સના આંતરરાષ્ટ્રીય સંગઠન સીએપીએ આશંકા વ્યક્ત કરી છે કે જો આવી જ પરિસ્થિતિ રહી તો બે મહિનામાં જ દુનિયાની મોટા ભાગની એરલાઇન્સ દેવાળું ફૂંકી શકે છે.

જાણકારોના મતે આ આફતને ટાળવા માટે સરકાર અને વિમાનન ઉદ્યોગે સમન્વય અને સહયોગ સાધવાની જરૂર છે. લોકોની અવરજવર ઉપરાંત આયાત-નિકાસ ઉપર પણ મુસીબતના વાદળ છવાયા છે. મોબાઇલ ફોનના સૌથી મોટા મેળા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસને પણ કોરોનાના ભયે રદ્ કરી દેવામાં આવ્યો છે. એ જ હાલ ગેમ ડેવલોપર કોન્ફરન્સના થયા. ગૂગલે ક્લાઉડ નેક્સ્ટ ઇવેન્ટ અને ડેવલપર્સ કોન્ફરન્સ ૨૦૨૦ જેવા પોતાના બે મોટા આયોજનો રદ્ કરીને વીડિયો કોન્ફરન્સ સુધી સીમિત કરી દીધાં છે. અનેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. તો બીજી ઘણી કંપનીઓએ કર્મચારીઓની ટૂર પર લગામ કસી દીધી છે. કોરોના વાઇરસના કારણે હોટલ ઉદ્યોગ પણ જોખમમાં આવી ગયો છે. અનેક હોટલોએ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. 

લોકોને ઘરની બહાર નીકળવાનું સીમિત કરવાની તેમ જ ભીડભાડવાળી જગ્યાઓએ ન જવાની સલાહ આપવામાં આવી હોવાના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને અસર થવી નક્કી છે. હોટલો અને રેસ્ટોરન્ટોમાં પાર્ટીઓ અને બીજા આયોજનો ધડાધડ કેન્સલ થઇ રહ્યાં છે. અનેક પર્યટક સ્થળો પણ બંધ કરવામાં આવી રહ્યાં છે જેના કારણે પણ હોટલ ઉદ્યોગને ફટકો પડયો છે. ઉદાહરણ તરીકે તાજમહેલની મુલાકાત બંધ કરી દેવામાં આવતા આગ્રાના હોટલ ઉદ્યોગ તેમજ અન્ય ઉદ્યોગના લોકો પરેશાન થઇ ગયાં છે. તાજમહેલ જોવા માટે રોજના આશરે દસ હજાર લોકો આવતા હોય એ બંધ થઇ જાય તો અનેક ધંધાને અસર થવી સ્વાભાવિક છે. 

દવાઓ અને માસ્ક તેમજ સેનિટાઇઝર બનાવતી કંપનીઓને ચાંદી થઇ ગઇ છે જ્યારે બાકીના બધા ધંધા મંદા થઇ ગયા છે. જે ડર હવાઇ મુસાફરી કરવામાં છે એ જ ડર ઘરની બહાર નીકળવામાં પણ છે. હોટલ, રેસ્ટોરન્ટથી લઇને સિનેમા હોલ, મૉલ અને બજારોમાં માહોલ ઠંડો છે. અનેક ઠેકાણે તો સ્કૂલોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. સૌથી ખરાબ હાલત મોટી ફેકટરીઓ ચલાવતી કંપનીઓની છે. આવી ફેકટરીઓમાં કામ ચાલતું રહે અને કામ કરતા લોકોને કોરોના વાઇરસનો ચેપ ન લાગે એ સૌથી મોટો પડકાર છે. 

ફેકટરીઓ અને ઉદ્યોગો માટે બીજી સમસ્યા એ ઊભી થઇ છે કે ચીનથી આવતો માલસામાન જ બંધ થઇ ગયો છે. આ હાલત માત્ર ભારતની જ નહીં, આખી દુનિયાની છે. લોકો અવરજવર કરતા નથી એટલે ખરીદી પણ કરતા નથી. મતલબ કે માત્ર ઉત્પાદન જ નહીં, માંગને પણ તગડો ઝાટકો વાગ્યો છે. હજુ એ સ્પષ્ટ નથી કે કોરોનાનો કહેર ઘટશે કે વધશે. વિશ્વ બેંકનું અનુમાન છે કે જો કોરોના વાઇરસ પર સમયસર કાબુ મેળવી લેવાયો તો પણ દુનિયાની જીડીપીમાં અડધા ટકાનો ઘટાડો થશે. પરંતુ તો કોરોનાનો પ્રકોપ ન અટક્યો તો વૈશ્વિક જીડીપીમાં પાંચ ટકા જેટલો જંગી ઘટાડો પણ થઇ શકે છે. 

ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાઇરસ નિયંત્રણમાં ન આવ્યો તો વર્ષ ૨૦૨૦માં જ વૈશ્વિક અર્થવ્યવસ્થાને ૭૮ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે. એ વાતની પ્રબળ આશંકા છે કે જો જૂન બાદ બાદ પણ કોરોનાનો પ્રકોપ ચાલુ રહ્યો તો વૈશ્વિક વૃદ્ધિદરમાં એક ટકાનો ઘટાડો થઇ શકે છે. ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝના અનુમાન પ્રમાણે પણ કોરોનાના કારણે આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી વધશે. વૈશ્વિક વિકાસદર ઘટીને ૨.૪ ટકા, ચીનનો વિકાસદર ઘટીને ૫.૨ ટકા અને ભારતનો વિકાસદર ઘટીને ૫.૫ ટકા રહેવાનું અનુમાન છે.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના મતે કોરોના વાઇરસ માત્ર સ્વાસ્થ્યને લગતુ સંકટ જ નહીં, પરંતુ શ્રમબજાર અને આર્થિક સંકટ પણ બની ગયું છે. સંસ્થાના મતે કોરોના વાઇરસના પ્રકોપના કારણે ઊભી થનારી બેરોજગારીની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ દેશોએ તૈયાર રહેવું પડશે. સરકારો જે ઝડપે અને સ્તરે આ સંકટને નાથવા માટે પ્રયાસો કરશે એવા પરિણામ મળશે. જોકે સંસ્થાના મતે ગમે તેવી સારી પરિસ્થિતિમાં પણ ૫૩ લાખથી વધારે લોકો બેરોજગાર થવા નક્કી છે. બેરોજગારીના વૈશ્વિક સંકટને નાથવા માટે વૈશ્વિક સ્તરે એક સમન્વિત અને નીતિગત કાર્યવાહી કરવાની જરૂર રહેશે.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને બીજી ચેતવણી એ પણ ઉચ્ચારી છે કે કોરોનાના પ્રકોપના કારણે કામના કલાકો અને મહેનતાણામાં પણ કાપ મૂકાશે. આવા સંજોગોમાં ભારત જેવા વિકાસશીલ દેશોમાં સ્વરોજગાર ભારે કામ લાગતો હોય છે પરંતુ લોકો અને માલસામાનના પરિવહન પર લાગેલા પ્રતિબંધોના કારણે સ્વરોજગાર પણ કારગર સાબિત નહીં થાય. લાખો લોકો રોજગાર ગુમાવશે તો એની સીધી અસર બજાર પર પડશે. કારણ કે લોકોની આવક જ નહીં હોય તો વસ્તુઓ અને સેવાઓની ખરીદીમાં પણ મંદી આવશે. જેના કારણે અર્થવ્યવસ્થાની મંદી ઓર વકરશે. 

અર્થવ્યવસ્થાની મંદી ઉપરાંત લોકોને પોતાના ઉદ્યોગધંધા ઠપ્પ થઇ જવાનો ડર સતાવી રહ્યો છે. તો શેરબજારમાં પૈસા રોકેલા લોકોને બજાર ધ્વસ્ત થવાનો ડર સતાવી રહ્યો છે. આ તમામ ડર અને આશંકાઓ વચ્ચે એવા લોકો પણ છે જેઓ દિનભર કામ કરીને મહેનતાણુ મેળવે છે અને પરિવારનું ભરણપોષણ કરે છે. આપદાના સમયે સૌથી મોટી કઠણાઈ આવા દહાડિયા મજૂરો માટે જ ઊભી થાય છે.

દેશમાં કરોડો લોકો આવા રોજિંદું મહેનતાણું મેળવતા શ્રમિકો છે. આવા શ્રમિકો ખરેખર તો દેશના નિર્માણમાં બહુ મોટો ભાગ ભજવે છે. કોઇ પણ સમાજ, દેશ, સંસ્થા કે ઉદ્યોગમાં કામ કરતા આવા શ્રમિકોનું મહત્ત્વ ઓછું ન આંકી શકાય. આવા શ્રમિકોના પરિશ્રમ વિના ઓદ્યોગિક માળખું ઊભું થવાની કલ્પના પણ ન થઇ શકે.

શ્રમિકોનો મોટો વર્ગ કૃષિ ક્ષેત્ર સાથે પણ જોડાયેલો છે. ફેકટરીઓ અને કંપનીઓમાં કરોડો શ્રમિકો કામ કરે છે. આમ પણ આવા શ્રમિકો શોષણનો શિકાર બનતા હોય છે. એવામાં જો કોરોના વાઇરસના કારણે લોકડાઉનની સ્થિતિ આવે તો આવા રોજિંદું પેટિયું રળતા લોકો માટે તો જીવનમરણનો પ્રશ્ન ઊભો થઇ જશે. એવામાં આવા શ્રમિકોને ભૂખે મરવાનો વારો ન આવે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મદદ કરવાની પહેલ કરવી જોઇએ અને એ માટે ચોક્કસ નીતિ બનાવવી જોઇએ. 

કોરોના વાઇરસને પરાજિત કરવા માટે લોકોએ સરકારનો તેમજ પરસ્પર સહયોગ કરવાની જરૂર છે. સમાજને દરેક વર્ગે બીજા વર્ગોની દરકાર કરવી પડશે અને ધ્યાન રાખવું પડશે. દેશવાસીઓ સાથે મળીને જ આ મહામારીને નાથી શકશે.

Tags :