મહાસત્તા બનવાની રેસમાં ઉતરેલું ભારત ભૂખમરો નાબૂદ કરવામાં હાંફી જાય છે
- ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનો પાકિસ્તાન સહિતના પાડોશી દેશો કરતા પણ કંગાળ દેખાવ
- દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન તો મબલખ થાય છે પરંતુ કંગાળ વિતરણ વ્યવસ્થાના કારણે ઉત્પાદન થયેલા અનાજનો મોટો હિસ્સો લોકો સુધી પહોંચવાના બદલે સરકારી ગોદામોમાં સડી જાય છે અને જરૂરતમંદ લોકો સુધી પહોંચી શકતો નથી
વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક હોવા છતાં ભારતમાં ભૂખમરો મોટી સમસ્યા છે. સરકારના વિકાસના દાવાઓ વચ્ચે દેશમાં ભૂખમરો સતત વધી રહ્યો છે અને ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન નીચું જઇ રહ્યું છે. વર્ષ ૨૦૧૪માં ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન ૯૯મું હતું જે ૨૦૧૭માં ૧૦૦મા ક્રમે પહોંચ્યું અને આ વર્ષે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની ૧૧૯ દેશની યાદીમાં ભારત ૧૦૨ નંબરે છે. ભારતમાં ભૂખમરાના મામલે એટલી કફોડી હાલત છે કે તે આ રેન્કિંગમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા તો ઠીક, પાકિસ્તાન કરતાયે પાછળ છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થા 'કન્સર્ન વર્લ્ડવાઇડદ અને જર્મનીની પ્રતિષ્ઠિત સંસ્થા 'વેલ્ટ હંગર હિલ્ફદ દ્વારા જાહેર કરવામાં આવેલા વર્લ્ડ હંગર ઇન્ડેક્સમાં ભારતને ૩૦.૩ના સ્કોર સાથે ગંભીર કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. પાકિસ્તાન આ યાદીમાં ૯૪મા સ્થાને છે, તો નેપાળ ૭૩ અને બાંગ્લાદેશ ૮૮મા સ્થાને છે. આફ્રિકાના કેટલાંય દુષ્કાળ અને ભૂખમરાથી પીડિત દેશો કરતા પણ ભારતમાં વધારે ભૂખમરો છે. આપણે જેની સાથે વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવાની સ્પર્ધામાં ઉતર્યા છીએ એ ચીન ભારત કરતા ક્યાંય આગળ છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ચીન ૨૫મા સ્થાને છે.
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ વૈશ્વિક, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તરે ભૂખમરાનું આકલન કરે છે. ભૂખમરા સામેની લડાઇમાં થયેલી પ્રગતિ અને સમસ્યાઓને લઇને દર વર્ષે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની ગણતરી કરવામાં આવે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ભૂખમરા વિરુદ્ધના સંઘર્ષની જાગૃતિ અને સમજદારીને વધારવા, દેશો વચ્ચે ભૂખમરાના સ્તરની સરખામણી કરવા અને ભૂખમરો હોય એવી જગ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં એ જોવામાં આવે છે કે દેશની કેટલી વસતીને પર્યાપ્ત માત્રામાં ભોજન મળી નથી રહ્યું. મતલબ કે દેશના કેટલા લોકો કુપોષણના શિકાર છે એનું આકલન ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં કરવામાં આવે છે. એમાં એ પણ જોવામાં આવે છે કે પાંચ વર્ષથી ઓછી વયના કેટલા બાળકોની લંબાઇ અને વજન તેમની ઉંમરના હિસાબે ઓછાં છે. એ સાથે જ ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં બાળમૃત્યુદરની ગણતરીને પણ સામેલ કરવામાં આવે છે.
ભારતમાં ૧૪.૫ ટકા વસતી કુપોષણથી પીડિત છે. વર્ષ ૨૦૦૦માં આ આંકડો ૧૮.૨ ટકા હતો. પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં વેસ્ટિંગ એટલે કે લંબાઇના પ્રમાણમાં વજનનું ઓછું હોવાની ટકાવારી ૨૦.૮ ટકા છે જે વર્ષ ૧૭.૧ ટકા હતી. એ જ રીતે પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં સ્ટંટિંગ એટલે કે ઉંમરના પ્રમાણમાં લંબાઇ ઓછી હોવાનું પ્રમાણ ૩૭.૯ ટકા છે જે વર્ષ ૨૦૦૦માં ૫૪.૨ ટકા હતું. પાંચ વર્ષથી ઓછી વયના બાળકોનો મૃત્યુદર ૩.૯ ટકા છે જે વર્ષ ૨૦૦૦માં ૯.૨ ટકા હતો. ભારત માટે આ પ્રદર્શન ચિંતાજનક એટલા માટે કહી શકાય કે વૈશ્વિક સ્તરે આ સૂચકાંકમાં ભૂખ અને પોષણમાં ખામીના સ્તરોમાં સુધારો જોવા મળ્યો છે.
