સામાજિક સદ્ભાવના અને સોહાર્દ જાળવી રાખતો 'સુપ્રીમદ ચુકાદો
- સર્વોચ્ચ અદાલતે મેરેથોન સુનાવણીના અંતે દેશની તવારિખમાં ઐતિહાસિક સાબિત થનારો ચુકાદો આપ્યો
- સુપ્રીમ કોર્ટનો ચુકાદો બંધારણની મર્યાદામાં લઇને લેવામાં આવ્યો છે અને દેશનું બંધારણ ધર્મનિરપેક્ષ છે એવામાં આ ચુકાદો હિન્દુ-મુસ્લિમ પક્ષો વચ્ચે હારજીતનો નહીં પરંતુ કાયદાને ધ્યાનમાં લઇને આપવામાં આવ્યો છે
અયોધ્યા ખાતે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ ઉપર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવી ગયો છે અને એ સાથે જ વિવાદાસ્પદ જમીન પર રામમંદિર બનાવવાનો માર્ગ સાફ થઇ ગયો છે. સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાનને વિવાદાસ્પદ જમીન આપી દીધી છે. ખાસ બાબત એ કે રામલલા એ કોઇ સંસ્થા કે કોઇ ટ્રસ્ટ નહીં પરંતુ ખુદ ભગવાન રામનું બાળસ્વરૂપ છે. સુપ્રીમ કોર્ટે રામલલાને લીગલ એન્ટિટી એટલે કે કાનૂની વ્યક્તિ માનીને જમીનનો માલિકી હક સોંપ્યો છે. એ સાથે જ મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ અલગ જગ્યાએ પાંચ એકર જમીન મસ્જિદ બનાવવા માટે ફાળવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી છઠ્ઠી ઓગસ્ટથી શરૂ થઇ હતી. ત્યારથી આ કેસની અઠવાડિયામાં પાંચ દિવસ સુનાવણી થતી હતી. એમાંયે છેલ્લા થોડા દિવસથી તો આ મામલે વધારાનો એક કલાક સુનાવણી ચાલી રહી હતી. કારણ એ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ અગાઉ કહી દીધું હતું કે અયોધ્યા મામલાની સુનાવણી ૧૭ ઓક્ટોબર સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. જોકે બાદમાં તેમણે આ સમયમર્યાદા પણ એક દિવસ ટૂંકાવીને ૧૬ ઓક્ટોબર અંતિમ દિન નક્કી કર્યો હતો જે અનુસાર ૪૦ દિવસમાં સુનાવણી પૂર્ણ થઇ હતી.
આ મામલાની સુનાવણી ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતા હેઠળની બંધારણીય બેન્ચ કરી રહી હતી. બંધારણીય પીઠમાં ચીફ જસ્ટીસ ઉપરાંત જસ્ટીસ એસ.એ. બોબડે, જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂડ. જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસ.એ. નઝીર સામેલ હતાં. ૪૦ દિવસ ચાલેલી સુનાવણી બાદ નિયત સમય મુજબ જ સવાસો વર્ષ કરતાયે વધારે જૂના અને રાજકીય અને ધાર્મિક રીતે અત્યંત સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદની કાનૂની લડાઇનો અંત આવ્યો છે.
અયોધ્યામાં વિવાદાસ્પદ જમીનને લઇને દાખલ થયેલી ૧૪ યાચિકાઓમાં ત્રણ મુખ્ય હતી જે નિર્મોહી અખાડા, રામલલા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડ તરફથી દાખલ કરવામાં આવી હતી. નિર્મોહી અખાડાનો દાવો સંપ્રદાયની સામૂહિક સ્મૃતિ પર આધારિત હતો જેની સ્થાપના ૧૪મી સદીમાં સંત કવિ રામાનંદે કરી હતી.
નિર્મોહી અખાડાનો દાવો હતો કે તેઓ સાત સદીથી ભગવાન રામના ભક્ત છે એટલા માટે અયોધ્યામાં રામજન્મભૂમિ કહેવાતી જમીન ઉપર તેમનો અધિકાર છે. અયોધ્યા જમીન વિવાદમાં આઠ મુસ્લિમ પક્ષકાર હતાં જેમાંના ચાર ઇકબાલ અંસારી, હાજી મહેબૂબ, મોહમ્મદ ઉમર, મિઝબાહુદ્દીન અને મૌલાના મહફૂઝુર્રહેમાન વ્યક્તિગત હતાં જ્યારે સુન્ની વકફ બોર્ડ અને જમીયત-ઉલેમા-એ-હિન્દનો રિપ્રેઝન્ટેટિવ સૂટ હતાં. આમ તો આમાંના મોટા ભાગના યાચિકાકર્તાઓ પહેલેથી જ વિવાદાસ્પદ જમીન છોડવાને લઇને રાજી હતાં.
૧૯૯૨માં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ કેન્દ્રમાંની તત્કાલિન નરસિમ્હા રાવ સરકારે સમગ્ર વિવાદાસ્પદ હિસ્સાને કબજામાં લઇ લીધો હતો. ૧૯૯૩માં વિવાદાસ્પદ સ્થળ તેમજ આસપાસની લગભગ ૬૭ એકર જમીનનું કેન્દ્ર સરકારે અધિગ્રહણ કરી લીધું હતું. બાદમાં કોર્ટે સમગ્ર પરિસરમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો અને કોઇ ગતિવિધિ ન થવા દેવાના નિર્દેશ આપ્યાં હતાં. એ પછી અલાહાબાદ હાઇકોર્ટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અયોધ્યાની વિવાદાસ્પદ જમીન ઉપર ચુકાદો આપ્યો હતો.
