Get The App

ગરીબો માટે વન નેશન વન રેશન કાર્ડ યોજના લાભકારી નીવડશે

- માર્ચ 2021 સુધીમાં દેશભરમાં રેશન કાર્ડ પોર્ટેબિલિટી લાગુ કરવાની દિશામાં પ્રયાસો

Updated: Jul 2nd, 2020

GS TEAM

Google News
Google News

- રોજીરોટી માટે વતનથી દૂર જતાં લોકો આ યોજના અંતર્ગત એક જ રેશન કાર્ડ દ્વારા દેશના કોઇ પણ સ્થળે આવેલી સસ્તા અનાજની દુકાનેથી પોતાના હિસ્સાનું ખાદ્યાન્ન લઇ શકશે તેમજ ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ લાગુ થયા બાદ બનાવટી રેશન કાર્ડની સમસ્યા પણ નાબૂદ થશે

ગરીબો માટે વન નેશન વન રેશન કાર્ડ યોજના લાભકારી નીવડશે 1 - image

કોરોના કાળમાં હાલાકી ભોગવી રહેલા લોકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ યોજનાને પાંચ મહિના લંબાવવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત દેશના ૮૦ કરોડ લોકોને છેક નવેમ્બર સુધી પાંચ કિલો ચોખા કે ઘઉં, એક કિલો દાળ અને એક કિલો ચણા મફતમાં મળશે. ગત ૨૫ માર્ચે દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે મોદી સરકારે ગરીબ અને જરૂરતમંદ લોકો માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અનુસાર મળતા ખાદ્યાન્ન ઉપરાંત આ વધારાનું અનાજ પૂરું પાડવાની જાહેરાત કરી હતી.

હજુ સુધી દેશમાં કોરોનાનો કહેર નાબૂદ થયો નથી અને લોકોની કઠણાઇઓ પણ ઓછી થઇ નથી એ જોતાં સરકારે આ રાહત લંબાવવાનો નિર્ણય કર્યો છે. ગરીબ કલ્યાણ યોજના ઉપરાંત વડાપ્રધાન મોદીએ એક દેશ એક રેશન કાર્ડ યોજનાને અમલમાં મૂકવાની મહત્ત્વની જાહેરાત પણ કરી છે. 

થોડા દિવસ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમને જાહેરાત કરી હતી કે માર્ચ ૨૦૨૧ સુધીમાં દેશભરમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ થઇ જશે. થોડા સમય પહેલાં જ ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું કે દેશમાં કુલ ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રેશન કાર્ડ પોર્ટેબિલિટી યોજના અમલી બની છે.

અગાઉ આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ગોવા, ઝારખંડ, ત્રિપુરા, બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દમણ અને દીવમાં આ યોજના અમલી હતી. એમાં ઓડિશા, મિઝોરમ અને નાગાલેન્ડ એમ ત્રણ રાજ્યો ઉમેરાયા છે. વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત લાભાર્થી એક જ રેશન કાર્ડ દ્વારા દેશના કોઇ પણ સ્થળે આવેલી સસ્તા અનાજની દુકાનેથી પોતાના હિસ્સાનું ખાદ્યાન્ન લઇ શકશે.

ગયા વર્ષે ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને રેશન કાર્ડ પોર્ટેબિલિટીની જાહેરાત કરી હતી અને તમામ રાજ્યોને એ માટે સજ્જ થવા માટે એક વર્ષનો સમય આપ્યો હતો. ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે જાહેર વિતરણ પ્રણાલિના સંકલિત પ્રબંધન અનુસાર અનેક રાજ્યોમાં ખાદ્ય અને સાર્વજનિક વિતરણ પ્રણાલિના લાભાર્થી કોઇ પણ જિલ્લામાંથી સસ્તુ અનાજ ખરીદી શકે છે.

ખાદ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના બાકી રહેલા રાજ્યોએ પણ આ વ્યવસ્થા વહેલી તકે લાગુ કરવાની ખાતરી આપી છે. સરકારના જણાવ્યા અનુસાર આ યોજના અમલી બનાવવા માટે તમામ પીડીએસ એટલે કે સસ્તા અનાજની દુકાનો પર પોઇન્ટ ઓફ સેલ એટલે કે પીઓએસ મશીનો ઉપલબ્ધ કરાવવા આવશ્યક છે. હાલ ઘણાં રાજ્યોની રેશનની દુકાનો પર પીઓએસ મશીનો મૂકી દેવામાં આવ્યાં છે.