ગ્લોબલ હંગર ઇન્ડેક્સના આ રિપોર્ટ અનુસાર ભારતની વધારે વસતીના કારણે દક્ષિણ એશિયાના બીજા દેશો કરતા અહીંયા પરિસ્થિતિ વધારે ખરાબ છે. ભારતમાં બાળકોમાં વેસ્ટિંગના દરને ખાસ કરીને અત્યંત ગંભીર ગણવામાં આવ્યો છે અને રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવેલા તમામ ૧૧૭ દેશોમાં સૌથી વધારે જણાવવામાં આવ્યો છે. ભૂખમરાની સીધી અસર પોષણ અને સ્વાસ્થ્ય ઉપર પડે છે. કુપોષણની સીધી અસર બાળકોના માનસિક અને શારીરિક વિકાસ, શિક્ષણ અને બૌદ્ધિક ક્ષમતા ઉપર પડે છે. એ જોતાં ભારતની ભાવિ પેઢી કેટલી નબળી હશે એ અલગ જ ચર્ચાનો વિષય છે.
થોડા વખત પહેલાં યૂ.એન.ના રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું હતું કે દુનિયાભરમાં ભૂખમરાથી પીડિત ૮૨ કરોડ લોકોમાંથી ૨૩ ટકા કરતાયે વધારે લોકો ભારતમાં છે. યૂ.એન.ના આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની કુલ વસતીમાંથી આશરે ૧૪ ટકા વસતી ભૂખમરો ભોગવી રહી છે. ભૂખમરાના કારણોમાં યુદ્ધ, સંઘર્ષ, હિંસા, ક્લાયમેટ ચેન્જ, કુદરતી આફતો વગેરેનો સમાવેશ થાય છે. સવાલ એ છે કે ભારતમાં આમાંના કયા પરિબળોના કારણે ભૂખમરો વધારે છે? આફ્રિકા કે લેટિન અમેરિકી દેશોની જેમ ભારતમાં સંઘર્ષ, હિંસા જેવા પરિબળો નહિવત્ છે. ક્લાયમેટ ચેન્જ અને કુદરતી આફતોનું પ્રમાણ છે પરંતુ દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન પણ મબલખ થાય છે.
ખાદ્યાન્નનું ઉત્પાદન તો વિશાળ પાયે થાય છે પરંતુ તેના વિતરણની વ્યવસ્થા સાવ કંગાળ છે. ઉત્પાદન થયેલા અનાજનો એક મોટો હિસ્સો લોકો સુધી પહોંચવાના બદલે સરકારી ગોદામોમાં સડી જાય છે. યૂ.એન.ના રિપોર્ટ પ્રમાણે દેશનું લગભગ ૨૦ ટકા અનાજ સંગ્રહક્ષમતાના અભાવે બરબાદ થઇ જાય છે. તો લાખો ટન અનાજ અને ફળો તેમજ શાકભાજી યોગ્ય વિતરણ વ્યવસ્થાના અભાવે સડી જાય છે.
ગત જુલાઇમાં લોકસભામાં અન્ન વિતરણ ખાતાએ માહિતી આપી હતી કે દેશના ગોડાઉનોમાં હજુ ૧૧૫૦ મેટ્રિક ટન અનાજ પડયું છે. ગ્રાહક વિતરણ ખાતાના આંકજા અનુસાર વર્ષ ૨૦૧૧થી ૨૦૧૭ દરમિયાન ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનોમાં ૬૨ હજાર ટન અનાજ બગડી ગયું. એ જ રીતે ૨૦૧૬થી ૨૦૧૭ દરમિયાન ૮૬૦૦ ટન અનાજ ગાયબ થઇ ગયું. એક અંદાજ અનુસાર સરકારી બેદરકારીના કારણે છેલ્લા ૧૦ વર્ષમાં ગોડાઉનોમાં ૭.૮૦ લાખ ક્વિન્ટલ અનાજ સડી ગયું. મતલબ કે રોજિંદા સરેરાશ ૪૩ હજાર લોકોના હિસ્સાનું અનાજ બરબાદ થઇ રહ્યું છે.