હાઇકોર્ટે ૨.૭૭ એકર જમીનને નિર્મોહી અખાડા, રામલલા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડ વચ્ચે સરખેસરખી વહેંચવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટના આ ચુકાદા વિરુદ્ધ ૧૪ યાચિકા દાખલ કરવામાં આવી હતી. એ પછી સુપ્રીમ કોર્ટે મે ૨૦૧૧માં અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદા ઉપર સ્ટે મૂકી દીધો હતો અને વિવાદાસ્પદ સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.
અલાહાબાદ હાઇકોર્ટને પણ એ દરકાર હતી કે જો કોઇ એક પક્ષની તરફેણમાં ચુકાદો ગયો તો બંને સમુદાયો વચ્ચે લાંબા સમયથી ચાલતું આવેલું વૈમનસ્ય વધી જશે જે દેશહિતમાં નહીં હોય એટલા માટે જ હાઇકોર્ટમાં તમામ પક્ષોને સાથે લઇને ચાલવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. અયોધ્યા વિવાદને મધ્યસ્થી દ્વારા ઉકેલવાના પ્રયાસ પણ થયા હતાં.
અલાહાબાદ હાઇકોર્ટ પણ મધ્યસ્થી નીમવાના ત્રણ વખત પ્રયાસ કર્યા હતાં. તો સુપ્રીમ કોર્ટે પણ ગત માર્ચમાં આ મામલો શાંતિપૂર્વક ઉકેલવા ત્રણ મધ્યસ્થી નીમ્યા હતાં. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટીસ ફકીર મોહમ્મદ ઇબ્રાહિમ ખલીફુલ્લાના નેતૃત્ત્વમાં બનેલી ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને સીનિયર એડવોકેટ શ્રીરામ પંચુનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સુનાવણીના અંતિમ દિવસે મધ્યસ્થતા સમિતિએ પોતાનો સેટેલમેન્ટ ડોક્યુમેન્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો. દરમિયાન એવી વાત પણ ઊડી હતી કે આ મામલાના એક પક્ષકાર એવા સુન્ની વકફ બોર્ડે વિવાદાસ્પદ જમીન ઉપરનો હક જતો કરવા તૈયાર છે. બદલામાં તેણે મસ્જિદ માટે પર્યાપ્ત જમીન અને તેના નિર્માણ માટે સરકાર તરફથી આર્થિક સહાય મળે એવી માંગ કરી છે. જોકે આ દાવો પાયાહિન સાબિત થયો હતો અને મુસ્લિમ પક્ષે આવી કોઇ રજૂઆત કરી ન હોવાની સ્પષ્ટતા કરી હતી.
હકીકતમાં રામ જન્મ ભૂમિ- બાબરી મસ્જિદ વિવાદને લઇને લોકોને ઘણી તકલીફો સહન કરવી પડી છે. છાશવારે આ મામલો હવા પકડી લેતો હતો અને પછી એને લઇને નિવેદનબાજીનો દોર ચાલુ થઇ જવો જાણે ક્રમ બની ગયો હતો. જેના પરિણામે માહોલમાં એક પ્રકારની તંગદીલી વ્યાપી જતી હતી. આવી પરિસ્થિતિનો ફાયદો અસામાજિક તત્ત્વો ઉઠાવીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા હતાં. એટલા માટે જ સુપ્રીમ કોર્ટે પણ લડાઇને બાજુએ મૂકીને મધ્યસ્થી દ્વારા મામલો ઉકેલવાની પહેલ કરી હતી. જોકે મધ્યસ્થતા સમિતિ પણ વિવાદનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહેતા છેવટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની ૪૦ દિવસની મેરાથોન યોજવામાં આવી હતી.
અયોધ્યા મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વારંવાર સ્પષ્ટતા કરી હતી કે આ મામલે દીવાની અપીલ સિવાય અન્ય કોઇ દૃષ્ટિકોણ ચગાવવાની પરવાનગી આપવામાં નહીં આવે અને સુનાવણીમાં એ જ પ્રક્રિયા અપનાવવામાં આવશે જે અલાહાબાદ હાઇકોર્ટે અપનાવી હતી. તેમ છતાં એવી આશંકા વ્યક્ત થઇ રહી હતી કે સુનાવણી દરમિયાન દેશમાં તણાવ વ્યાપી શકે છે પરંતુ એવું કશું ન થયું. હકીકતમાં ૨૦૧૮માં તત્કાલિન ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચે અયોધ્યા વિવાદને શુદ્ધરૂપે જમીન વિવાદ જણાવીને ધર્મનિરપેક્ષતા, સાંપ્રદાયિક સદ્ભાવ, ધર્મ અને રાજકારણને અલગ રાખવાની તાકીદ કરી હતી.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો બંધારણની મર્યાદામાં લઇને લેવામાં આવ્યો છે અને દેશનું બંધારણ ધર્મનિરપેક્ષ છે. એવામાં આ ચુકાદો હિન્દુ-મુસ્લિમ પક્ષો વચ્ચે હારજીતનો નહીં પરંતુ કાયદાને ધ્યાનમાં લઇને આપવામાં આવ્યો છે.
દેશમાં વસતા લોકોને પોતાનો ધર્મ હોઇ શકે છે પરંતુ ભારત દેશમાં તમામની ઓળખ ભારતીય તરીકેની જ છે અને બંધારણનું પાલન કરવું એ સૌની મૂળભૂત ફરજ છે. એટલા માટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકારવા માટે દેશના તમામ નાગરિકો બાધ્ય છે. એટલું તો ચોક્કસ છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો દેશની તવારિખમાં ઐતિહાસિક નીવડવાનો છે.