સરકારના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં આ યોજના લાગુ થઇ ગયા બાદ લાભાર્થી કોઇ બીજા રાજ્યની રેશનની દુકાનેથી પણ સસ્તા દરે અનાજ લઇ શકશે. આ સુવિધા રોજગારી માટે બીજા શહેરોમાં પલાયન કરી જતાં લોકો માટે સૌથી વધારે ફાયદેમંદ પુરવાર થશે. સરકારનું કહેવું છે કે તે લાભાર્થીઓના હિતોની રક્ષા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.

આ યોજના લાગુ થયા બાદ લાભાર્થીઓ કોઇ એક રેશનની દુકાન સાથે બંધાયેલા નહીં રહે. એ સાથે જ રેશનના દુકાનદારોની મનમાની અને ચોરી બંધ કરવામાં પણ મદદ મળશે. કેન્દ્ર સરકાર આ નવી યોજના દ્વારા સાર્વજનિક વિતરણ પ્રણાલી અંતર્ગત આવતા ૮૧ કરોડ લોકોને સગવડ પૂરી પાડવા ધારે છે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત દર વર્ષે ૬૧૨ લાખ ટન અનાજનું વિતરણ થાય છે.

જોકે આ યોજના લાગુ કરવાની વાત જેટલી સરળ લાગે છે એટલી જ કઠિન તેને વાસ્તવિકતાની જમીન ઉપર ઉતારવી છે. આ યોજનાને પ્રભાવી બનાવવા માટે તમામ રાજ્યોના જૂના રેશન કાર્ડોને ડિજિટલ સ્વરૂપ આપવાની કામગીરી ચાલી રહી છે. આ યોજના લાગુ થયા બાદ લોકો આધાર કાર્ડ અને પેન કાર્ડની જેમ જ બીજું રેશન કાર્ડ નહીં બનાવી શકે. એક સમયે ઘણાં લોકો એકથી વધારે રેશન કાર્ડ ધરાવતા હતાં.

પરંતુ ધીમે ધીમે આવા કરોડો રેશન કાર્ડ રદ્ કરી દેવામાં આવ્યાં છે. રેશન કાર્ડનું ડિજિટલાઇઝેશન થયા બાદ દરેક કાર્ડની ઉપર આધાર કાર્ડની જેમ જ એક યૂનિક આઇડેન્ટિફિકેશન નંબર મૂકવામાં આવશે. આ વ્યવસ્થાના કારણે બનાવટી રેશન કાર્ડ બનાવવું લગભગ અશક્ય બની જશે. એ પછી ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ અનુસાર તમામ રેશન કાર્ડના આંકડા સંગ્રહ કરવામાં આવશે.

દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન તો વિશાળ પાયે થાય છે પરંતુ તેના વિતરણની વ્યવસ્થા સાવ કંગાળ છે. ઉત્પાદન થયેલા અનાજનો એક મોટો હિસ્સો લોકો સુધી પહોંચવાના બદલે સરકારી ગોદામોમાં સડી જાય છે. યૂ.એન.ના રિપોર્ટ પ્રમાણે દેશનું લગભગ ૨૦ ટકા અનાજ સંગ્રહક્ષમતાના અભાવે બરબાદ થઇ જાય છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે ૨૩ કરોડ ટન દાળ, ૧૨ કરોડ ટન ફળ અને ૨૧ કરોડ ટન શાકભાજી યોગ્ય વિતરણ વ્યવસ્થાના અભાવે સડી જાય છે. અનાજની સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં થતો ભ્રષ્ટાચાર તો જગજાહેર છે.

ગરીબો માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા સસ્તા અનાજનો અર્ધોઅર્ધ હિસ્સો લોકો સુધી પહોંચતો જ નથી અને ખુલ્લા બજારોમાં ઊંચી કીંમતે વેચાઇ જાય છે. આમ તો ભારતમાં ગરીબીને ડામવા સરકાર અનેક યોજનાઓ અમલમાં તો લાવે છે પરંતુ અમલદારશાહી અને ભ્રષ્ટાચારના કારણે આવી યોજનાઓનો લાભ જરૂરતમંદ લોકો સુધી પહોંચી શકતો નથી. ઉપરથી વધતી જતી મોંઘવારી અને ખાદ્ય પદાર્થોની કીંમતોમાં ઉછાળાના કારણે ગરીબો અને ઓછી આવક ધરાવતા લોકો વધુ ને વધુ નિઃસહાય બને છે.