આમ તો ભારતમાં ભુખમરા અને કુપોષણને ડામવા સરકાર અનેક યોજનાઓ અમલમાં તો લાવે છે પરંતુ અમલદારશાહી અને ભ્રષ્ટાચારના કારણે આવી યોજનાઓનો લાભ જરૂરતમંદ લોકો સુધી પહોંચી શકતો નથી. ઉપરથી વધતી જતી મોંઘવારી અને ખાદ્ય પદાર્થોની કીંમતોમાં ઉછાળાના કારણે ગરીબો અને ઓછી આવક ધરાવતા લોકો વધુ ને વધુ નિઃસહાય બની રહ્યાં છે. અનાજની સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં થતો ભ્રષ્ટાચાર તો જગજાહેર છે. ગરીબો માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા સસ્તા અનાજનો અડધોઅડધ હિસ્સો લોકો સુધી પહોંચતો જ નથી અને ખુલ્લા બજારોમાં ઊંચી કીંમતે વેચાઇ જાય છે.
જેમને આપણે જગતના તાતનું બિરુદ આપ્યું છે એવા દેશના ખેડૂતો દેવા અને અનિશ્ચિત મોસમનો બેવડો માર ઝીલી રહ્યાં છે. બિયારણ અને ખાતર જેવી પાયાની વસ્તુઓ માટે તેમણે મલ્ટીનેશનલ કંપનીઓનો આશરો લેવો પડે છે. ભૂગર્ભજળનું સ્તર સતત નીચું જઇ રહ્યું છે. ઔદ્યોગિક વિસ્તરણના નામે ખેતરો સંકોચાઇ રહ્યાં છે. સમયની માંગ છે કે સરકારે આત્મશ્લાધા અને આંકડાઓની માયાજાળમાંથી બહાર આવીને ભૂખમરા અને કુપોષણને નાથવા માટે અસરકારક પગલાં લેવાની જોઇએ. એ માટે ગરીબો અને મધ્યમવર્ગને લાભકારી સરકારી યોજનાઓ વધારે કડકાઇપૂર્વક અને લાંબા ગાળા માટે અમલમાં મૂકવાની જરૂર છે. આવી યોજનાઓના અમલીકરણ માટે પારદર્શક અને જડબેસલાક વ્યવસ્થા કરવાની જરૂર છે. સાર્વજનિક અનાજ વિતરણ સાથે સંકળાયેલા અધિકારીઓ અને દુકાનદારો પર દેખરેખ રાખવાની જરૂર છે જેથી કરીને ગરીબો સુધી યોગ્ય રીતે અનાજ પહોંચી શકે.
ઉપરાંત અનાજના સંગ્રહ માટે એવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે કે જેથી તેનો બગાડ થતો અટકે. સંઘરાખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરતા લોકો માટે કડક સજાની જોગવાઇ કરવાની જરૂર છે. ગરીબોને મળતી સબસીડી છીનવી લેતી અટકાવવાની જરૂર છે. બેંકોને આવા લોકો માટે રાહત જાહેર કરવાનો આદેશ આપવાની જરૂર છે. અંધાધૂંધ શહેરીકરણ અને આંધળા વિકાસને રોકવાની જરૂર છે. શાળામાં બાળકોને ગ્રામ્ય, કૃષિ, ગરીબી અને પોષણ જેવા વિષયોનું શિક્ષણ આપવાની જરૂર છે. પછાત વર્ગના કુપોષણથી પીડાતા બાળકો માટે પોષણક્ષમ આહારની વ્યવસ્થા ઊભી કરવી જોઇએ.
ભૂખમરો એક મોટી સામાજિક સમસ્યા પણ છે જેના વિશે દેશના નાગરિકોમાં જાગૃતિ કેળવવાની જરૂર છે. આજે જ્યારે ઘણાં ઘરોમાં એક ટંકનો ખોરાક બીજા ટંકે વાસી ગણીને ફેંકી દેવામાં આવે છે ત્યારે દેશના લાખો લોકો એક ટંકના ભોજન માટે તરસતા હોય છે એ સમજવાની જરૂર છે. લોકોમાં સામાજિકતા અને ભાગીદારીની ભાવના વધુ ને વધુ કેળવવાની જરૂર છે. શહેરોની શ્રીમંત શાળાઓના ખાતા-પીતા ઘરના બાળકોને ખોરાકના બગાડ વિશે સમજાવવાની જરૂર છે. મોંઘાદાટ ભોજન સમારંભો અને ભોગવિલાસ પર અંકુશ મૂકવાની જરૂર છે. હોટલો, શૈક્ષણિક સંસ્થાઓ, ઓફિસો, કેન્ટિનો, સભાઓ, લગ્નો અને અન્ય સમારોહોમાં ખોરાકનો બગાડ ન થાય એ રીતની વ્યવસ્થા ઊભી કરવાની અને લોકોને એ વિશે જાગૃત કરવાની જરૂર છે. જ્યાં સુધી કોઇ દેશ પોતાના નાગરિકોના જીવનને બહેતર ન બનાવે કે પોષણક્ષમ ખોરાક જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન કરાવે ત્યાં સુધી ગમે તેવી પ્રગતિ કે વિકાસનો કોઇ અર્થ સરતો નથી.