સરકારે ગરીબો અને મધ્યમવર્ગને લાભકારી સરકારી યોજનાઓ વધારે કડકાઇપૂર્વક અને લાંબા ગાળા માટે અમલમાં મૂકવાની જરૂર છે. આવી યોજનાઓના અમલીકરણ માટે પારદર્શક અને જડબેસલાક વ્યવસ્થા કરવાની જરૂર છે. સાર્વજનિક અનાજ વિતરણ સાથે સંકળાયેલા અધિકારીઓ અને દુકાનદારો પર દેખરેખ રાખવાની જરૂર છે જેથી કરીને ગરીબો સુધી યોગ્ય રીતે અનાજ પહોંચી શકે.

ઉપરાંત અનાજના સંગ્રહ માટે એવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે કે જેથી તેનો બગાડ થતો અટકે. સંઘરાખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરતા લોકો માટે કડક સજાની જોગવાઇ કરવાની જરૂર છે. ગરીબોને મળતી સબસીડી છીનવી લેતી અટકાવવાની જરૂર છે.

એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ યોજનાના અમલીકરણ બાદ બિહારનો કોઇ લાભાર્થી જો કેરળ કે પછી પૂર્વોત્તરના કોઇ રાજ્યમાં મજૂરી કે નોકરી કરતો હશે તો તેને ત્યાં પણ પીડીએસ અંતર્ગત સબસીડીવાળું અનાજ મળી શકશે. અત્યાર સુધી આવું શક્ય નહોતું. પહેલા રેશન કાર્ડને ચોક્કસ દુકાન સાથે જોડવામાં આવતા હતાં.

જેના કારણે ગ્રાહકો દુકાનદારોની દાદાગીરી અને ભ્રષ્ટાચારનો ભોગ બનતા હતાં. તો રેશનકાર્ડના માલિક પણ કેટલુંક અનાજ કાળાબજારમાં વેચી દેતા હતાં. 

જોકે ઘણાં સામાજિક સંગઠનોનું માનવું છે કે ભલે સરકાર આ યોજના આસાનીથી લાગુ કરવાના દાવા કરે પરંતુ ખરેખર એમ કરવામાં ઘણી વ્યવાહારિક સમસ્યાઓ આવી શકે છે. કાગળ પર સુંદર લાગતી વન નેશન વન રેશનકાર્ડ યોજના જમીની હકીકત બનાવવી એટલી જ કઠિન છે.

ખાસ કરીને રેશન કાર્ડને ડિજિટલ સ્વરૂપ આપવામાં ઘણાં રાજ્યોની ગતિ સાવ ધીમી છે. આ ઉપરાંત પીડીએસ યોજના સાથે જોડાયેલા દુકાનદારો પણ આ મામલામાં અવરોધ ઊભા કરી શકે છે. સરકારે આ યોજનાને લાગુ કરવા માટે કડક દેખરેખ તંત્ર ઊભું કરવું પડશે. જો રેશનની દુકાનોના માલિકો દ્વારા થતા ભ્રષ્ટાચાર પર લગામ ન લાગી શક્યો તો આ યોજનાનો હેતુ જ નિષ્ફળ જશે.

જાણકારોના મતે જાહેર વિતરણ પ્રણાલિમાં ભ્રષ્ટાચારના મૂળિયા ઘણાં ઊંડા છે. રેશન કાર્ડ પોર્ટેબિલિટીના માર્ગમાં રાજકારણ પણ ઊભું છે. સરકારે એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ લાગુ કરતી વખતે આ બધાં અવરોધોનો સામનો કરવાનો થશે. જોકે હાલ તો સરકારની આ પહેલથી જરૂરતમંદ લોકોમાં ખુશીની લહેર જરૂર દોડી ગઇ છે.

વતનથી દૂર મહેનતમજૂરી કરી રહેલા લોકોના મનમાં આશાનું કિરણ જન્મ્યું છે. આવા લોકો જ્યારે નવી જગ્યાએ રેશન લેવા જાય ત્યારે દુકાનદારો તેમનું રેશન કાર્ડ નહીં ચાલેથી લઇને સ્ટોક નથીના બહાના કરતા હોય છે. હવે નવી વ્યવસ્થા લાગુ થયા બાદ લોકોને આવી હાડમારીઓનો સામનો નહીં કરવો પડે એવી અપેક્ષા છે.

Tags :